10 September 2010

યમુનાનું જળસ્તર જોખમી સપાટી પાર, દિલ્હી પર સંકટ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

યમુનાનું જળસ્તર જોખમી સપાટી પાર, દિલ્હી પર સંકટ

યમુના નદી ખતરાના નિશાનને પાર કરી ચુકી છે. શુક્રવારે યમુનાનું સ્તર વધીને 207 મીટર સુધી જઈ શકે છે. તેના કારણે તટીય અને નીચાણવાળા વિસ્તારોમાં વસ્તીઓમાં પાણી ઘુસી જાય તેવી સંભાવના વધી છે. પરંતુ રાજધાનીમાં પૂર આવવાની હાલ કોઈ આશંકા નથી. દિલ્હીના સિંચાઈ અને પૂર નિયંત્રણ મંત્રી રાજકુમાર ચૌહાણના જણાવ્યા પ્રમાણે, યમુના નદીમાં પાણી વધવાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય શકે છે. તેની સાથે તેમણે એ પણ કહ્યું હતું કે તેમ છતાં બાકીના દિલ્હીમાં પૂર જેવી પરિસ્થિતિ આવવાની નથી. સરકારે યમુના કિનારે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને ઉંચાણવાળા સ્થળો પર અને સરકારી કેમ્પોમાં જવાની અપીલ કરી છે. નદી કિનારાના યમુના નગર, ઉસ્માનપુર, તિબેટી કોલોની, બુરાડી, જહાંગીરપુરી, બાટલા હાઉસ અને ગઢી માંડૂ વગેરેના કેટલાંક ભાગોમાં પાણી ભરાય શકે છે.જાણકારી પ્રમાણે, ઘણાં વિસ્તારોને ખાલી કરવા માટે પોલીસની મદદ લેવામાં આવી રહી છે. હકીકતે હરિયાણા અને હિમાચલ પ્રદેશમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે અહીંથી વહેનારી નદીઓનું જળસ્તર ઘણું વધારે થઈ ગયું છે. જેના કારણે આઠમી સપ્ટેમ્બરે હરિયાણાના હથિનીકુંડ બેરેજમાંથી યમુના નદીમાં સાત લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અને હવે આ પાણી દિલ્હી પહોંચવા લાગ્યું છે. તેના સિવાય દિલ્હીમાં પણ વરસાદને કારણે નદીનું જળસ્તર વધી ગયું છે. નદીમાં પાણીના વહેણને જોતાં દિલ્હીના વિભિન્ન સ્થાનો પર 74 મોટર બોટ અને 68 વિશેષ તાલીમ પામેલા તરવૈયાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.


આખરે કુરાન બાળવાનું અભિયાન મુલત્વી

અમેરિકાના ફ્લોરિડા રાજ્યના ખ્રિસ્તી પાદરીએ કુરાનની નકલો બાળવાનું પોતાનું અભિયાન આખરે પડતું મુક્યું છે. ઉલ્લેખનીય છે કે ટેરી જોન્સ નામના આ પાદરીએ શરૂ કરેલા આ અભિયાનની દુનિયાભરમાં ટીકાઓ થઈ હતી તેમજ ખુદ અમેરિકન પ્રમુખે પણ તેનો વિરોધ કર્યો હતો.પોતાનો કાર્યક્રમ મુલત્વી રાખનારા પાદરી ટેરી જોન્સે ગુરૂવારના રોજ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ ઝીરો (જ્યાં પહેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર હતા) ની નજીક ઈસ્લામિક કેન્દ્ર બનાવવા ઈચ્છનારા ઈસ્લામિક લીડરે સ્થળ બદલવાની તૈયારી બતાવતા તેણે કુરાન બાળવાનો કાર્યક્રમ રદ કર્યો હતો.જોકે, ટેરીના આ દાવા વિરૂદ્ધ દરખાસ્ત હેઠળ રહેલા ઈસ્લામિક સેન્ટર સાથે સંકળાયેલા ઈમામના નજીકના સુત્રોએ સમાચાર સંસ્થા રોઈટર્સને જણાવ્યું હતું કે ઈમામ આવા કોઈ સોદા માટે તૈયાર નથી તેમજ ઈસ્લામિક સેન્ટરનું સ્થળ બદલવવાનું નથી. ઈમામની નજીકના એક વ્યક્તિએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, "આ બાબતે કોઈ સોદો થયો નથી. આ મુદ્દા પર ખ્રિસ્તી પાદરી સાથે કોઈ ચર્ચા પણ કરવામાં આવી નથી."50 લોકોના સમુહના લિડર જોન્સે 11 સપ્ટેમ્બર 2001ના રોજ અમેરિકાની શાન સમા વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટ્વિન ટાવર પર થયેલા આતંકવાદી હુમલાની નવમી વરસીએ ઈસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનને બાળવાની યોજના કરી હતી. જોકે, આ અંગે ટીવી ચેનલો પર પ્રકાશિત થયેલા તાજા અહેવાલો પ્રમાણે જોન્સે અન્ય લોકોને પણ કુરાન ન બાળવા જણાવ્યું હતું. જોન્સે એમ પણ કહ્યું હતું કે તે ન્યુયોર્ક જઈને ગ્રાઉન્ડ ઝીરો નજીક બનનારા ઈસ્લામિક સેન્ટરના પ્રમુખ ઈમામ ફૈઝલ અબ્દુલ રાઉફને મળશે તેમજ તેમના પ્રોજેક્ટનું સ્થળ બદલવા અંગે તેમની સાથે વાત કરશે.


'અમેરિકા કઈ ભારત પર ઉપકાર નથી કરી રહ્યુ'

અમેરિકાના ઓહાયોમાં ભારતીય આઈટી કંપનીઓ ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધ ઉપર ભારતીય કંપનીઓ, બિઝનેસ ચેમ્બર્સ અને સરકારે તીખી પ્રતિક્રિયા આપી છે. યૂપીએ સરકારના બે મંત્રિઓએ આ બાબતે પોતાની ગંભિર પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર કમલનાથે કહ્યુ હતુ કે ભારતીય કંપનીઓ અને પ્રોફેશનલ દ્વારા જૉબ આઉટસોર્સ કરીને અમેરિકા કઈ ભારત ઉપર અહેસાન નથી કરી રહ્યુ. તેઓએ એમ પણ કહ્યુ હતુ કે ઓહાયોના આ પગલાથી ભારતીય કંપનીઓ અને પ્રોફેશનલ્સના ટેલેન્ટ ઉપર કોઈ જ ફર્ક નહી પડે.ત્યાજ કેન્દ્રીય વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી આનંદ શર્માએ કહ્યુ હતુ કે આ બાબતે તેઓ અમેરિકા પાસે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરશે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં આ જ મહિનાની 21 તારીખે ભારત અને અમેરિકાના ઉદ્યોગ મંત્રીઓ વચ્ચે દ્વિપક્ષીય ટ્રેડ પૉલિસી ફોરમની મિટિંગ યોજાવાની છે.આનંદ શર્માએ કહ્યુ હતુ કે આ મિટિંગમાં તે ઓહાયોમાં ભારતીય આઈટી કંપનીઓ ઉપર લાદવામાં આવેલા પ્રતિબંધ ઉપર પ્રશ્નોતરી કરશે. ભારતીય આઈટી ઉદ્યોગના સંગઠન નેસકૉમે પણ ઓહાયો પ્રશાસનના આ પગલાને ભેદભાવપૂર્ણ બતાવ્યો છે.


પહેલા હત્યા કરી અને પછી આંગળીઓ કાપીને રાખી લીધી

અફઘાનિસ્તાનમાં સજ્જ પાંચ અમેરિકી સૈનિકો પર ત્યાંના ત્રણ સ્થાનિક નાગરિકોની હત્યા કરી ત્યાર બાદ ઈનામ રૂપે તેમની આંગળીઓ અને શરીરના અન્ય ભાગો કાપીને પોતાની પાસે રાખવાનો આરોપ લાગ્યો છે.‘સિએટલ ટાઇમ્સ’માં પ્રકાશિત એક અહેવાલ મુજબ અમેરિકી સૈનિકોએ જાન્યુઆરી, ફેબ્રુઆરી અને મે મહિના દરમિયાન આ ઘટનાઓને અંજામ આપ્યો હતો. દોષી સાબિત થયેલા આ સૈનિકોને કોર્ટ માર્શલ અને આજીવાન કેદ અથવા તો ફાંસીની સજા થઈ શકે છે.આ સૈનિકો અફગાનિસ્તાનના કંધાર પ્રાંતમાં છેલ્લા 1 વર્ષથી સજ્જ હતા. આ સૈનિકો પર નશીલા દ્રવ્યોનું સેવન કરવાના, કાયદા ભંગના, માનવઅંગ રાખવાના તેમજ અંગત વપરાશ માટે મોર્ટારની ગોળીઓ રાખવાના પણ આરોપ લગાવવામાં આવ્યા છે.



પાકિસ્તાને પીઓકે ચીનને સોંપ્યું

પાકિસ્તાને પોતાના અધિકૃત કાશ્મીરના ગિલગિટ-બાલ્ટિસ્તાન વિસ્તારને ચીનને સોંપી દીધું છે. અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઇમ્સમાં છપાયેલા એક રિપોર્ટમાં અમેરિકી વિશેષજ્ઞોએ જણાવ્યું છે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર પર ચીન પોતાના પગ એવી રીતે જમાવી રહ્યું છે જાણે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર તેનું પોતાનું જ હોય.અખબારે એક રિપોર્ટમાં એ દાવો પણ કર્યો છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મીના આશરે 11,000 જવાનો આ વિસ્તારમાં છે. ચીન આ વિસ્તારોમાં પકડ એટલા માટે મજબૂત બનાવી રહ્યું છે જેથી તે ખાડીના દેશો સુધી બેરોકટોક સડક અને રેલવે રૂટ બનાવી શકે. એક અહેવાલ પ્રમાણે ચીનને ખાડીના દેશો સુધી તેલના ટેંકર પહોંચાડવા માટે 16થી 25 દિવસ જેટલો સમય લાગે છે, પરંતુ જો આ ખાડીના દેશો સીધા સડક અને રેલમાર્ગથી જોડાઈ જશે ત્યારે ચીનથી પાકિસ્તાનની નૌસેનાના બેઝ ગ્વાદર, પસની અને ઓરમારા ઉપરાંત અન્ય ખાડીના પ્રદેશોમાં માત્ર 48 કલાકમાં સાધન સરંજામ પહોંચાડી શકાય તેમ છે. એક રિપોર્ટ પ્રમાણે તો પાકિસ્તાની નૌસેનાના આ મથકો પણ ચીને જ બનાવ્યા છે.


હવે એરપોર્ટ પર ‘ન્યુડ’ ઈમેજ નહીં દેખાય!

ફ્લાઇટમાં જનારાઓએ હવે એરપોર્ટ પર શરમાવુ નહીં પડે. વિવાદિત ફૂલ બોડી સ્કેનરની પરેશાનીથી મુક્તિ મેળવવા માટેનો રસ્તો શોધી લેવાયો છે. આ સ્કેનરમાં હવે નગ્ન તસવીરોના બદલે જેનેરિક તસવીરો જોવા મળશે.આ તસવીરોમાં વ્યક્તિ ટી-શર્ટ, જીન્સ અને બેઝબોલ કેપ પહેરેલી જોવા મળશે. અમેરિકી ટ્રાન્સપોર્ટ સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન ટૂંક સમયમાં જ અમેરિકી એરપોર્ટ્સ પર લગાવાયેલા સ્કેનરમાં એક નવું સોફ્ટવેર અપગ્રેડ કરવાનું છે, જેના કારણે આ શક્ય બનશે. આ સોફ્ટવેરનો વિકાસ એલ-3 કમ્યુનિકેશન્સ અને ઓએસઆઈ સિસ્ટમ્સ રેપિસ્કેને કર્યો છે.રેપિસ્કેને કાર્યકારી ઉપાધ્યક્ષ પીટર કાંટને કહ્યું છે કે આ નવા સોફ્ટવેરથી પ્રાઇવસીના કારણે સર્જાતી સમાસ્યાઓનું સમાધાન થશે. જો કે તેમણે એ નથી કહ્યું કે આ તસવીરો અને સૂચનાઓના કારણે તેની સાથે જોડાયેલા સવાલોનું સમાધાન થઈ શકશે કે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું છે કે સ્કેનર્સમાં આ સોફ્ટવેરના વિતરણની કોઈ સમયસીમા બાંધવામાં આવી નથી.


કેવી રીતે કરશો કેવડાત્રીજની પૂજા ?

સ્ત્રીઓના તહેવારોમાં કેવડાત્રીજનુ વ્રત મુખ્ય છે. આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે. તે દિવસે ત્રીજ હસ્તિ નક્ષત્ર યુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યની રક્ષા કરનારુ છે.દેશમાં લગભગ બધી જ જગ્યાએ આ વ્રત કરવામાં આવે છે. આ દિવસે શંકર અને પાર્વતીની શાસ્ત્રમાં બતાવેલ વિધિ મુજબ વિશેષ રૂપે પાર્થિવ પૂજા કરવામાં આવે છે. સ્ત્રીઓ આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે અને સાંજે વિધિપૂર્વક શિવ-પાર્વતીની પૂજા આરતી અને કેવડાત્રીજના વ્રતની કથા સાંભળે છે. તે શિવને પ્રાર્થના કરે છે કે મારો પતિ દીર્ધાયુ બને. મારો સુહાગ અમર રહે. રાત્રે પણ તે પાણી પણ પીતી નથી. વહેલી સવારે સ્નાન-પૂજા કરી સૂર્યોદય પછી તે પારણા કરે છે અને ઉપવાસ તોડે છે. કુંવારી છોકરીઓ આ વ્રત દ્વારા એવુ માંગે છે કે તેમનો ભાવિ પતિ સુંદર અને સુયોગ્ય હોય.ત્રીજના એક દિવસ પહેલા વિવાહિત સ્ત્રીઓ પોતાના હાથોમાં મહેંદી મુકે છે. આ પ્રસંગે ગવાતા ગીતો મધુર, ગુણયુક્ત અને મુખ્ય રીતે પતિ, સાસરિયું અને પિયરથી સંબંધિત હોય છે. આ ગીત વર્ષા સંબંધી પણ હોય છે.આ વ્રતનુ વર્ણન શિવ-પાર્વતીના સંવાદના રૂપમાં ભવિષ્ય-પુરાણના ઉત્તરભાગમાં મળે છે.


સંગાકારા બાદ દિલશાન પણ શકના ઘેરામાં

ફિક્સિંગ અંગે એકપછી એક ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યાં છે. તાજેતરમાં શ્રીલંકાના સુકાની કુમાર સંગાકારા પર આઇસીસીને શંકા હોવાનો અહેવાલ પ્રકાશિત થયા બાદ વધુ એક શ્રીલંકન ખેલાડી પર આઇસીસીને શંકા હોવાનું બહાર આવ્યું છે. આઇસીસીનું ભ્રષ્ટાચાર વિરોધી યૂનિટને શ્રીલંકાના ટોપ બેટ્સમેન તિલકરત્ને દિલશાનના બૂકીઓ સાથે કોન્ટેક્ટ હોવાની શંકા છે અને તેથી તેઓ દિલશાન પર નજર રાખી રહ્યાં છે.ડેઇલી મેલે આજે જણાવ્યું છે કે, ગયા વર્ષે લંડનના નાઇટક્લબમાં એક શંકમદ બૂકી સાથે જોવા મળેલા શ્રીલંકન ખેલાડી અંગે શ્રીલંકન ક્રિકેટ બોર્ડે એક રિપોર્ટ આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી યૂનિટને આપ્યો છે. જેમાં તિલકરત્ને દિલશાનનું નામ જણાવવામાં આવ્યું છે.આ રિપોર્ટ શ્રીલંકન ટીમના મેનજર દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. કુમાર સંગાકારા પર શંકા જાગ્યા બાદ તેનો સાથી ખેલાડી દિલશાન પણ ગયા વર્ષે ઇંગ્લેન્ડ ખાતે રમાયેલા ટી-20 વિશ્વકપ દરમિયાન બૂકી સાથે જોવા મળ્યો હતો. તેમ સમાચારપત્રે જણાવ્યું છે.2009માં ઇંગ્લેન્ડ ખાતે રમાયેલી ટી-20 વિશ્વકપ બાદથી આ ખેલાડી પર આઇસીસીની ચાપતી નજર છે. શ્રીલંકન પોલીસ દ્વારા દિલશાનની પૂછપરછ કરવામાં આવી હોવાની વાતને શ્રીલંકન ક્રિકેટ દ્વારા જાહેર પ્રકાશથી દૂર રાખવામાં આવી છે. શ્રીલંકન પોલીસ દ્વારા દિલશાન વિરુદ્ધ કોઇ ચાર્જ દાખલ કરવામાં આવ્યા ન હતા.s


'બદનામ મુન્ની'એ તો બિગ બીને પણ રોમાચિંત કરી દીધા

સલમાન ખાનની ફિલ્મ દબંગ કે જેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે. તેણે મેગા સ્ટાર અમિતાભ બચ્ચનને પણ રોમાચિંત કરી દીધા છે.બિગ બીએ ટ્વિટર પર જણાવ્યું હતું કે, ''સલમાનને તેની ફિલ્મ 'દબંગ'ની સફળતા માટે શુભેચ્છાઓ. ફિલ્મનાં પ્રોમો અને ગીત ''મુન્ની બદનામ.'' ઘણાં જ સુંદર છે. મને આ ગીત ઘણું જ પસંદ આવ્યુ છે.''જોકે સલમાન ટ્વિટર પર તેની બહેન અર્પિતા, ભાઈ અરબાઝ અને કો-સ્ટાર સોનાક્ષી સિવાય અન્ય કોઈને ફોલો કરતો નથી.પણ બચ્ચન ટ્વિટર પર સલમાનને ફોલો કરે છે. ઉલ્લેખનિય છે કે આ સ્ટાર્સે સાથે બાગબાન, બાબુલ અને ગોડ તુસ્સી ગ્રેટ હો ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે.દબંગ આજે રિલીઝ થઈ ગઈ છે. અને ફિલ્મને સારી એવી સફળતા મળવાની પણ આશા છે. ફિલ્મ યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા, થાઈલેન્ડ, ફિજી આઈલેન્ડ સિવાય જર્મનિ, હોલેન્ડ, બેલ્જીયમ, નોર્વે, ડેનમાર્ક, ઈજિપ્ત, ઝામ્બિયા, કેન્યા, નાઈજીરિયા, તાન્ઝાનિયા, યુગાંડા, ઘાના, માલાવી જેવા દેશોમાં પણ રિલીઝ થશે.


સ્કૂલગર્લ જ્યારે બની સુમો સ્ટાર

કોઈ 16 વર્ષની છોકરીનું વજન 147 કિલો જેટલું હોય તે માનવામાં આવે તેવું નથી, પણ આ સત્ય છે. જાપાનમાં સેમી નામની આ કિશોરીને અહીંની ટોપ સુમો સ્કૂલમાં એડમિશન મળી ગયું હતું, પણ સમયાંતરે સેમીને આ સ્કૂલ બહુ કપરી લાગવા લાગી કારણ કે સ્કૂલના નિયમ પ્રમાણે તેણે સવારે પાંચ વાગે ઊઠી જવું પડતું અને બીજા વિદ્યાર્થીઓ માટે નાસ્તો પણ બનાવવો પડતો હતો.આ પહેલા સેમી 2008માં એસ્ટોનિયામાં યોજાયેલી સુમો રેસલિંગ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણચંદ્રક પણ જીતી ચૂકી છે. સુમો સ્કૂલમાં બસ તેને આખો દિવસ ખવડાવવામાં જ આવતું હતું, જ્યાં સુધી તે ઈંડા અને માંસને પાંચ વાટકા પૂરા ન કરે ત્યાં સુધી તેના ટીચર તેને હલવા પણ નહોતા દેતા.સેમીએ દરરોજ દિવસમાં ત્રણ વખત 5500 કેલરીયુક્ત ખોરાક ખાવો પડતો હતો. સેમીનું વજન પહેલા કરતાં ઘણું વધી ગયું છે. જો કે સેમી આ ડાયેટથી જરા પણ ખુશ નથી. જ્યારે તેણે પોતાની તકલીફની વાત પિતા વોરેનને કરી ત્યારે તેઓ બહુ જ દુઃખી થઈ ગયા હતા કારણ કે અહીંયા આવ્યા બાદ સેમી બહુ જ નાખુશ દેખાતી હતી.


ત્રીજા ધોરણની વિદ્યાર્થિનીને બ્લુ ફિલ્મ દેખાડી

સરકારી શાળા શેરપુર કલાંની આઠમા ધોરણની વિદ્યાર્થિનીના દફતરમાંથી દારૂની બોટલ મળવાનો મામલો હજી લોકોની જીભ પર રમી રહ્યો છે, ત્યારે રામગઢ સીનિયર સેકન્ડરી શાળાની ત્રીજા ધોરણની વિદ્યાર્થિનીને અશ્લીલ ફિલ્મ બતાવાના મામલાએ ભારે ચર્ચા અને રોષ પેદા કર્યો છે.પોલીસે આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી મોબાઈલ ફોન કબ્જે કર્યો છે. ગત 24 ઓગસ્ટે રક્ષાબંધનના અવસરે શાળામાં રજા રાખવામાં આવી હતી. પરંતુ તેની જાણ ન હોવાથી ગામની જ એક ત્રીજા ધોરણની વિદ્યાર્થિની શાળાએ પહોંચી ગઈ હતી. તે સમયે કોઈ અન્ય વિદ્યાર્થી કે શિક્ષક શાળાએ ન હતા. શાળાની પાસેથી પસાર થઈ રહેલા એક 34 વર્ષીય વ્યક્તિએ વિદ્યાર્થિનીને એકલી જોતા તેની આવ્યો અને તેને રસોડામાં લઈ ગયો હતો. ત્યાં આ વ્યક્તિએ વિદ્યાર્થિનીને મોબાઈલમાં અશ્લીલ વીડિયો દેખાડીને અશ્લીલ હરકતો કરી હતી.વિદ્યાર્થિની કોઈ રીતે ત્યાંથી ભાગી નીકળી અને તેની જાણકારી આસપાસના લોકોને આપી હતી. લોકોના ભેગા થવાથી મામલો સમજૂતી માટે પ્રતિષ્ઠિત લોકો પાસે પહોંચી ગયો. પરંતુ યુવતીની માતાએ સિધવાં બેટ પોલીસ સ્ટેશનમાં પોલીસને મામલાની જાણકારી આપી હતી. પોલીસે તપાસ બાદ મનસીહા ભાઈ નિવાસી ગામના જગસીર સિંહ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. સિધવાં બેટના એએસઆઈ નિર્મલ સિંહે જણાવ્યું હતું કે આરોપીને કાબૂમાં કરીને તેનો મોબાઈલ કબ્જે કરવામાં આવ્યો હતો.


ઝારખંડ : 10મું વર્ષ, 8મી સરકાર

કેન્દ્ર સરકારની કેબિનેટે ઝારખંડમાં રાષ્ટ્રપતિ શાસનને દુર કરવાને મંજૂરી આપી દીધી છે. જેના કારણે રાજ્યમાં ભાજપ અને ઝારખંડ મુક્તિ મોરચાની યુતિ સરકારની રચનાનો માર્ગ મોકળો થઈ ગયો છે.રાજ્યપાલ ફારૂક દ્વારા કેન્દ્ર સરકારના ગૃહ વિભાગને એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાંથી રાષ્ટ્રપતિ શાસનને દુર કરવાની ભલામણ કરવામાં આવી હતી. વધુમાં તેમણે અર્જુન મૂંડાને ટેકો આપી રહેલા ધારાસભ્યોની યાદી પણ મોકલી હતી. મળતી માહિતી પ્રમાણે, અર્જુન મૂંડા સરકાર શનિવારે શપથ લેશે. આ માટે અર્જુન મૂંડાને ઔપચારિક આમંત્રણ પ ણ મોકલી દેવામાં આવ્યું છે. તેમણે સાત દિવસની અંદર બહુમતિ પૂરવાર કરવાની રહેશે.જોકે, રાજકીય પંડીતોના કહેવા પ્રમાણે, આ જોડાણ તકવાદી હોવાના કારણે કેટલું ટકશે તે અંગે શંકા છે. કારણકે, ગુરૂજી શિબુ સોરેન તેમના પુત્રને મુખ્યપ્રધાન બનાવવા માગે છે અથવા તો ખુદ મુખ્યપ્રધાન પદ પર રહેવા માગે છે. જેના કારણે, તેઓ ગમે ત્યારે અન્ય પક્ષના સમર્થનમાં ખસી શકે છે. વળી, ઝામુમોના વિધાનસભ્યોમાં અનેક ધારસભ્ય પ્રધાન બનવા માગે છે. આથી પક્ષમાં આંતરિક બળવો પણ થઈ શકે છે.ઉલ્લેખનીય છેકે, આ પહેલા શિબુ સોરેન ભાજપ-ઝામુમો યુતિ સરકારના મુખ્યપ્રધાન હતા. પરંતુ. લોકસભામાં મતદાન સમયે તેમણે યુપીએના સમર્થનમાં મતદાન કરતા ભાજપે ટેકો પાછો ખેંચી લીધો હતો



સ્પોટ ફિક્સિંગઃ વહાબની પૂછપરછ થશે

સ્પોટ ફિક્સિંગમાં ત્રણ પાકિસ્તાની ખેલાડીઓની પૂછપરછ કરાયા બાદ તપાસ ચલાવી રહેલી સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા ચોથા પાકિસ્તાની ક્રિકેટરની પૂછપરછ કરવાની છે. સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે પાકિસ્તાનના મીડિયમ પેસર વહાબ રિયાઝને પાકિસ્તાન-ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચમાં સ્પોટ ફિક્સિંગ મામલે તપાસ પ્રક્રિયામાં સમાવ્યો છે. અને આગામી સપ્તાહમાં પોલીસ સમક્ષ પૂછપરછ અર્થે હાજર થવા ફરમાન કરાયું છે.આ ઉપરાંત સ્કોટલેન્ડ યાર્ડ પોલીસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલને ઇંગ્લેન્ડ અને પોકિસ્તાન વચ્ચે લોર્ડ્સ ટેસ્ટમાં સ્પોટ ફિક્સિંગ અંગે તપાસ કરતા અટકાવ્યું છે. એક પત્રમાં સ્કોટલેન્ડે આઇસીસીને કહ્યું કે, એક જ મામલામાં બે સમાંતર તપાસ પ્રક્રિયાથી મુશ્કેલીઓ આવી રહી છે. અને તેથી આઇસીસી હાલ પુરતી પોતાની તપાસ પ્રક્રિયા રોકી દે.ધ ન્યૂઝ ઓફ વર્લ્ડ દ્વારા લોર્ડ્સમાં રમેયાલી ઇંગ્લેન્ડ પાકિસ્તાન વચ્ચેની ચોથી ટેસ્ટ દરમિયાન સ્પોટ ફિક્સિંગ અંગે ચોંકાવનારો ખુલાસો કર્યા બાદ ચર્ચા થઇ રહી હતી કે પાકિસ્તાનના સાત ખેલાડીઓ શંકાના ઘેરામાં છે. અખબારે દાવો કર્યો હતો કે તેઓએ બૂકી મઝહર મજીદને દોઢલાખ પાઉન્ડ આપીને લોર્ડ્સ મેચમાં પાકિસ્તાની ખેલાડીઓ દ્વારા ફેંકવામાં આવેલી નો-બોલ અંગે જાણકારી મેળવી હતી.


શાર્કના પેટમાંથી મળ્યા માનવ અંગ

તાજેતરમાં બ્રિટનના માછીમારો એક શાર્કને જોઇને આશ્ચર્ય ચકિત થઈ ગયા. માછીમારોએ પકડેલી આ શાર્કના પેટમાંથી માથા સિવાયના માનવીય અવશેષો નીકળ્યા હતા. માછીમારો જ્યારે બહામસના કિનારે આ 12 ફૂટ લાંબી શાર્કને ખેંચીને લાવ્યા તો તેના આરી જેવા દાંતમાં માનવીના પગ ચોંટેલા હતા. માછીમારો ત્યારબાદ આ માછલીને નૌસેના પાસે લઈ ગયા હતા.જ્યારે આ માછલીને કાપવામાં આવી ત્યારે તેના પેટમાંથી બે પગ, બે હાથ અને ધડના અવશેષો પણ મળ્યા હતા. પોલીસ અત્યારે એ શોધખોળમાં પડી છે કે ખરેખર આ શબ કોનું હશે. આ માટે અહીંના ગુમ થયેલા લોકોનું લિસ્ટ ચકાસવામાં આવી રહ્યું છે. જો કે વિશ્ષજ્ઞોનું એવું માનવું છે કે સામાન્ય રીતે આવી ટાઇગર શાર્ક કોઈ માણસ પર હુમલો નથી કરતી.


શાહના કેસમાં તારીખ પે તારીખનો ઘાટ સર્જાયો

પૂર્વ કાયદા તથા ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની જેલમાંથી મુક્તિ પર ગ્રહણ લાગ્યુ હોય તેમ જામીન અરજીની સુનાવણીમાં તારીખ પર તારીખ પડી રહી છે. શાહના જામીન અરજીની સુનાવણીમાં અગાઉ બંને પક્ષના સિનિયર વકીલો હાજર ન રહેતાં ત્રણ વખત મુદ્દત પડી હતી.જ્યારે ગુરુવારે બંને પક્ષના વકીલો હાજર હતા પરંતુ સીબીઆઇ સેશન્સ જજ પી.પી. ભટ્ટ નાદુરસ્ત તબિયતના કારણે રજા પર હોવાથી સુનાવણી હાથ ધરી શકાઈ નહોતી. આથી બન્ને પક્ષે વકીલોએ મળીને જામીન અરજીની સુનાવણી માટે ૧૬મી સપ્ટેમ્બર નક્કી કરી હતી. આમ શાહનો જેલવાસ ફરી એક અઠવાડિયું લંબાઈ ગયો છે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં તપાસ કરી રહેલી સીબીઆઇએ ગુજરાતના માજી ગૃહ તથા કાયદા રાજ્યમંત્રી અમિત શાહની ધરપકડ કરી હતી. તેમને કોર્ટના આદેશથી તપાસ માટે સાબરમતી જેલમાં રાખવામાં આવ્યા છે. ધરપકડ બાદ અમિત શાહે જામીન માટે અરજી કરી હતી.

No comments:

Post a Comment