29 August 2010

હારનો ભાર લઇ ટીમ ઇન્ડિયા સ્વદેશ પરત

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


હારનો ભાર લઇ ટીમ ઇન્ડિયા સ્વદેશ પરત

ગઇકાલે માઇક્રોમેક્સ ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં શ્રીલંકા સામે હારનો સ્વાદ ચાખ્યા બાદ ધોનીના ધુરંધરો આજે ભારત પરત ફરી છે. ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આજે સવારે શ્રીલંકાથી ચેન્નાઇ ખાતે પહોંચ્યા હતા.મહેન્દ્ર સિંહ ધોની કે જે, આઇપીએલની ચેન્નાઇ સુપર કિંગ્સનો પણ સુકાની છે તે આઇપીએલની ટીમ દ્વારા મુથૈયા મુરલીધરન માટે આયોજીત કરવામાં આવેલા કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતાઓ છે.મુથૈયા મુરલીધરન કે જેણે ગોલ ટેસ્ટ દરમિયાન ભારત સામે આઠ વિકેટ મેળવીને ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ હાંસલ કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જે બદલ આઇપીએલની ચેન્નાઇની ટીમ દ્વારા સોમવારે સાંજે આ મુરલીધરનનો સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.


મેળા બહાર જગ્યા પર કબજો કરી ‘રોકડી’ની પેરવી

રેસકોર્સમાં લોકમેળાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજી બાજુ મેળાના મેદાનની બહાર સંકુલમાં જ બેસતા અન્ય પાથરણાવાળા વેપારીઓ પાસેથી રોકડી કરવા માટે દર વર્ષે મેદાનમાં ઉતરતા લેભાગુ તત્વો ફરી સક્રિય થયા છે. તેઓએ અત્યારથી જ દીવાલો પર પોતાના નામ લખી જગ્યા પર કબજો જમાવી લીધો છે. આ જગ્યા રૂ. ૨ હજારથી પ હજારમાં વેચી મારવાનો ઇરાદો હોવાનું પણ જાણવા મળ્યું છે.દર વર્ષે આ કૌભાંડ થયા કરે છે. જો કે ગત વર્ષે મ્યુનિ. કમિશનર ડૉ. બ્રહ્મભટ્ટે પાથરણાવાળા વેપારીઓ પાસેથી સત્તાવાર રીતે વહીવટીચાર્જ વસૂલી વેપાર માટે કાયદેસર રીતે જગ્યા આપવાનું શરૂ કરી દેતા આ કૌભાંડને રોક લાગી હતી પણ આ વર્ષે ફરી કૌભાંડકારો મેદાને આવી ગયા છે.મેળાના મેદાનની બહાર બહુમાળી ભવન અને મેયર બંગલા સામે બાલભવનથી લઇ છેક રેસકોર્સના મેદાન સુધી દીવાલ પર વિવિધ નામો લખી જગ્યા પર કબજો જમાવી લેવામાં આવ્યો છે. મિથુન, ઉસ્તાદ, સુલેમાન જેવા આવા નામો હાલ દીવાલો પર ચિતરાયેલા છે. આ તમામ જગ્યાઓ મેળાના એકાદ-બે દિવસ પૂર્વે રૂ. ૨ હજારથી લઇ રૂ. પ હજારમાં બારોબાર સોદો કરી નાખી જબરી કમાણી કરી લેવાના ઇરાદા સાથે આ કારસ્તાનની ગોઠવણી કરવામાં આવે છે.દરમિયાન, આ અંગે મ્યુનિ. કમિશનરે વિજિલન્સ બ્રાન્ચને તપાસનો આદેશ આપી આ રીતે કોઇ જગ્યા પર કબજો જમાવવાનો પ્રયાસ કરે તો તેની સામે ફોજદારી સહિતના પગલાં લેવાનો આદેશ આપ્યો છે. મેળાના દિવસો દરમિયાન સતત વિજિલન્સ ચેકિંગનો પણ હુકમ મ્યુનિ. કમિશનરે કર્યો છે.


મેચ ફિક્સિંગ કાંડઃ મજીદનું ભારતીય જોડાણ

આજે પણ ક્રિકેટમાં મેચ ફિક્સિંગ કરવામાં આવી રહી છે તે અંગે એક સમાચારપત્ર દ્વારા કરવમાં આવેલ સ્ટિંગ ઓપરેશનથી ક્રિકેટ જગતમાં ખડભડાટ મચી ગયો છે. આ સ્ટિંગ ઓપરેશનમાં પાકિસ્તાન ક્રિકેટ ટીમનું નામ ખરડાયું છે. લોર્ડ્સ ખાતે રમાઇ રહેલી ઇંગ્લેન્ડ-પાકિસ્તાન વચ્ચેની શ્રેણીની અંતિમ મેચ ફિક્સિંગ કરવા માટે પાકિસ્તાનના કેટલાક ખેલાડીઓ સામેલ હોવાનો ખુલાસો ઇંગ્લેન્ડના અખબાર ધ ન્યૂઝ ઓફ વર્લ્ડે કર્યો છે.ટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા મેચ ફિક્સિંગમાં પકડવામાં આવેલા બૂકી મઝહર મજીદનું ભારતીય બુકીઓ સાથે પણ જોડાણ હોવાનું બહાર આવ્યું છે. મઝહર મજીદે ધ ન્યૂઝ ઓફ વર્લ્ડના સ્ટિંગ ઓપરેશનમાં કહ્યું હતું કે, જ્યાં સુધી ભારતીય બજાર ખૂલ્યા નથી હોતા ત્યાં સુધી કોઇ મોટી પ્રવૃતિ થતી નથી.લોર્ડ્સ ખાતેની મેચમાં પાક ખેલાડીઓએ પૈસા લઇને નો-બોલ ફેંક્યો હતો. તેવું બ્રિટિશ અખબારના સ્ટિંગમાં બહાર આવ્યા બાદ સ્કોટલેન્ડ યાર્ડ પોલીસ દ્વારા પાક સુકાની સલમાન બટ્ટ, મો. આમિર, મો. આસિફ સહિતના ચાર ખેલાડીઓની પુછપરછ કરવામાં આવી હતી. આ જ વીડિયોમાં માજીદે જણાવ્યું છે કે, તે ભારત સ્થિત બૂકીઓને પણ જાણે છે.



જરૂર પડે નરેન્દ્ર મોદી બિહારમાં પ્રચાર કરશે: કલરાજ મિશ્રા

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સેવાઓની જરૂર પડશે, તો તેઓ બિહારની મુલાકાતે આવીને ભાજપના ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર કરશે.પત્રકારો દ્વારા ભાજપના નેતા કલરાજ મિશ્રાને પુછવામાં આવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી બિહારમાં ચૂંટણી પ્રચાર માટે આવશે, તો તેના જવાબમાં મિશ્રએ કહ્યું હતું કે જો જરૂર પડશે, તો મોદી અથવા અન્ય કોઈ ભાજપના શીર્ષસ્થ નેતાને આ વર્ષે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો પ્રચાર કરવાનું કહેવામાં આવશે.મિશ્રાએ ગુજરાત, કર્ણાટક અને મધ્ય પ્રદેશની ભાજપની સરકારોના કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વખાણને ટાંક્યા હતા. તેમણે કહ્યું હતું કે આ રાજ્યોમાં લઘુમતીઓના કલ્યાણ માટેનું કાર્ય તેમની પાર્ટીની સેક્યુલર ઓળખ દર્શાવે છે.બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ પહેલા જમીની તૈયારી માટે આવેલા ભાજપના નેતા કલરાજ મિશ્રએ કહ્યું હતું કે એનડીએ અહીં બીજી વખત સત્તા પર આવશે, તો આગામી પાંચ વર્ષમાં બિહાર વિકસિત રાજ્ય બની જશે.મિશ્રાએ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર દ્વારા બિહાર સાથે અપર માતા જેવું વર્તન કરવામાં આવે છે. તેને વિશેષ દરજ્જો પણ અપાતો નથી અને ન તો તેને દુકાળ અને પૂરની પરિસ્થિતિમાં સંપૂર્ણ મદદ કરતી. તેમ છતાં નીતિશ કુમારના નેતૃત્વમાં એનડીએની સરકારે દરેક મોરચે સારો દેખાવ કર્યો છે.


પિતૃત્વની રજા લેનારા કેમરોન પ્રથમ બ્રિટિશ PM

આ જ સપ્તાહે એક બાળકીના પિતા બનેલા બ્રિટિશ પ્રધાનમંત્રી ડેવિડ કેમરોન 'પિતૃત્વની રજા' પર જવા માટે તૈયાર થઈ ગયા છે. તેઓ આ પ્રકારની રજા ભોગવનારા પ્રથમ બ્રિટિશ પ્રધાનમંત્રી છે.કેમરોનની પત્ની સામન્થાએ આ સપ્તાહે પોતાની ચોથી સંતાન ફ્લોરેન્સ રોઝ એન્ડેલિયનને જન્મ આપ્યો છે અને પ્રધાનમંત્રી આ કારણોસર ખૂબ જ ખુશ છે. પ્રધાનમંત્રી પદ પર રહીને નવા સંતાનના પિતા બનનારા કેમરોન બીજા પ્રધાનમંત્રી છે.આ પહેલા ટોની બ્લેરને આ ગૌરવ પ્રાપ્ત થયું હતું. બ્લેર સરકારના કાર્યકાળમાં વર્ષ 2003માં બનાવવામાં આવેલા કાયદા અંતર્ગત નવા બનેલા પિતા બે સપ્તાહની કાયદેસર રજા મેળવી શકે છે.ઉપપ્રધાનમંત્રી નિક ક્લેગે એક રેડિયો સ્ટેશનને કહ્યું છે કે કેમરોન ખરેખર એક યુવાન પિતાની જેમ કેટલોક સમય પિતૃત્વની રજા ભોગવવા માગે છે. આ સમયગાળા દરમિયાન તેમની જવાબદારી નિક ક્લેગ સંભાળશે. કેમરોન કઈ તારીખથી ફરી પદ સંભાળશે તે હજુ જાહેર થયું નથી.


કાલે શાહને જામીન મળશે કે જેલ?

આવતીકાલે અમિત શાહના જામીન અંગેની સુનવણી હાથધરાશે, જો શાહને જામીન મળશે તો પાંત્રિસ દિવસના જેલવાસ બાદ જેલની બહાર આવશે માટે હવે આવતીકાલના જેલના આદેશ પર એ વાતનો આધાર છે કે માજી ગૃહરાજ્યમંત્ર અમિત શાહને જેલ મળશે કે જામીન.સાબરમતી જેલમાં રખાયેલા રાજ્યના માજી ગૃહ રાજ્યમંત્રી અમિત શાહની જામીન અંગેની અવતીકાલે સુનવણી છે. શાહની જામીનની સુવણી અંગે રાજ્યભરના લોકોમાં ભારે ઉત્તેજના છે, અમિત શાહ તેમના જેલવાસ દરમીયાન સીબીઆઇની ત્રણ દિવસની પુછપરછ તથા બે દિવસના રીમાન્ડનો સામનો કરી ચુક્યા છે. જ્યારે સ્વાતંત્રય દિન ૧૫મી ઓગષ્ટ તથા રક્ષાબંધન પણ જેલમાં ઉજવી ચુક્યા છે.દેશભરમાં ચર્ચાનો વિષય બની રહેલા સોહરાબુદ્દીન એન્કાઉન્ટર તથા કૌશરબી હત્યા પ્રકરણમાં સીબીઆઇએ માજી ગૃહરાજ્યમંત્રી અમિત શાહ સહિત કુલ ૧૮ આરોપીઓ સામે સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં ચાર્જસીટ ફાઇલ કરી હતીજોકે ધરપકડ પહેલા શાહે કરેલી આગોતરા જામીનની અરજી સબમીશનના સ્ટેજે રદ કરાઇ હતી.અમિત શાહની ધરપકડ બાદ શાહે જામીન માટે સ્પેશિયલ સીબીઆઇ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી તેની સુનવણી આવતીકાલે હાથધરવામાં આવનાર હોઇ સૌને શાહને જામીન મળશે કે કેમ તે જાણવાની ઉત્તેજના છે.


રાજકોટમાં સરેરાશથી બે ગણો વરસાદ: ૪૦ ઇંચને વટી ગયો

શહેરમાં છેલ્લા બે દિવસથી સાંજે વરસાદ વરસી રહ્યો છે. ગઇકાલે બે ઇંચ વરસાદ પડ્યા બાદ આજે સાંજે વધુ પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો. વીજળીના ગાજવીજ સાથે વરસાદે હેત વરસાવ્યું હતું. રાજકોટનો સરેરાશ વરસાદ ૨૦ ઇંચ છે. પણ આ વર્ષે ૪૦ ઇંચે પહોંચી ગયો છે.બપોર સુધી અસહ્ય બફારાથી શહેરીજનો ઉકળી ઉઠ્યા હતા અને સાંજે પાંચ વાગ્યા પછી શહેર ઉપર ઘેરાયેલા કાળા ભમ્મર વાદળોએ વરસવાનું શરૂ કરતાં પોણો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. એટલે કે ૪૦ ઇંચ વરસાદથી રાજકોટમાં બે ચોમાસા જેટલો વરસાદ વરસાવી ગયા છે.આજે વરસાદ પડતા શહેરમાં મોસમનો કુલ વરસાદ ૪૦ ઇંચથી વધુ જેટલો થઇ ગયો છે. સાંજે વરસાદ વરસી પડતા ગરમીથી લોકોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ સાથે સાથે રસ્તાઓ અને નીંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં હાલાકી ભોગવી હતી, અનેક વાહનચાલકો પરેશાન થયા હતા. રાજકોટમાં ચોમાસાની સીઝનનો સરેરાશ એવરેજ ૨૦ થી ૨૫ ઇંચ છે પરંતુ આ વર્ષે મેઘરાજા મહેરબાન પણ હોય તેમ અત્યાર સુધીમાં ૪૦ ઇંચ જેટલો વરસાદ વરસાવી ગયા છે. જન્માષ્ટમી પર્વ વેળાએ જ વરસાદ પડતાં મેળાના ગ્રાઉન્ડમાંપાણીના ખાબોચિયા ભરાઇ ગયા હતા.


નવા રેશનકાર્ડ માટે ૨.૭૫ લાખ શહેરીજનોએ ફોર્મ ભર્યા

શહેર તેમજ જિલ્લામાં નવા બારકોડેડ રેશનકાર્ડ ઇસ્યૂ કરવા માટે ફોર્મ ભરવા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી રેશનકાર્ડની દુકાનો પર ૩૧ ઓગસ્ટ સુધી અને ત્યાર બાદ ૧/૯થી ૧૫/૯ સુધી પુરવઠા તંત્રની બન્ને ઝોનલ કચેરી ખાતે ચાલુ રહેશે. આ ઉપરાંત જે ફોર્મ ભરાયા છે તેની ચકાસણીનું કામ ૧ સપ્ટેમ્બરથી હાથ ધરવા ૨૫૦ કર્મચારી તથા ૨૫ નાયબ મામલતદાર મળી ૨૭૫ના સ્ટાફની ફાળવણી કરવામાં આવી છે.હજુ ચાર દિવસ રેશનકાર્ડની દુકાનો પર ફોર્મ ભરાશે ત્યાર બાદ ૧ થી ૧૫-૯ સુધી પુરવઠા તંત્રની બન્ને ઝોનલ કચેરી ખાતે ફોર્મ મળશે અને જમણે ફોર્મ ન ભર્યા હોય તે આ સમય દરમિયાન ભરી શકશે. જ્યાર ૧૬/૯થી ફોર્મ નં. ૨ પણ ભરવું પડશે. રાજકોટ શહેરમાં ૩.૧૮ લાખ કાર્ડ હોલ્ડર પૈકી ૨.૭૫ લાખ કાર્ડ હોલ્ડરોએ ફોર્મ ભર્યા છે જ્યારે હજુ ૪૩ હજાર કાર્ડ હોલ્ડરોએ ફોર્મ ભર્યા નથી. રાજકોટ જિલ્લામાં ૧૦ લાખ કાર્ડ હોલ્ડરો છે જે પૈકી ૮૬ ટકાએ ફોર્મ ભર્યા છે.આગામી ૧/૯ થી નવા બારકોડેડ રાશનકાર્ડ માટેની ક્રોસ ચકાસણી શરૂ થશે. જેમાં ખોટી માહિતી, મતદારયાદીના નંબર તથા ચૂંટણી ઓળખપત્રના ક્રમાંકમાં ફેરફાર જણાયે ભરાયેલું ફોર્મ રદ્દ કરવામાં આવશે


વોડાફોને કર્યા એલર્ટ, બ્લેકબેરી થશે બંધ

લાગે છે કે ભારતમાં બ્લેકબેરી સર્વિસ બંધ થવાનુ નક્કિ છે. ખાસ કરીને ભારતમાં મોબાઇલ સર્વિસ આપનારી કંપનીયોની નીતિ તો આ જ લાગી રહી છે. મોબાઇલ ઑપરેટર વાડાફોને પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે કે આ જ મહિનાના અંતમાં બ્લેકબેરી સર્વિસ બંધ થઈ શકે છે.જોકે સરકારે બ્લેકબેરીને એવી સિસ્ટમ ડેવલપ કરવાનુ કહ્યું છે જેનાથી તેના ઈમેલ અને મેસેજ સર્વિસ પર સુરક્ષા એજન્સિયોની નજર રહી શકે. આ માટે 31 ઑગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે. પરંતુ હજુ સુધી સરકાર અને બ્લેકબેરી બનાવનાર કેનેડાની કંપની રિસર્ચ ઇન મોશન (રિમ) વચ્ચેની વાતચીતમાં કોઈ ખાસ પરિણામ નથી નીકળી શક્યુ.
આ જ કારણ છે કે હવે વોડાફોને પોતાના ગ્રાહકોને એલર્ટ કર્યા છે કે 31 ઑગસ્ટ પછી બ્લેકબેરીની સર્વિસ બંધ થશે. પરંતુ આ સાથે વોડાફોને પોતાના ગ્રાહકો માટે એક રસ્તો પણ શોધ્યો છે. વોડાફોને કહ્યુ કે જો સર્વિસ બંધ થાય તો ક્લાઇન્ટ એન્ટરપ્રાઇઝ મેલ, બ્લેકબેરીની વેબસાઇટ ઉપર જઇને વાચી શકે છે. જોકે રિયલ ટાઇમ દ્વારા થોડી વાર લાગશે.ત્યાજ બીજી તરફ મોબાઇલ ઑપરેટરર્સ સંગઠન 'સેલ્યૂલર ઑપરેટર્સ એસોસિએશન ઑફ ઇન્ડિયા'ને આશા છે કે 31 ઑગસ્ટ પહેલા કઈક રસ્તો નિકળશે. અને જો આવુ ન થાય તો તેઓ વિવાદની પતાવટ માટે કેટલાક વધુ સમયની માંગ પણ કરી શકે છે.


ઐશ્વર્યા રાય : કૃત્રિમ કે કમાલની?

એક જણ એવું માનતો હોય કે ઐશ્વર્યા રાય ફિક્કી, કૃત્રિમ અને લુચ્ચી દેખાય છે અને બીજો એવું માનતો હોય કે ઐશ્વર્યાનું સૌંદર્ય પરફેક્ટ છે. આમાં સંવાદ ક્યાં આવ્યો?વાત એ ચાલી રહી હતી કે ઇશ્વર આપણો ‘ગુપ્ત મિત્ર’ બન્યા પછી પણ પોતાનું ‘સુંદર મૌન’ જાળવી રાખે તો સારું પડે. ઇશ્વર આપણને ચૂપચાપ સાંભળે એનાથી રૂડું શું? બાકી તો દોસ્તો સાથેની વાતચીતમાં સૌથી મોટી સમસ્યા એ જ હોય છે કે બન્ને પાર્ટી પોતપોતાની વાત કહેવા માટે ઉત્સુક હોય છે. માણસને સાંભળવામાં ઓછો અને કહેવામાં વધુ રસ હોય છો. ઘણી વાર તો આપણે કોઈને ફક્ત એટલા માટે જ સાંભળી લેવા તૈયાર થઈએ છીએ કે જેથી પછી આપણે સામેવાળાને આપણી વાતો કહી શકીએ. બે જણ વાતો કરતા હોય ત્યારે એક પોતાની લડાખની ટ્રિપ વિશે બોલે ત્યારે બીજો અંદરખાને સતત એ વાતે થનગનતો હોય છે કે ક્યારે પેલો લડાખની વાત પૂરી કરે અને ક્યારે હું મારી યુરોપની ટ્રિપની વાત શરૂ કરું.ફની તો ફની, આ એક માનવસહજ વૃત્તિ છે. પણ આ વૃત્તિ સંવાદમાં વચ્ચે આડી આવતી હોય છે. લડાખ-યુરોપની વાતો તો ખેર, માત્ર પ્રવાસવર્ણન છે. એટલે એમાં એકમેકની વાતો વચ્ચે કાપવામાં આવે તો પણ યુરોપવાળો લડાખ વિશે અને લડાખવાળો યુરોપ વિશે જાણકારી મેળવી શકે. પણ જ્યારે અભિપ્રાયોની આપ-લે (અસલમાં યુદ્ધ) ચાલે ત્યારે સંવાદ ઓછો અને વિસંવાદ વધુ થતો હોય છે. જેમ કે, નરેન્દ્ર મોદીનો તરફદાર અને વિરોધી જ્યારે વાતે ચડે ત્યારે તેઓ એકમેકને સ્વીકારવામાં નહીં, એકમેકને ‘વટલાવવામાં’ વધુ રસ ધરાવતા હોય છે. મોદીપ્રેમીને એ નથી સમજાતું કે સામેવાળો ડોબો મોદીની મહાનતા સમજી કેમ નથી શકતો.બીજી તરફ, મોદીવિરોધીને એવું લાગે મોદીપ્રેમી આંધળો છે, બહેરો છે, એણે મગજની બધી બારીઓ બંધ કરી રાખી છે. સરવાળે, અભિપ્રાયોનાં યુદ્ધો ને પોતપોતાના અભિપ્રાયો બદલવાનું તો દૂર રહ્યું, ઊલટાનું, વાતચીતને અંતે બન્ને પાર્ટી પોતપોતાના અભિપ્રાયો બાબતે પહેલાં કરતાં પણ વધુ મક્કમ બને એવી શક્યતા વધુ છે. તમે જ કહો, એક જણ એવું માનતો હોય કે ઐશ્વર્યા રાય ફિક્કી, કૃત્રિમ અને લુચ્ચી દેખાય છે અને બીજો એવું માનતો હોય કે ઐશ્વર્યાનું સૌંદર્ય પરફેક્ટ છે, હવે આ બે જણ જો વાતે વળગે તો પાંચ મિનિટના અંતે બેમાંથી કોઈ પોતાનો અભિપ્રાય તો નહીં જ બદલે, ઊલટાના પહેલાં કરતાં પણ વધુ ઐશ્વર્યાચાહક કે ઐશ્વર્યાધિક્કારક બનીને ઊભરશે.તો, આમાં સંવાદ ક્યાં આવ્યો? સંવાદ ત્યારે જ શક્ય છે જ્યારે બન્ને, અથવા તો કમસે કમ એક પક્ષ સામેવાળાની વાત પૂરેપૂરી ધીરજથી, પ્રેમથી, સમજપૂર્વક, નિરાંતે, ચૂપચાપ સાંભળે. માટે, ઇશ્વર નામના અંગત અને ગુપ્ત મિત્ર સાથે વાતે વળગીએ ત્યારે એ જો મૌન રહે તો સુંદર ‘સંવાદ’ થાય. આપણી અંદર જે કંઈ છે એ બધું બહાર આવે. ઈશ્વર આપણને રોક્યા વિના, વખોડ્યા વિના શાંતિથી સાંભળતો જ રહે, સાંભળતો જ રહે તો એમાં મોટો ફાયદો એ થાય કે આપણો આઈકયુ વધે, આપણી વિચારશક્તિ વધે, આપણો દ્રષ્ટિકોણ વધુ વ્યાપક બને. કઈ રીતે? આ રીતે.માની લો કે એક ભાઈ પોતાના નિકટતમ અને ગુપ્તતમ એવા મિત્ર ઇશ્વર સાથે વાતે વળગ્યા છે. એ ઇશ્વર સમક્ષ ફરિયાદ કરી રહ્યા છે કે એમની પત્ની કેટલી હોરબિલ છે. આવામાં, ઇશ્વર તેની વાત વચ્ચે કાપે જ નહીં અને બોલનાર સાચો છે કે ખોટો એ વિશે કશી કમેન્ટ કરે જ નહીં, તો શક્ય છે કે બોલનાર માણસ પહેલાં તો પત્ની વિશે ખૂબ ઝેર ઓકે, ખૂબ ઝેર ઓકે, પણ છેવટે થાકે. બધી નેગેટિવિટી (નકારાત્મકતા) ઠલવાયા બાદ એને એની પત્ની વિશે કંઇક તો સારું સૂઝશે જ જેમ કે ‘એ છોકરાંવ સારી રીતે ઉછેરે છે...


વિમાનોના અવાજથી ફ્રાંસમાં હજારો મરઘીઓના મોત

ફ્રાંસના એક ખેડૂતે પોતાની 4800 મરઘીઓના મોતના બદલ 19000 ડોલરના વળતરની માંગ કરી છે. તેમનું કહેવું છે કે તેના ચિકન ફાર્મ પરથી બે યુદ્ધના જેટ વિમાનો પસાર થતાં તેના બુલંદ અવાજોથી અહીંની મરઘીઓ એટલી બધા ડરી ગઈ કે તેમનો જીવ નીકળી ગયો.રેડિયો ફ્રાંસ ઈન્ટરનેશનલના રીપોર્ટ પ્રમાણે મરઘીઓના પોસ્ટમોર્ટમ પરથી એવું સામે આવ્યું છે કે મંગળવારે જ્યારે વિમાનો પસાર થયા ત્યારે આ મરઘીઓ જીવતી હતી. ચિકન ફાર્મર એટીન લી મેહોટ જણાવે છે કે આ વિમાનોનો અવાજ એટલો બધા હતો કે દીવાલો પણ ધ્રુજી ઊઠી હતી.આ અવાજથી દસ મહિનાની મરઘીઓ એટલી બધી ડરી ગઈ હતી કે એકબીજામાં લપાઈને બેસી ગઈ હતી.જેમાં ગૂંગળાઈને 5000 જેટલી મરઘીઓના મોત થયા હતા. આ ખેડૂતે લગભગ 68,000 જેટલી મરઘીઓ પાળી રાખી હતી. ફ્રાંસના રક્ષણમંત્રીને એવો દાવો છે કે વિમાનના અવાજના કારણે મરઘીઓના મોત થાય તે શક્ય નથી.

No comments:

Post a Comment