29 August 2010

૧૫ હજાર કિ.મી.ના બસ રૂટો રદ્

visit our website ranako.com for variety of news and views of rajkot with

૧૫ હજાર કિ.મી.ના બસ રૂટો રદ્દ

સાતમ-આઠમના તહેવારોના ટાંકણે જ કચ્છમાં દયાપર-નલિયામાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં ૧૦૦ બસો ફાળવાતાં અંદાજિત ૧૫૦૦૦ કિ.મી.ના બસ રૂટો બંધ કરી દેવાયા છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ દરેક ગરીબ કલ્યાણ મેળામાં એસ.ટી. તંત્ર દ્વારા ૫૦ બસો ફાળવવામાં આવે છે. આજે તા. ૨૯/૮ ના દયાપર અને નલિયામાં એક સાથે બે મેળાનું આયોજન કરાયું છે જેમાં એસ.ટી. તંત્ર દ્વારા ૧૦૦ બસો શનિવારથી જ તૈનાત કરી દેવાઇ છે.સત્તાવાર સૂત્રોએ કહ્યું કે, એક બસ દિવસ દરમિયાન આઠ ટ્રીપો કરતી હોય છે. એટલે ૧૦૦ બસોના અભાવે ૮૦૦ ટ્રીપો બંધ કરાઇ છે. જેથી અંદાજિત ૧૫૦૦૦ કિ.મી. રૂટો પર બસ દોડશે નહીં. તેથી ૫૦૦૦ મુસાફરોને અસર પડશે. અંગે લોકોએ કહ્યું કે, એક તરફ સાતમ-આઠમનો તહેવાર નજીક હોવાથી લોકો મેળા-મલાખડામાં જતા હોય છે તથા પોતાના વતન ભણી દોટ મૂકી રહ્યા છે. એ સમયે જ ધડાધડ ૧૦૦ ટ્રીપો બંધ કરી દેવાતાં લોકોને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડે છે.ખાસ કરીને ગ્રામ્ય રૂટો ઉપર કાપ મૂકી દેવાયો છે. અમુક ગામોમાં તો માંડ એક બે બસ આવતી હોય છે. તે રૂટ પણ કેન્સલ કરી દેવાતાં અનેક લોકોને જવું તો શેમાં જવું ? એ પ્રશ્ન સતાવે છે.આ અંગે રાપરથી પ્રતિનિધિના અહેવાલ મુજબ ગરીબ કલ્યાણ મેળામાં રાપર ડેપો દ્વારા ૧૦ બસો ફાળવવામાં આવી છે. જેથી અનેક ગ્રામ્ય રૂટો રદ્દ કરાયા છે. ડેપો મેનેજર બાબુભાઇ ગોસ્વામીને પૂછતાં તેમણે જણાવ્યું કે, દસ બસો ફાળવવી તેવો ઉપરથી આદેશ છે. ભુજ ડેપો દ્વારા પણ ર૦ બસો ફાળવી દેવામાં આવી હતી. જેથી ૫૫૦૦ કિ.મી.ના રૂટો બંધ કરાયા હોવાનું સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું.કચ્છ એસ.ટી.માં સ્ટાફની અછત તેમાં રૂટો ફાળવાતાં દર વખતે આવી પરિસ્થિતિ સર્જાય છે. તંત્ર દ્વારા કોઇ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાતી નથી. આ બાબતે વિભાગીય નિયામક પ્રજ્ઞેશભાઇ પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધ્યો હતો પરંતુ તેમણે ફોન ઉઠાવ્યો નહોતો.


હીરાચોરીની ઘટના વખતે પોલીસ‘ખંડણી’માં વ્યસ્ત હતી!

ગોરેગાંવના એનએસઈ ગ્રાઉન્ડમાં એક બાજુ જવેલરી શોના છેલ્લા દિવસે જ્યારે વિદેશી ચોરો ૬.૬ કરોડના હીરાની હાથસફાઈ કરી રહ્યા હતા ત્યારે આપણી મુંબઈ પોલીસ પણ ‘પોતાના કામ’માં વ્યસ્ત હતી.ફરજ ઉપર હાજર એવા પોલીસકર્મી ત્યારે એક વોપારી પાસે જઈને પોતે સીબીઆઈનો અધિકારી છે એમ કહીને પૈસા ઓકાવી રહ્યો હતો. પોલીસે આ સંદર્ભે ત્રણની ધરપકડ કરી હતી પરંતુ કિરણ રાવ નામનો પોલીસ હવાલદાર ફરાર છે.કિરણ ગોરેગાંવના એનએસઈ ગ્રાઉન્ડમાં જવેલરી શોમાં રક્ષણ આપવાની ફરજ પર હતો. તેણે સોમવારે શોના છેલ્લા દિવસે ફરજ ઉપરથી ગૂટલી મારી હતી. તે સીધો અંધેરી પૂર્વના એક વેપારીના મેનેજરની પાસે ખંડણી માગવા માટે ગયો હતો.કિરણની સાથે આવેલા આ ટોળકીમાં સામેલ ત્રણ જણ વેપારીના મેનેજરને બળજબરી ઉઠાવીને લઈ ગયા હતા અને તેની મારપીટ કરીને રૂ. ૩૦ હજાર ખંડણી રૂપે વસૂલ્યા હતા. આ પ્રકરણ પોલીસ પાસે પહોંચતાં જ અંબોલી પોલીસે લલ્લન, અંગદ જાધવ અને સુહાસ કાષ્ટેની ધરપકડ કરી હતી.


‘લાલબાગચા રાજા’ના ભક્તો માટે એસી, ચા-નાસ્તાની સુવિધા

સાર્વજનિક ગણેશોત્સવ દરમિયાન પોતાની માનતા અર્થે લાલબાગચા રાજા નામે લોકપ્રિય ગણેશોત્સવમાં દર્શનાર્થે આવનારા ભક્તોની લાંબી કતાર લાગે છે. લાલબાગચા રાજાના ચરણે પોતાની માનતા પૂરી કરનારા ભક્તોની સંખ્યા ઉત્તરોત્તર વધતી જાય છે. દરરોજ લગભગ એક લાખ ભાવિક ભક્તો રાજાના દરબારમાં હાજરી નોંધાવે છે.માનતા-મન્નત-માંગનારાઓની સુવિધા માટે આ વર્ષે સૌપ્રથમવાર સાઠ હજાર ચોરસ ફૂટનો એક વિશાળ મંડપ બાંધવામાં આવનારો છે. સોળથી અઢાર કલાક સુધી કતારમાં ઊભા રહેનારા આ ભક્તોને એસીમાં બેસવાની સવલત ઊભી કરવામાં આવી રહી છે. ઉપરાંત આ મંડળમાં ૨૮ પાકા શૌચાલય અને સ્વચ્છતા ગૃહોની સુવિધા ઊભી કરવામાં આવી છે.લાલબાગચા રાજાના આગમનના દુંદુભી વાગી રહ્યા છે. ગણેશોત્સવ દરમિયાન દરરોજ દસ હજારથી વધુના ભક્તો ગણેશ મુખદર્શન કરવા ઊમટી પડે છે. વળી માનતા અર્થે પણ મોટી સંખ્યા હોય છે. લગભગ એક લાખ લોકો કતારમાં ઊભા રહી પોતાનો વારો આવવાની રાહ જોતાં હોય છે. ગયા વરસે ગણેશોત્સવ દરમિયાન સવા કરોડ ભક્તોએ ગણેશદર્શન કર્યા હતા.


આણંદમાં નાણાંની ઉઘરાણીમાં માથામાં પાઇપ ફટકારી

આણંદ શહેરની બોરસદ ચોકડીએ સાંગોડપુરામાં નાણાંની ઉઘરાણીમાં એકને લોખંડની પાઇપ મારી ઇજાઓ પહોંચાડવાનો બનાવ બન્યો છે.સાગોડપુરામાં રહેતા મુકેશભાઇ પૂનમભાઇ ગોહેલ પડોશમાં રહેતા મફતભાઇ પરમાર પાસે શુક્રવારે પોતાના બાકી નીકળતા નાણાં લેવા ગયા હતા.તે વખતે મફતભાઇએ નાણાં આપવામાં ગલ્લાં તલ્લાં કરતાં મુકેશભાઇએ ‘તુ નાણાં નહી આપે તો ફરીથી વધીઁ ભરીશ નહીં’ તેમ કહેતાં મફતભાઇએ ઉશ્કેરાઇ જઇ અપશબ્દો બોલી ગાડીમાંથી લોખંડની પાઇપ કાઢી મુકેશભાઇને માથામાં મારી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.


આણંદ પાસે કેન્દ્રિય મંત્રી ભરતસિંહ સોલંકીની કારને અકસ્માત

ઉમરેઠના કણભાઈપુરામાં શનિવારે યોજાયેલા એક કાર્યક્રમમાં આણંદના સાંસદ અને કેન્દ્રિય ઉર્જા મંત્રી ભરતસિંહ સોલંકી બોરસદથી પોલીસ પાયલોટિંગ સાથે નીકળ્યા હતા.કાફલો જીટોડીયા રોડ પરથી જઇ રહ્યો હતો તે સમયે અચાનક જ રસ્તા પર ગાય આડી ઉતરતાં જીપ્સીના ચાલકે જોરદાર બ્રેક મારી હતી. જેને કારણે પાછળ આવી રહેલી મંત્રીની કાર સીધી જીપ્સી પાછળ ધડાકાભેર અથડાઈ ગઈ હતી.જોકે, આ અકસ્માતમાં કોઈને ઈજા થવાનો બનાવ બન્યો ન હતો. પરંતુ અકસ્માતમાં પોલીસની જીપ અને કારને નુકશાન પહોંચ્યું હતું.


ઉત્તર ગુજરાતના ધરતીપુત્રોને કૃષિ વીજદરમાં અન્યાય

મહેસાણા સહીત ઉત્તર ગુજરાતમાં પાણીના તળ ઊંડા, સિંચાઈના પાણીની મુશ્કેલી વચ્ચે કૃષિલક્ષી વીજદરમાં અન્યાય થતો હોવાની ધરતીપુત્રોમાં બૂમ ઊઠી છે. ખેડૂતોને વર્ષે ૫૦હજારથી ૧લાખ જેવા વીજબીલ અને મેઈન્ટેનન્સનો ખર્ચ કારમી મોંઘવારીમાં અસહ્ય બન્યો છે ત્યારે ઉત્તર ગુજરાતના રાજકીય અગ્રણીઓ પક્ષાપક્ષી ભૂલીને એક મંચ ઉપર આવી સમાન વીજદર પેકેજ યોજનાનો અમલ થાય તેવા પ્રયાસો કરવા જોઇએ તેવી ખેડૂતોમાં માંગ પ્રર્વતી રહી છે.ઉત્તર ગુજરાતમાં રાજ્ય સરકારના પ્રયાસોથી કાર્યરત સુઝલામ સુફલામ સિંચાઈ યોજના સમગ્ર ઉત્તર ગુજરાતમાં પહોંચી શકી નથી ત્યારે તળ ઊંડાની મુશ્કેલી સાથે બોરમાંથી સિંચાઈ માટે ઈલેટ્રીક મોટર વડે પાક માટે અપાતા પાણીનું આકરુ વીજબીલ ઉ.ગુ.ના ખેડૂતોને મૂંઝવી રહ્યું છે. ખેડૂતો ચોમાસાના ચાર મહિનામાં અંદાજે ત્રણ મહીના માટે ટ્યુબવેલનો નહીવત ઉપયોગ કરતા હોવા છતા આ ખેડૂતોનું ઉનાળુ જેટલુ કૃષિલક્ષી વીજબીલ ચોમાસામાં આવે છે.આમ ઉત્તર ગુજરાતની ભૌગોલિક સ્થિતિ જોઈને સમાન કૃષિ વીજ દર ખૂબજ આવશ્યક છે. નોધનીય એ છે કે, મહેસાણા સહીત ઉત્તર ગુજરાતના ખેડૂત અગ્રણીઓનો અભિપ્રાય છે કે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અથવા સૌરાષ્ટ્ર વિસ્તારોમાં ખેડૂતોની ૧૦ એચ.પી. મોટરોનું સિંચાઈ બીલ વર્ષે ૫૦૦૦થી ૧૦,૦૦૦ ભરે છે.જ્યારે આનાથી વપિરીત ઉ.ગુ.ના ખેડૂત ૫૦ એચ.પી. થી ૧૦૦ એચ.પી. મોટરો વાપરે છે જેનું સિંચાઈ બીલ વર્ષે રૂ. ૫૦,૦૦૦થી રૂ. ૧,૦૦,૦૦૦ લાખ મેઈન્ટેનન્સ ખર્ચ સાથે થાય છે. દરમિયાન આ અંગે રામપુરા (કુકસ) ગ્રામ પંચાયતનાં ઉપસરપંચ રમેશભાઈ ચૌધરીએ જણાવ્યું છે કે, મહેસાણા સહીત ઉત્તર ગુજરાતમાં ૧૪ કલાક વીજળી આપવાનું વચન ભુલાયુ છે તેને બદલે ૮ કલાક વીજળી મળે છે ત્યારે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતના ખેડૂતોની આ સમસ્યાના ઉકેલ માટે સૌએ વિચાર વિમર્શ કરી રાજ્ય હોય કે કેન્દ્ર સરકાર સામે રજુઆત કરવી જોઇએ.રાજકિય મતભેદ કોરાણે મુકી રજૂઆત જરૂર,મહેસાણાના પૂર્વ સાંસદ જીવાભાઈ પટેલે આ સમસ્યા અંતર્ગત જણાવ્યું હતુ કે, ઉત્તર ગુજરાતના બધા વિસ્તારોમાં સુજલામ-સુફલામ યોજના નથી પહોંચી અને ત્યાંના ખેડૂત આકરા વિજબીલ ભરે છે ત્યારે રાજકીય મતભેદ ભૂલી જઈ સર્વપક્ષીય સમિતિની રચના કરી ખેડૂતને લક્ષમાં રાખીને રજુઆત જરૂરી છે.


સાયબર કાફે ખોલવા વેપારીનું અપહરણ

ઊંઝાના વેપારીનું અપહરણ કરીને રૂ.૬ લાખની ખંડણી લીધા બાદ તેને છોડી દેવાના કેસમાં પોલીસે શરૂ કરેલી તપાસમાં શનિવારે સિધ્ધપુરના પાંચ સહિત કુલ છ આરોપીઓ ઝડપી લીધા હતા પોલીસે જેઓની પાસેથી પાંચ લાખ ૧૦ હજાર રોકડા જપ્ત કર્યા હતા.આ કેસનો મુખ્ય આરોપી કમ્પ્યુટર એન્જિનિયર હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ.મુખ્ય સૂત્રધાર આસીફ સાયબર કાફે ખોલવા માગતો હતો પણ પૈસાના અભાવે એ શક્ય બન્યું ન હતુ .આથી સાયબર કાફે બનાવવા પૈસાની જરૂરિયાત પુરી કરવા અપહરણનો કારસો રચાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યુ હતુ. ઊંઝાના વેપારી લલીતભાઇ કનૉમીના અપહરણકેસમાં મોબાઇલ લોકેશનના આધારે શરૂ થયેલી તપાસમાં સતલાસણા તાલુકાના શાહુપુરા ગામ ખાતેથી અપહરણમાં વપરાયેલ બે વાહનો જપ્ત કરાયા બાદ પોલીસ તપાસમાં અનેક કડીઓ ખુલવા લાગી છે.આ કેસનું પગેરૂ સિધ્ધપુર નિકળતા એ દિશામાં થયેલી તપાસમાં શનિવારે પોલીસે પાંચને ઝડપી લીધા હતા. આ બાદ હાથ ધરાયેલી તપાસમાં ડ્રાઇવીંગના વ્યવસાય સાથે સંકળાયેલા શાહુપુરાનો અલ્તાફ અલી અબ્બાસ અલી સૈયદ નામનો આરોપી પણ ઝડપાયો હતો. જેમાં આ કેસના મુખ્ય આરોપી મહંમદ આસીફે મહારાષ્ટ્રની યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર એન્જિનિયરનો કોર્સ કર્યો છે.આ સમગ્ર અપહરણકાંડમાં સાત શખ્સોની સંડોવણી દેખાઇ રહી છે કમ્પ્યુટર એન્જિનિયર થયેલો આસીફ હાલ ઓટો કન્સલટન્ટનો વ્યવસાય કરતો હતો. જ્યારે તેનો ભાઇ યાસીન ડ્રાઇવીંગ કરતો હતો.પોલીસે સમગ્ર અપહરણ કાંડમાં મોબાઇલ લોકેશનને આધારે શાહપુરાથી સિદ્ધપુર સુધીની કડીઓ મેળવી હતી.


કડીમાં જુગારધામ પર વિજિલન્સનો સપાટો

કડી શહેરના મણિપુર વિસ્તારમાં આવેલા ધોકાબારી મહોલ્લામાં એક રહેણાંકીય મકાનમાં મોટા પાયે જુગારધામ ચાલતું હોવાની પૂર્વ બાતમીને આધારે ગાંધીનગર વિજિલન્સ સ્કવોર્ડની ટીમે શુક્રવારે રાત્રે ત્રાટકી જુગાર રમતા ૩૯ શખ્સોને રોકડ રકમ અને મોબાઇલ મળી કુલ રૂ. ૧,૩૬,૯૦૦ના મુદ્દામાલ સાથે રંગે હાથે ઝડપી લઈ સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી લીધી હતી. જ્યારે અન્ય ત્રણ શખ્સો ભાગી જવામાં સફળ રહ્યાં હતાં.કડી પંથકમાં શ્રાવણિયો જુગાર બેરોકટોક ખુલ્લેઆમ રમાઈ રહ્યો છે ત્યારે શહેરના દેત્રોજ રોડ સ્થિત મણિપુર વિસ્તારના ધોકાબારી મહોલ્લામાં આવેલ મુકેશભાઈ ભીખાભાઈ પટેલના મકાનમાં જુગારધામ ચાલતું હોવાની પૂર્વ બાતમી ગાંધીનગરની વિજિલન્સ સ્કવોર્ડને મળી હતી.જે અનુસંધાને શુક્રવારે નવ વાગ્યાના અરસામાં ગાંધીનગર વિજિલન્સ સ્કવોર્ડના આઈ.જી. હસમુખભાઈ પટેલની રાહબરી હેઠળ પી.આઈ એ.જે. પટેલ સહિતનો કાફલો બે થી ત્રણ ગાડીઓમાં એસ.આર.પી. જવાનો સાથે ઓચિંતા ઉપરોકત સ્થળે ત્રાટકયો હતો. વિજિલન્સે પાડેલી રેડ દરમિયાન જુગારીઓમાં ફફડાટ વ્યાપી જતા દોડધામ મચી ગઈ હતી.જો કે, વિજિલન્સ સ્કવોડના અધિકારીઓ સહિત એસ.આર.પીના કાફલાએ જુગારધામને ચોતરફથી કોર્ડન કરી જુગાર રમતા ૩૯ શખ્સોને રંગે હાથે ઝડપી લઈ રોકડ રૂ. ૯૦,૯૦૦ અને રૂ. ૪૬,૦૦૦ની કિંમતના ૩૨ નંગ મોબાઈલ મળી કુલ રૂ.૧,૩૬,૯૦૦નો મુદ્દામાલ ઝડપી લઇ સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી લીધી હતી. જ્યારે અન્ય ત્રણ શખ્સો નાસી જવામાં સફળ રહ્યાં હતા. આ અંગે કડી પોલીસ સ્ટેશનને વિજિલન્સ સ્કવોડના પી.આઈએ ૪૨ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા સ્થાનિક પોલીસે નાસી ગયેલ ત્રણ શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.ગાંધીનગર વિજિલન્સ ટીમે શુક્રવારે રાતે કડી પોલીસ મથકથી માત્ર ૧૦૦ મીટરના અંતરે ધમધમી રહેલા જુગારધામ પર રેડ કરી સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી લેતા અધિકારીઓ સહિત પોલીસ કર્મીઓ ફફડી ઊઠ્યા હતા. મુખ્ય પોલીસ મથકથી માત્ર ૧૦૦ મીટરના અંતરે ચાલતા જુગારધામથી સ્થાનિક પોલીસ અજાણ હોઈ તે વાત શનિવારે દિવસભર પંથકમાં ચર્ચાનો વિષય બની હતી.


રાજકોટ : ‘ગે છું તેવી અફવા કેમ ફેલાવે છે’

ઘંટેશ્વર એસઆરપી કેમ્પમાં રહેતા ગરાસિયા યુવાનને કેમ્પમાંજ રહેતા આહીર યુવાને છરીના ઘા ઝીંકી દેતાં યુવાનને હોસ્પિટલમાં ખસેડાયો હતો. આહીર યુવાન ગે હોવા અંગેની ગરાસિયા શખ્સ અફવા ફેલાવતો હોય તેના પર હુમલો થયો હતો.
ઘંટેશ્વર એસઆરપી ગ્રૂપ ૧૩માં ફરજ બજાવતા કિશોરસિંહ જાડેજાનો પુત્ર જયદપિસિંહ (ઉ.વ.૧૯) ઘંટેશ્વર એસઆરપી કેમ્પના ગેઇટ પાસે ઉભો હતો ત્યારે એસઆરપીમેન અરજણભાઇ હુંબલનો પુત્ર સંજય ત્યા ધસી ગયો હતો અને હું ગે છું એવી કેમ અફવા ફેલાવશ તેમ કહી જયદપિસિંહને ગળે, છાતી, પીઠ અને હાથમાં છરીના ઘા ઝીંકી દીધા હતા.આહીર શખ્સે કરેલા હુમલામાં ઘવાયેલા ગરાસિયા યુવાનને લોહિયાળ હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી અને આહીર શખ્સ સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.



રાજકોટમાં ઉપરના માળે જુગાર, નીચેના માળે સટ્ટો રમતા ૧૧ ઝડપાયા

શહેરમાં ઠેર ઠેર જુગારધામો ધમધમવા લાગ્યા છે ત્યારે પોલીસે જુગારની બાતમીના આધારે મોચી બજાર, ચામડિયાવાસમાં દરોડો પાડતા જુગારધામની સાથે ક્રિકેટનો સટ્ટો પણ પકડાતા પોલીસને બગાસુ ખાતા પતાસુ મળ્યું હતુ. પોલીસે ૧૧ શખ્સોની ધરપકડ કરી રૂ. ૧.૩પ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.મોચી બજાર, ચામડિયાવાસમાં રફીક જશરાયા નામના શખ્સના મકાનમાં મોટાપાયે જુગાર રમાતો હોવાની એ ડિવિઝન પોલીસના કોન્સ. મહાવીરસિંહ જાડેજા અને ધર્મેન્દ્રસિંહને બાતમી મળી હતી. જેના આધારે પોલીસ સ્ટાફે મુસ્લિમ શખ્સના મકાનમાં છાપો માર્યો હતો. પોલીસે છાપો મારતા મુસ્લિમ શખ્સના મકાનના પહેલાં માળે જુગાર રમતા લોકોના હોશકોશ ઊડી ગયા હતા. તીનપત્તીનો જુગાર રમી રહેલા રફીક સહિત સલીમ કરીમ માંડલીયા, આબીદ ઉમર ચૌહાણ, અરજણ હૈદર કાદરી, સલીમ અબ્દુલ કાતિયા, અશોક ગગજી ગોહેલ, પ્રેમજી નટવર પરમાર, પરેશ રવિશંકર ત્રિવેદીને રોકડ સાથે ઝડપી લીધા હતા.જુગારના દરોડા બાદ જુગારીઓને પહેલે માળેથી નીચે ઉતારતી વેળાએ નીચેના માળમાં પણ ચહલ પહલ નજરે આવતા પોલીસે નીચેનો માળ પણ ખોલાવ્યો હતો. અંદર જતા પોલીસ પણ ચોંકી ગઇ હતી. અહીં ઉમેશ હરસુખ ભટ્ટી અને અતુલ ઉર્ફે ડોક્ટર જગજીવન તન્ના નામના શખ્સો લંકા ખાતે રમાઇ રહેલા ત્રિકોણીય જંગના ભારત-લંકા વચ્ચેના ડે એન્ડ નાઇટ વન ડે મેચ પર સટ્ટો રમાડતા મળી આવ્યા હતા.જુગારની બાતમીના આધારે પાડેલા દરોડામાં એક જ મકાનમાં ક્રિકેટનો સટ્ટો પણ પકડાતા પોલીસે અગિયાર શખ્સોની ધરપકડ કરી રોકડ ઉપરાંત ૧૭ મોબાઇલ, ટી.વી., લેપટોપ, ટેપ રેકોર્ડર વગેરે મળી કુલ રૂ. ૧.૩પ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ક્રિકેટના મેચ પર સટ્ટો રમાડતા પકડાયેલા બન્ને શખ્સો કોની પાસે કપાત કરાવતા હતા તે અંગે પોલીસે પૂછપરછ શરૂ કરી છે.


રાજકોટ : પ્રેમ કરનાર પુત્રીને પિતાએ પતાવી દીધી: પ્રેમીએ એસિડ ગટગટાવ્યું

રાજકોટના ચુનારાવાડમાં પ્રેમપ્રકરણનો કરૂણ અંજામ. પુત્રીને લાકડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પિતાની ધરપકડ, તરૂણવયની પુત્રીના પ્રેમપ્રકરણની જાણ થતાં ઉશ્કેરાયેલા પિતાએ લાકડીના ઘા ફટકારી પુત્રીને મોતને ઘાટ ઉતારતા સનસનાટી મચી ગઇ હતી. તેને પ્રેમિકાની હત્યાની જાણ થતાં ચુનારાવાડમાં રહેતા પ્રેમીએ પણ એસિડ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.શહેરના ચુનારવાડ શેરી નં. ૩/૪માં રહેતી કિરણ રઘુભાઇ કોળી (ઉ.વ. ૧૫) પોતાના ઘરે ઇજાગ્રસ્ત હાલતમાં બે ભાન હાલતમાં પડી હોવાની કોઇએ જાણ કરતા બી-ડિવિઝન પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને તરૂણીને હોસ્પિટલમાં ખસેડી હતી. પરંતુ ફરજપરના તબીબે મૃત જાહેર કરી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતા તરૂણીને લાકડીના ઘા ફટકારી મોતને ઘાટ ઉતારવામાં આવી હોવાનું ખુલતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો હતો અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. બનાવની જાણ થતાં કોળી સમાજના અગ્રણી વિજયભાઇ મેથાણિયા હોસ્પિટલે દોડી ગયા હતા.કિરણને તેનાજ પિતા રઘુ કોળીએ મોતને ઘાટ ઉતાર્યાની બાતમી મળતાં પીઆઇ જેઠવા સહિતના સ્ટાફે રઘુને ઉઠાવી લઇ પૂછપરછ કરતા તેમણે હત્યાની કબૂલાત આપી હતી. રઘુએ કેફિયત આપી હતી કે કિરણને પાડોશમાં રહેતા રિક્ષા ચાલક નિર્મળ વિનુભાઇ ગોહેલ નામના કોળી શખ્સ સાથે પ્રેમસંબંધ હતો જે પોતાને મંજૂર ન હોય અને પુત્રી વારંવાર તેના પ્રેમીને મળતી હોય પુત્રીનું કાસળ કાઢી નાખ્યું હતું.


છત્તીસગઢમાં નક્સલી હુમલામાં 5 જવાનો શહીદ

છત્તીસગઢના બસ્તર જિલ્લામાં સુરક્ષાદળોની સંયુક્ત ટુકડી પર નક્સલીઓએ ઘાત લગાવીને હુમલો કરતાં પાંચ જવાનોના મોત નીપજ્યા છે.પોલીસ પ્રવક્તા અને પોલીસ મહાનિરીક્ષક રાજેશ મિશ્રાએ જણાવ્યું હતું કે કાંકેર જિલ્લામાં નક્સલીઓ તરફથી બીએસએફ અને રાજ્ય પોલીસની સંયુક્ત ટુકડી પર ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બીએસએફના ત્રણ જવાનો અને રાજ્ય પોલીસના બે જવાનો શહીદ થઈ ગયા છે.તેમણે કહ્યું હતું કે ઘટનાની માહિતી મળતા જ પોલીસ દળને ઘટનાસ્થળ તરફ રવાના કરી દેવામાં આવ્યું છે.


ઐશ્વર્યા રાય : કૃત્રિમ કે કમાલની?

વાત એ ચાલી રહી હતી કે ઇશ્વર આપણો ‘ગુપ્ત મિત્ર’ બન્યા પછી પણ પોતાનું ‘સુંદર મૌન’ જાળવી રાખે તો સારું પડે. ઇશ્વર આપણને ચૂપચાપ સાંભળે એનાથી રૂડું શું? બાકી તો દોસ્તો સાથેની વાતચીતમાં સૌથી મોટી સમસ્યા એ જ હોય છે કે બન્ને પાર્ટી પોતપોતાની વાત કહેવા માટે ઉત્સુક હોય છે. માણસને સાંભળવામાં ઓછો અને કહેવામાં વધુ રસ હોય છો. ઘણી વાર તો આપણે કોઈને ફક્ત એટલા માટે જ સાંભળી લેવા તૈયાર થઈએ છીએ કે જેથી પછી આપણે સામેવાળાને આપણી વાતો કહી શકીએ. બે જણ વાતો કરતા હોય ત્યારે એક પોતાની લડાખની ટ્રિપ વિશે બોલે ત્યારે બીજો અંદરખાને સતત એ વાતે થનગનતો હોય છે કે ક્યારે પેલો લડાખની વાત પૂરી કરે અને ક્યારે હું મારી યુરોપની ટ્રિપની વાત શરૂ કરું.ફની તો ફની, આ એક માનવસહજ વૃત્તિ છે. પણ આ વૃત્તિ સંવાદમાં વચ્ચે આડી આવતી હોય છે. લડાખ-યુરોપની વાતો તો ખેર, માત્ર પ્રવાસવર્ણન છે. એટલે એમાં એકમેકની વાતો વચ્ચે કાપવામાં આવે તો પણ યુરોપવાળો લડાખ વિશે અને લડાખવાળો યુરોપ વિશે જાણકારી મેળવી શકે. પણ જ્યારે અભિપ્રાયોની આપ-લે (અસલમાં યુદ્ધ) ચાલે ત્યારે સંવાદ ઓછો અને વિસંવાદ વધુ થતો હોય છે. જેમ કે, નરેન્દ્ર મોદીનો તરફદાર અને વિરોધી જ્યારે વાતે ચડે ત્યારે તેઓ એકમેકને સ્વીકારવામાં નહીં, એકમેકને ‘વટલાવવામાં’ વધુ રસ ધરાવતા હોય છે. મોદીપ્રેમીને એ નથી સમજાતું કે સામેવાળો ડોબો મોદીની મહાનતા સમજી કેમ નથી શકતો.બીજી તરફ, મોદીવિરોધીને એવું લાગે મોદીપ્રેમી આંધળો છે, બહેરો છે, એણે મગજની બધી બારીઓ બંધ કરી રાખી છે. સરવાળે, અભિપ્રાયોનાં યુદ્ધો ને પોતપોતાના અભિપ્રાયો બદલવાનું તો દૂર રહ્યું, ઊલટાનું, વાતચીતને અંતે બન્ને પાર્ટી પોતપોતાના અભિપ્રાયો બાબતે પહેલાં કરતાં પણ વધુ મક્કમ બને એવી શક્યતા વધુ છે. તમે જ કહો, એક જણ એવું માનતો હોય કે ઐશ્વર્યા રાય ફિક્કી, કૃત્રિમ અને લુચ્ચી દેખાય છે અને બીજો એવું માનતો હોય કે ઐશ્વર્યાનું સૌંદર્ય પરફેક્ટ છે, હવે આ બે જણ જો વાતે વળગે તો પાંચ મિનિટના અંતે બેમાંથી કોઈ પોતાનો અભિપ્રાય તો નહીં જ બદલે, ઊલટાના પહેલાં કરતાં પણ વધુ ઐશ્વર્યાચાહક કે ઐશ્વર્યાધિક્કારક બનીને ઊભરશે.


બજારમાં ઝેર નીચોવાયું નથી : ૫,૩૫૦ સપોર્ટ લેવલ

ઉત્તર ધ્રુવમાંથી ઉનાળો વિદાય લેવાની તૈયારીમાં છે. શું ઉનાળાની સાથે તેજીની ગરમી પણ ઓસરશે? ઠંડી સાથે શેરબજારમાં પણ મંદીની ધ્રુજારી વધશે? અત્યારે તો ભારતીય શેરબજાર માટે કહેવું વહેલું ગણાશે, જોકે યુરોપ અને અમેરિકાનાં શેરબજાર માટે આ શક્યતા મૂકવામાં આવે છે.અમેરિકા, જાપાન સહિત યુરોપમાં ફરીથી સોવરજીન ક્રાઇસિસ ઊભી થઈ રહી હોવાની દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારતીય શેરબજાર વિદેશી નરમાઈના અહેવાલ સામે છેલ્લા એક મહિનાથી ટક્કર ઝીલીને ૩૦-૩૧ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા, પરંતુ તાજેતરમાં સ્થાનિકમાં ખાસ કરીને છેલ્લા સપ્તાહમાં ઊભી થયેલી પ્રતિકૂળ ઘટનાઓને કારણે સેન્ટિમેન્ટ ખરડાઈ ગયું છે.બજારનું ટૂંકાગાળાનું સેન્ટિમેન્ટ ખરાબ થયું છે અને મધ્યમ ગાળાનું માનસ સાવચેતીનું છે, આને કારણે હવે બજારને વધવા માટે મજબૂત સારાં કારણોની જરૂર ઊભી થશે, જે રીતે બજારનું સેન્ટિમેન્ટ ગયા સપ્તાહમાં ખરાબ થયું છે અને માર્કેટબેડ્થની સાથે સર્કિટને સ્પર્શનારી કંપનીઓની સંખ્યામાં ફેરફાર જોવાયા છે તેને ધ્યાનમાં લેતાં બજારમાંથી પૂરેપૂરું ઝેર નીચોવાયું નથી.આગામી દિવસોમાં જો બજારમાં સુધારો આવશે તો લાંબો ટકે તેમ જણાતું નથી, આવામાં સેન્સેક્સ માટે ૧૮,૩૦૯ પ્રતિકારક લેવલ બનશે જ્યારે ૧૭,૮૩૪ નજીકનું સપોર્ટ લેવલ છે અને તે તૂટે તો બજાર એકવાર ૧૭,૫૦૦નાં સ્તર સુધી ગબડી શકે છે. નિફ્ટી માટે પણ સપોર્ટ લેવલ ૫,૩૫૦ અને પ્રતિકારક સપાટી ૫,૪૭૮ની ગણવામાં આવે છે.શુક્રવારે અમેરિકાનાં શેરબજારમાં આવેલો ઉછાળો સોમવારે સ્થાનિક બજારમાં પ્રત્યાઘાતી સુધારો લાવી શકે છે, પરંતુ રોકડાના શેરોમાં શરૂ થયેલા ઓફલોડિઁગને જોતાં પાછલા સત્રમાં બજારમાં નફારૂપી વેચવાલી આવી શકે છે, જો સેન્સેક્સ ૧૮,૩૦૯ અને નિફ્ટી ૫,૪૭૮ની ઉપર વધતાં વોલ્યૂમ સાથે બંધ આવે તો જ બજારનો વક્કર સુધર્યો હોવાનું તારણ મૂકી શકાય. બજારની ૭,૧૪ અને ૨૧ દિવસની દૈનિક મુવિંગ એવરેજ ખરાબ બની છે, જે પણ ટેકનિકલ ધોરણે ખરાબ સંકેત ગણવામાં આવે છે.


શાહરૂખ ફિલ્મ માટે મરણિયો બન્યો!!!

કરન જોહર અને શાહરૂખ ખાનની મિત્રતા ગાઢ છે. ફિલ્મ વી આર ફેમિલીની પત્રકાર પરિષદમાં શાહરૂખ પણ આવ્યો હતો.ફિલ્મ આઈ હેટ લવ સ્ટોરીમાં શાહરૂખે પોતાનો અવાજ પણ આપ્યો હતો. જો કે ફિલ્મ વી આર ફેમિલીમાં શાહરૂખ ખાન કામ કરી શક્યો નથી.જો કે કિંગ ખાને કરનને વિનંતી કરી હતી કે, ફિલ્મના એક દ્રશ્યમાં એક ફોટો જ મુકી દેવો હતો.બુધવાર બપોરે શાહરૂખ ખાનને નક્કી કર્યુ હતું કે, તે પણ કરનના પરિવારનો એક ભાગ છે તેથી જ તે પણ ફિલ્મ વી આર ફેમિલીને પ્રમોટ કરશે.ફિલ્મના દિગ્દર્શક સિદ્ધાર્થ પત્રકાર પરિષદને સંબંધતા હતા. આ સમયે તેમની સાથે કરિના કપૂર અને અર્જુન રામપાલ પણ હાજર હતા. આ સમયે સિદ્ધાર્થે પૂછ્યું હતું કે, શું એસઆરકે આવી ગયો. આવી વાત સાંભળીને ત્યાં હાજર રહેલા પત્રકારોને પણ નવાઈ લાગી હતી.


વડાપ્રધાન આજે ‘પીપલી લાઈવ’ જોશે

વડાપ્રધાન મનમોહન સિંહ આમિર ખાનની ફિલ્મ પીપલી લાઈવ રવિવારના રોજ જોવાના છે. પ્રધાનમંત્રી કાર્યાલયના એક અધિકારીએ કહ્યું હતું કે, વડાપ્રધાન રવિવારના રોજ આ ફિલ્મ જોવાના છે. અધિકારીઓએ વધુમાં કહ્યું હતું કે, આ ફિલ્મના પ્રદર્શન માટે રેસ કોર્સ સ્થિત વડાપ્રધાનના નિવાસસ્થાન પર આમિર ખાન પણ હાજર રહેશે.પ્રધાનમંત્રીની સાથે અધિકારીઓને પણ ફિલ્મ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ખેડૂતોની આત્મહત્યાના મુદ્દાને આ ફિલ્મમાં સમાવવામાં આવ્યો છે.આમિર ખાને આ પહેલા ભાજપના લાલકૃષ્ણા અડવાણીને અને મનસેના પ્રમુખ રાજ ઠાકરે માટે સ્પેશ્યિલ સ્ક્રીનિંગ રાખ્યું હતું.અનુષા રિઝવી દ્વારા દિગ્દર્શિત કરાયેલી આ ફિલ્મ 10 કરોડ રૂપિયામાં બની છે અને અત્યાર સુધી રૂપિયા 24 કરોડની કમાણી કરી છે.


છોકરીઓને પટાવવા માટે અંદાજ પણ કંઇક અનોખો હોવો જોઇએ.

હવે એ સમય રહ્યો નથી કે છોકરીને પટાવવા માટે કોઈ ચેટ-અપ લાઇન કે ડાયલોગ બોલવામાં આવે તો છોકરી શરમાઈને મોં ફેરવી લે. છોકરીઓને પટાવવા માટે ડાયલોગ્સ જ સૌથી અગત્યનો ભાગ ભજવે છે. એક તાજા સર્વેમાં સામે આવ્યું છે કે 'શું તમે પહેલી નજરના પ્રેમમાં માનો છો?' અથવા 'શું મેં તમને પહેલા ક્યાંય જોયા છે?' જેવા ડાયલોગ્સ છોકરીઓને સૌથી વધુ પસંદ આવે છે.આ સર્વેમાં દર 10માંથી 4 છોકરીઓએ એવું કહ્યું હતું કે તેઓ ડાયલોગ સાંભળીને જ પ્રેમમાં પડી હતી. દર 10માંથી 1 છોકરીના હ્રદયને તો ડાયલોગ્સ એટલા સ્પર્શી જાય છે કે તેઓ પુરુષો સાથે જીવનભરનો સંબંધ બાંધી દે છે. જો કે ઘણાં છોકરાઓ આવા ડાયલોગ્સ બોલતા ડરતા હોય છે.મિસ્ટરગ્રીન ડોટ કોમ વેબસાઇટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં 75 ટકા મહિલાઓને જો કોઈ તેમની તરફ જોઇને સારોડાયલોગ કહે તે ગમે છે. 50 ટકા મહિલાઓને તો આવા ડાયલોગ બોલનારા પુરુષો વધુ આત્મવિશ્વાસવાળા અને સારી સેન્સ ઓફ હ્યુમરવાળા લાગે છે.વેબસાઇટની કેટ મેક્યુલર કહે છે કે અમે માનીએ છીએ કે ડાયલોગ બોલવાનો પ્રયત્ન માત્ર હિંમતવાન જ કરી શકે, પરંતુ કોઈ પણ મહિલાના હ્રદય સુધી પહોંચવાનો આ એક શ્રેષ્ઠ રસ્તો છે. એક સારો અને અસરકારક ડાયલોગ કોઈ પણ છોકરીનું દિલ પીગળાવવા માટે પૂરતો છે. બસ આ સાથે તમારો અંદાજ પણ કંઇક અનોખો હોવો જોઇએ.

No comments:

Post a Comment