15 January 2010

હૈતીમાં છેલ્લા ૨૦૦ વર્ષનો સૌથી વિનાશક ભૂકંપ, હજારોનાં મોત

કેરેબિયન દેશ હૈતીમાં સાતની તીવ્રતાની પ્રચંડ ભૂકંપે હજારો લોકોનો ભોગ લીધો છે. આ ભૂકંપથી રાષ્ટ્ર પતિનો મહેલ અને સંયુક્ત રાષ્ટ્ર મિશનના વડા મથકની પાંચ માળની ઇમારત સહિત અનેક ઇમારતો અને હોટેલો તેમજ કોમ્પ્લેક્ષને કાટમાળમાં ફેરવી દીધા છે. રિક્ટર સ્કેલ પર ૭.૦ની તીવ્રતાવાળા આ ભૂકંપે હૈતીની રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સ અને તેની આસપાસની વિસ્તારોને હચમચાવી દીધા છે. અલબત્ત, રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સમાં રહેતા તમામ ૧૪૦ ભારતીય શાંતિ સૈનિક સુરક્ષિત છે. આ સૈનિકોને ઓક્ટોબર-૨૦૦૮માં કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળમાંથી પસંદ કરીને હૈતીમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન પર મોકલ્યાં હતાં. જોકે, વાણિજય દૂતાવાસના ૫૦ કર્મચારીઓનો કોઇ પત્તો નથી. અમેરિકી ભૂવિજ્ઞાન સર્વેક્ષણ વિભાગે આ ભૂકંપને હૈતીમાં છેલ્લા ૨૦૦ વર્ષમાં આવેલો સૌથી વિનાશક ભૂકંપ ગણાવ્યો છે. ભૂકંપ બાદ આફ્ટર શોકસ પણ ચાલુ રહ્યા હતાં. દસ લાખની વસ્તી ધરાવતી રાજધાનીમાં મોટાભાગની ઇમારતો લગભગ એક મિનિટ સુધી અનુભવાયેલી ધ્રુજારીના કારણે કાટમાળમાં ફેરવાઇ ગઇ છે અનો લોકો ભયના માર્યા ઘરબાર છોડીને ભાગી રહ્યા છે. ભૂકંપનું ઉદ્ગમ કેન્દ્ર પોર્ટ-ઓ-પ્રિન્સથી ૧૬ કિલોમીટર દૂર હતું. ભૂકંપ ભારતીય સમયાનુસાર બુધવારે બપોરે ૩-૩૦ કલાકે આવ્યો હતો. જેમાં મોટાભાગની ઇમારતો ધરાશાયી થઇ ગઇ છે. કાટમાળ નીચે પણ અનેક લોકો ફસાયા હોવાના અહેવાલ છે. લોકો પોતાના ગુમ થયેલા સ્વજનને શોધવા માટે ફાંફાં મારી રહ્યાં છે. પ્રચંડ ભૂકંપના કારણે પાણી અને વીજ પુરવઠો ખોરવાઇ ગયા છે.
ઈશાન ભારતમાં ભૂગર્ભ ગતિવિધિ વધી
હૈતીમાં આવેલા વિનાશક ભૂકંપના પગલે ઈશાન ભારતમાં વધી રહેલી ભૂગર્ભ ગતિવિધિએ ચિંતા જન્માવી છે. ૨૦૦૯માં પ્રત્યેક ૧૦ દિવસ બાદ ભૂકંપના આંચકા નોંધાયા છે. સૌથી મોટો ૬.૨નો આંચકો ૨૧ સપ્ટેમ્બરે નોંધાયો હતો. ૨૦૦૭-૦૮માં ૨૬ અને ૨૦૦૬માં ૨૩ ભૂકંપ નોંધાયા છે.

No comments:

Post a Comment