08 January 2010

પક્ષીરક્ષા-જીવદયા માટે અમદાવાદનાં ૨૫૦૦ બાળકો-કિશોરો પતંગ નહીં ચગાવે પક્ષીઓની કરૂણ અવસ્થાને દર્શાવતી ફિલ્મ નિહાળ્યા બાદ બાળકો-કિશોરોએ કરેલો નિર્ણય

પક્ષીરક્ષા-જીવદયા માટે અમદાવાદનાં ૨૫૦૦ બાળકો-કિશોરો પતંગ નહીં ચગાવે
પક્ષીઓની કરૂણ અવસ્થાને દર્શાવતી ફિલ્મ નિહાળ્યા બાદ બાળકો-કિશોરોએ કરેલો નિર્ણય

એકબાજુ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે અને ૩૪ દેશોમાંથી ૧૦૫ પતંગ રસિકો આવશે ત્યારે અમદાવાદના ૨૫૦૦ બાળકો-કિશોરોએ જૈન સાધુઓની પ્રેરણાથી પક્ષી રક્ષા-જીવ દયા માટે પતંગ નહીં ચગાવવાનો સંકલ્પ કર્યો છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં મોટી સંખ્યામાં વસતા જૈનો આજે પણ અમદાવાદને ‘રાજ નગર’ તરીકે ઓળખે છે. દિવાળીમાં ધ્વનિ પ્રદૂષણ અને વાયુ પ્રદૂષણ ન ફેલાય તે માટે ફટાકડા નહીં ફોડવાનો સંકલ્પ પણ મોટી સંખ્યામાં જૈન બાળકોએ અગાઉ કર્યો હતો. આ અંગે સજાગ ગ્રુપના પૌરીક શાહે જણાવ્યું કે જૈન સાધુ પંન્યાસ મુક્તિ વલ્લભ વિજયજી અને ગણિવર્ય ઉદય વલ્લભ વિજયજી મ.સા.ની પ્રેરણાથી અને સજાગ ગ્રૂપના પ્રયાસથી અમદાવાદના ૨૫૦૦થી વધુ બાળકો-કિશોરોએ પતંગ નહીં ચગાવવા સંકલ્પપત્રો ભયૉ છે. પાલડીની ૩૫ જૈન પાઠ શાળા અને સાબરમતીની ૧૧ જૈન પાઠ શાળાના ૧૦૦૦થી વધુ બાળકોએ પતંગ નહીં ચગાવવાનો નિર્ણય કર્યો છે આ માટે છેલ્લા એક મહિનાથી પ્રયાસો ચાલી રહ્યા હતા. તેમણે કહ્યું કે ઉત્તરાયણ-પતંગોત્સવ દરમિયાન પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની કરૂણ અવસ્થાને બતાવતી ૧૦ મિનિટની ડોકયુમેન્ટરી ફિલ્મ પાલડીની જૈન પાઠ શાળામાં પ્રોજેકટર દ્વારા બતાવવામાં આવી હતી.
ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે ૫૦ યુવાનો ૧૩મીથી ૧૬મી જાન્યુઆરી દરમિયાન ખડેપગે
૧૩મીથી ૧૬મી જાન્યુઆરી દરમિયાન સજાગ ગ્રુપના ૫૦ જેટલા યુવાનો પતંગ
ચગાવવાને બદલે પતંગની દોરીથી ઘવાયેલા પક્ષીઓની સારવાર માટે ખડેપગે સેવા આપશે અને જીવ દયાના કાર્યમાં જોડાશે. પાલડી વિસ્તારમાં ગત વર્ષની જેમ આ વર્ષે પણ નિ:શુલ્ક પક્ષી સારવાર કેન્દ્ર રાખવામાં આવ્યું છે.

No comments:

Post a Comment