17 August 2010

સોમનાથમાં ૧ લાખ ભાવિકોની ભીડ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

સોમનાથમાં ૧ લાખ ભાવિકોની ભીડ

દેશનાં પ્રથમ દ્વાદશ જયોતિર્લિંગ સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે દેવાધિદેવનાં દર્શન પામવા વહેલી સવારથી જ શિવભક્તોની લાંબી કતારો લાગી હતી. શ્રધ્ધાળુ ભાવિકોએ બિલ્વપૂજા, અભિષેક અને વિવિધ દ્રવ્યોથી સોમનાથ દાદાને રીઝવ્યા હતા. રાજુલાનાં ધારાસભ્ય હિરાભાઈ સોલંકી તથા તેમની સાથેનાં ત્રણ હજાર પદયાત્રીઓએ વહેલી સવારે આવી પહોંચી હર.. હર.. મહાદેવ, ઓમ નમ: શિવાયનાં નાદથી સોમનાથ પરિસરને શિવમય બનાવી ધ્વજારોહણ કર્યું હતું.છેલ્લાં આઠ વર્ષથી સતત અમદાવાદનાં માલધારી સમાજાનં ભીખાભાઈ દેસાઇની ઓગેવાનીમાં પદયાત્રી ભાઈ-બહેનો આવી પહોંચતા ટ્રસ્ટ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. સોમનાથની સુરક્ષામાં તૈનાત એસઆરપીનાં જવાનો સહિત દસ સંઘો દ્વારા ધ્વજારોહણ કરાયું હતું. માલધારી સમાજનાં પદયાત્રી સંઘ દ્વારા ચાર હજાર કિલો રાજીગરાનાં શુદ્ધ ઘીનો શીરો ભાવિકોને પ્રસાદીરૂપે વિતરણ કર્યો હતો. પ્રથમ સોમવારે અંદાજે એકાદ લાખ શિવભક્તોનો મહેરામણ ઉમટી ભોળાનાથને શીશ નમાવવા કતારબદ્ધ જોવા મળતા હતા. સોમનાથ ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ઠંડુ પીવાનું પાણી અને કલોકરૂમની વિના મૂલ્યે સુવિધા અપાઇ રહી છે. યાત્રીકોને માઇક દ્વારા પુરી જાણકારી પણ આપવામાં આવી રહી છે. ટ્રસ્ટનાં અધ્યક્ષ કેશુભાઈ પટેલ, સેક્રેટરી પ્રસવદન મહેતા, જનરલ મેનેજર કમલેશભાઈ રાવલ, આસ. મેનેજર વિજયસિંહ ચાવડા તથા અધિકારીઓ યાત્રીકોની સુવિધા અંગે પુરતી કાળજી સેવી


પરસાણાનગરમાં મકાનમાંથી રોકડ,ઘરેણાની ચોરી

શહેરાના જંકશન વિસ્તારમાં પરસાણા નગરમાં રહેતા કેતનભાઇ મહેન્દ્રભાઇ ભટ્ટના બંધ મકાનમાં ખાબકેલા તસ્કરો ૧૭ હજાર રોકડા, ચાંદીના ઘરેણા અને ડીવીડી પ્લેયર મળી ૨૭ હજાર રૂપિયાની માલમત્તાનો હાથફેરો કરી ગયા છે. વપિ્ર પરિવાર રાજસ્થાનમાં લગ્ન પ્રસંગે હાજરી આપવા ગયો હતો. પરત આવ્યા ત્યારે ચોરી થયાની જાણ થઇ હતી.


‘જૂઠ બિકતા હૈ, ટીકતા નહીં

15 મી ઓગસ્ટે બપોરે ઢેબરભાઇ ચોકમાં કોંગ્રેસ દ્વારા સત્ય ઉજાગર સંમેલન યોજાયું હતું જેમાં ટોચના કોંગી નેતાઓએ મોદીના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો હતો. શક્તિસિંહ ગોહિલે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે મોદી હળાહળ જુઠ્ઠાણું ચલાવે છે ‘જુઠ બિકતા હૈ, ટીકતા નહી’ હવે મોદીનું પણ એવું જ થઇ રહ્યું છે સાડા આઠ વર્ષના તેના શાસનમાં મોદીના કાંગરા મહેલમાંથી જેલમાં જવા લાગ્યા છે. હવે ખંડણીખોર મોદી સરકારના પાપનો ઘડો ફૂટી રહ્યો છે.કોંગ્રેસના ઇશારે સીબીઆઇએ ધરપકડ કરી હોવાનું જુઠ્ઠાણું મોદી ચલાવી રહ્યા છે. સત્ય ઉજાગર સંમેલનમાં મોદી ઉપર આકરા પ્રહારો કર્યા હતા આ સંમેલનમાં શંકરસિંહ વાઘેલા, શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, કુંવરજીભાઇ બાવિળયા, નરેન્દ્રસિંહ જાડેજા, ઇન્દ્રનીલ રાજ્યગુરુ, જસવંતસિંહ ભટ્ટી, નિતીન નથવાણી, કાશ્મીરાબેન નથવાણી, શાંતાબેન ચાવડા સહિત હજારોની મેદની ઉમટી પડી હતી.ગાળિયો મોદી તરફ આવતા બકવાસ શરૂ કર્યો છે: શંકરસિંહ -પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાના તેજાબી ભાષણમાં કહ્યું હતું કે મોદી કોંગ્રેસ ઉપર સત્તાભૂખની વાતો કરે છે પરંતુ વાસ્તવિકતામાં હવે તે સત્તા મૂકી શકે તેમ નથી અને પોતાની તરફ ગાળિયો આવી રહ્યો હોવાનું ભાળી ગયેલા મોદીએ વાણી વિલાસ શરૂ કર્યો છે. કોંગ્રેસે ધ્વજવંદનનો વિરોધ નથી કર્યો, આ ભપકાનો વિરોધ કર્યો છે.


મોજશોખ પૂરા કરવા નવ ચોરી કરનાર નબીરો પકડાયો

શહેરના કોઠારિયા રોડ પર શાંતિ-નિકેતન પાર્કમાં રહેતા અને હોટેલોમાં ખાવા-પીવાનો શોખ પૂરો કરવા ચોરીના રવાડે ચડેલા કારખાનેદારના પુત્ર નેવિલ ઉર્ફેકાનો ઉર્ફે કમો અશોકભાઇ શુક્લાને પોલીસે ચોરાઉ બાઇક સાથે પકડતાં એક ચીલઝડપ સહિત નવ ચોરીના ભેદ ઉકેલાયા છે.ગાંધીગ્રામના પી આઇ એ. ડી. શ્રીવાસ્તવ સહિતના સ્ટાફે પ્રેમ મંદિર નજીકથી ચોરાઉ મનાતા કરીઝમા બાઇક સાથે નેવિલની પકડ્યોહતો. નેવિલે ઉપરોકત બાઇક બે દિવસ પહેલાં સુરતથી ચોરી કર્યાની તેમજ પોતાના જ ઘર સહિત નવ સ્થળે ચોરી કર્યાની કબૂલાત આપી હતી. ચોરાઉ ઘરેણાં સોની બજારના જીતેન્દ્ર જવેલર્સ, રાધે જવેલર્સમાં વેચી દીધાની તેમજ ભંગાર શાપરમાં ભંગારનો ધંધો કરતા શબીર, ગોવિંદ અને જામનગર ટ્રાન્સ્પોર્ટની ઓફિસમાં બેસતા પ્રફૂલને વેચી દેતો હતો. આઠ મહિના પહેલાં મિત્ર સોહિલ હનફિ દરેશા (રહે. જંગલેશ્વર) સાથે જલારામ રઘુકુળ હોસ્પિટલ પાસે મમતાબેન મોઢાના હાથમાંથી બે વીંટી, એક બૂટી અને એક ઘડિયાળ સાથેના પર્સની ચીલઝડપ કર્યાની કબૂલાત પણ આ શખ્સે આપી હતી.


વાડીમાં બુકાનીધારી ત્રાટક્યા દંપતી ઉપર પથ્થરમારો કરી લૂંટ

તાલુકાના સોખડા ગામની સીમમાં ઇકબાલભાઇની વાડીમાં મધરાતે બુકાનીધારી ચાર લુટારા નિદ્રાધીન શ્રમિક દંપતી ઉપર પથ્થરમારો કર્યા બાદ લાકડીથી હુમલો કરીને ઘરેણાં, મોબાઇલ સહિત કુલ રૂ. ૧પ, ૯૦૦ની માલમત્તા લૂંટી ગયા હતા. પોલીસે નાકાબંધી કરી હતી. પરંતુ, આરોપીઓ નાસી છૂટવામાં સફળ થયા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મૂળ સુરેન્દ્રનગરના ઝીંઝુડા ગામના વતની ગોરધનભાઇ કુકાભાઇ દેગામાએ સોખડા ગામના ઇકબાલભાઇની વાડી ભાગમાં વાવવા રાખી છે અને પત્ની વિજયાબેન તેમજ ચાર સંતાન સાથે વાડીની ઓરડીમાં જ રહે છે. શનિવારની મોડી રાતે ત્રણ વાગ્યાના અરસામાં ઓરડી ઉપર ધાણીફૂટ પથ્થરમારો થતાં જાગી ગયેલા ગોરધનભાઇએ દરવાજો ખોલતા સાથે જ પેન્ટ, શર્ટ પહેરેલા ચાર શખ્સો અંદર ઘૂસી ગયા હતા. જે પૈકી એક શખ્સે બુકાની બાંધી હતી. ઓરડીમાં ઘૂસી આવેલા શખસોએ શ્રમિક પરિવાર ઉપર લાકડીથી હુમલો કરી જે કાંઇ રોકડ, ઘરેણાં હોય તે આપી દેવા ધમકી આપી વિજયાબેને પહેરેલા ચાંદીના સાંકળા, કાનના વેઢલા અને મોબાઇલ ફોન લૂંટી લીધા હતા.


રાજકોટ : દેશના મહાન શહીદોના ફોટા પર શ્વાનો લઘુશંકા કરે છે

રાજકોટના મુખ્યમાર્ગો છેલ્લા એક અઠવાડિયાથી મુખ્યમંત્રીના ફોટાવાળા હોર્ડિંગોથી છલકાતા હતા, ડિવાઇડરની સાઇઝથી પણ મોટા બોર્ડ કાયદાનો ભંગ કરીને તંત્રે લગાવી દીધાં હતાં, સાથે જ શરમ અનુભવાતાં છેલ્લે સ્વાતંત્રયવીરો પર પણ તેમના બોર્ડ મૂકીને ઉપકાર કરવામાં આવ્યો હતો. પરંતુ જે ઉત્સાહ તંત્રે આ હોર્ડિંગ મૂકવામાં દર્શાવ્યો હતો તે હવે નથી. દેશના મહાન નેતાઓની તસવીરો હવે ધૂળ ખાય છે અને કૂતરાઓની લઘુશંકાનું સ્થાન બની છે.સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે ગયા રવિવારે રાજકોટના અનેક માર્ગો પર મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના મોટા ફોટાવાળા બોર્ડ મૂકાયા હતા, કોર્પોરેશને તેને મંજૂરી આપી નહોતી અને કલેક્ટરતંત્રે તે આપી નહોતી. જ્યારે આ વાત ધ્યાન પર આવી ત્યારે દિવ્ય ભાસ્કરે તેનો તસવીર અહેવાલ છાપ્યો અને મુદ્દો એ ઉઠાવ્યો કે દેશને આઝાદી અપાવનારા નેતાઓ, ક્રાંતિવીરોના ફોટા ક્યાંય નથી અને બધે મોદી છે.તંત્રને શરમ આવી, ભાજપને પણ થયું કે કાચું કપાયું છે. રાતોરાત કોંગ્રેસ તરફી ન હોય તેવા સ્વતંત્રતાવીરોના બોર્ડ મૂકાયા. તેમાં પણ ક્યાંય નેહરૂ, લાલબહાદૂર શાસ્ત્રી કે અબ્દુલ કલામ આઝાદ ના તો ફોટા નહોતાં જ તેમ છતાં ઝાંસીની રાણી વગેરેના ફોટા લાગ્યા. પરંતુ આ બોર્ડ અને મોદીના ફોટાવાળા બોર્ડ હવે ધૂળ ખાય છે. આજે સવારે રેસકોર્સ રિંગરોડ પર આવા જ એક બોર્ડ પર કૂતરાં એ લઘુશંકા કરી હતી. પંદરમી ઓગસ્ટ ગઇ કે તરત જ રાષ્ટ્રીય ગૌરવ ઓગળી ગયું !


ખંભાતમાં ધ્વજવંદનને મામલે હોબાળો

ખંભાતમાં જિલ્લાકક્ષાના સ્વાતંત્રય પર્વની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ ન ફરક્યો હોવાની ચર્ચાએ ભારે ઉહાપોહ મચી જવા પામ્યો છે. જોકે અધિકારીઓ સ્વાતંત્રય પર્વની ગૌરવભેર ઉજવણી થઈ હોવાનું ગાણું ગાય છે. જ્યારે સ્થાનિક તંત્ર રાષ્ટ્રધ્વજના અપમાન માટે વહીવટી તંત્રને જવાબદાર માને છે. આ ઘટનાનું વહીવટીતંત્રએ ખંડન કર્યું હતું.ખંભાતમાં ચકડોળ ગ્રાઉન્ડ ખાતે કૃષિ અને સહકાર મંત્રી દિલીપભાઈ સંઘાણીની ઉપસ્થિતિમાં ૬૪મા સ્વાતંત્રય પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જાણકાર વર્તુળોના જણાવ્યાં અનુસાર મંત્રી દિલીપ સંઘાણીએ ધ્વજવંદન માટે રસ્સી ખેંચી પણ રાષ્ટ્રધ્વજ ફરક્યો ન હતો. ત્યાં સુધીમાં રાષ્ટ્રગીતના ગાન સાથે સલામી પણ આપી દેવામાં આવી હતી, રાષ્ટ્રધ્વજ ન ફરક્યો હોવાનું તંત્રને ભાન થતાં તાત્કાલિક ઉતારી લેવામાં આવ્યો હતો અને રાષ્ટ્રધ્વજને ખુલ્લો કરીને ફરીથી ફરકાવવામાં આવ્યો હતો. જિલ્લાકક્ષાએ સ્વાતંત્રય પર્વની ઉજવણીમાં રાષ્ટ્રધ્વજ ન ફરક્તાં ભારે ઉહાપોહ મચી ગયો હતો.ખંભાત નગરપાલિકા વિરોધપક્ષના નેતા નીતિનભાઈ બ્રહ્નભટ્ટે જણાવ્યું હતું કે ‘આ રાષ્ટ્રધ્વજનું અપમાન કહેવાય વરસાદનું બહાનું કાઢવામાં આવે છે. ખંભાતનાં અન્ય સ્થળોએ ધ્વજફરકે અને સ્વાતંત્રય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીમાં જ ધ્વજ ન ફરકે તો વહીવટીતંત્રના આયોજનનો અભાવ ન કહેવાય? ’


આણંદમાં પાંચના મોત

આણંદ તાલુકાના મોગર સીમમાં હાઇવે ઉપર સોમવારે બપોરના સમયે ટ્રક અને રિક્ષા વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એકનું મોત નિપજ્યું હતું જ્યારે ત્રણ જણને ગંભીર ઇજાઓ થવા પામી હતી. આ સાથે જિલ્લામાં વિતેલા દિવસમાં માર્ગ અકસ્માતના કુલ પાંચ બનાવમાં પાંચ વ્યક્તિનાં મોત નિપજ્યા છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સોમવારે બપોરના સવા બે વાગ્યાના સુમારે આણંદ પાસે સામરખા ચોકડીએથી એક પિયાગો રિક્ષા નંબર જી.જે.૨૩.યુ.૫૪૦૨નો ચાલક પોતાની રિક્ષામાં મુસાફરો ભરી વાસદ જવા રવાના થયો હતો. દરમિયાન પોણા ત્રણ વાગ્યાના સુમારે આ રિક્ષા મોગર સીમમાં હાઇવે ઉપરથી પસાર થઇ રહી હતી તે વખતે તેના ચાલકે આગળ જતા વાહનની ઓવરટેઇક કરવા જતાં રિક્ષા સામેથી આવતી ટ્રક નંબર એમ.એચ.૦૯.ડીસી.૯૨૬૧ની સાથે ધડાકાભેર અથડાઇ હતી.આ અકસ્માતના કારણે રિક્ષાનો આગળનો ભાગના ફુરચેફુરચા ઉડી ગયા હતા. રિક્ષામાં બેઠેલા ગાંધીનગરના કડીકલોલ ગામના ડબકીબેન વિનોદભાઇ નટ્ટને શરીરે ગંભીર ઇજાઓ થતાં તેમનું સ્થળ ઉપર જ મોત નિપજ્યું હતુ. જ્યારે કડી કલોલના પારલીબેન અક્રમભાઇ નટ્ટ, અક્રમભાઇ નટ્ટ અને રિક્ષાના ચાલક આંકલાવડીના વિક્રમભાઇ અંબાલાલ નાયકને ગંભીર ઇજાઓ થતાં તેઓને આણંદની નગરપાલિકા હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જોકે, વિક્રમભાઇને વધુ સારવાર માટે કરમસદ મેડીકલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે.આ બનાવ બાદ હાઇવે ઉપર ટ્રાફિક જામ થઇ જવા પામ્યો હતો. વાસદ પોલીસે તાત્કાલીક સ્થળ ઉપર પહોંચી કાર્યવાહી હાથ ધરી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તેમજ મૃતક ડબકીબેનની લાશને પીએમ માટે મોકલી આપી હતી. પોલીસે વાહનો દૂર કરાવી ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.


લાંભવેલ મંદિરને ૪૮પ વર્ષ જૂનો સિક્કો અર્પણ કરાશે

લાંભવેલ હનુમાનજી મહારાજશ્રીનો પ્રતિષ્ઠા દિન શ્રાવણ સુદ આઠમને મંગળવારે તા.૧૭-૮-૨૦૧૦ના રોજ ૪૮૬ વર્ષ પૂર્ણ કરી ૪૮૭મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. આ પ્રસંગે સિક્કા સંગ્રાહક રસિકભાઇ ચૌહાણ દ્વારા મંદિરમાં ૪૮પ વર્ષ જૂનો ચલણી સિક્કો અર્પણ કરાશે.સંગ્રાહક રસિકભાઇએ જણાવ્યું હતું કે આજથી ૪૮૯ વર્ષ પહેલાં દાદાની પ્રથમ પ્રાણપ્રતિષ્ઠા કરી ત્યારે તે વર્ષ ઈ.સ.૧પર૩ વિક્રમ સંવત ૧પ૭૯, શાકે ૧૪૪પ તથા હજિરી સંવત ૯૩૦ હતું.આ વર્ષો દરમિયાન હિંદુસ્તાનમાં દિલ્હીની ગાદી પર ઈબ્રાહિમ લોદી રાજ કરતો જેને પ્રથમ મોગલ બાદશાહ હજિરી સંવત ૯૩૨માં પાતીપતના મેદાનમાં હરાવી દિલ્હીની ગાદી કબજે કરેલ ગુજરાતમાં નશરૂદીન મહંમદશાહ બીજો નામે સુલતાન રાજ કરતાં હતા. તેમના નામના સિક્કાનું ચલણ વિનીમયરૂપે હતું.ગુજરાતના રાજાનો ૪૮પ વર્ષે જૂનો સિક્કો ચાંદીના પતરામાં જડી લાંભવેલા હનુમાનજીદાદાના મંદિરમાં ભેટ અર્પણ કરવાના છે. જેથી દર્શનાભિલાષીઓને તે જમાનામાં કેવુ ચલણ અસ્તિત્વમાં હતું તેનો ખ્યાલ આવી શકે.


મહેસાણાના બોગસ જમીન દસ્તાવેજ કૌભાંડની તપાસ દરમિયાન કથિત આરોપી પાસે લાંચ માગવાના બહુચર્ચિત કેસમાં મહેસાણા એસીબી શાખાએ સોમવારે તત્કાલીન શહેર પીઆઈની ધરપકડ કરી કોર્ટમાં રજુ કર્યા હતા. નોંધનીય છે કે, એફએસએલમાં લેવાયેલ વોઈસ રેકોડિગનો રિપોર્ટ પોઝિટીવ આવતા તત્કાલીન પીઆઈને જેલ ભેગા થવાનો વારો આવ્યો છે.
પ્રાંતના બનાવટી સિક્કાઓને આધારે આચરાયેલા બોગસ દસ્તાવેજ કૌભાંડની શહેર પોલીસ સ્ટેશનમાં આ અગાઉ નોંધાયેલી ફરિયાદ અંતર્ગત બે નાયબ મામલતદાર સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ હતી. જેમાં વડનગરના તત્કાલીન નાયબ મામલતદાર વિરમભાઈ પટેલને માર ન મારવા સહિતની સુવિધાઓ આપવા પેટે તેમના પરિચિત પાસેથી તે સમયના તત્કાલીન શહેર પીઆઈએ મોટી રકમની માગણી કરી હતી. જો કે, જેલના સિળયા પાછળ ધકેલાયેલા વિરમભાઈ પટેલના પરિચિતે તત્કાલીન પીઆઈ સાથે લાંચની રકમના મુદ્દે મોબાઈલ પર કરેલી અનેક ચર્ચાઓને અંતે રૂ. ૭૦હજાર જેટલી રકમ લાંચ પેટે ચૂકવવાનો નિર્ણય લેવાયો હતો. સાથોસાથ સારી કંપનીનો મોબાઈલ પણ આ પીઆઈ દ્વારા માંગવામાં આવ્યો હતો.મોબાઈલ ફોન પર અવારનવાર લાંચની માગણી કરનારા તત્કાલીન પીઆઈ કે.બી. પટેલને લાંચ આપવા ન માંગતા વિષ્ણુભાઈ પટેલે મહેસાણા એસીબી શાખાનો સંપર્ક કર્યો હતો અને આ અનુસંધાને ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત પાંચ માસ પૂર્વે મહેસાણા એસીબી શાખાએ છટકુ ગોઠવ્યું હતુ અને તત્કાલીન પીઆઈએ વિષ્ણુ પટેલને શહેરના રાધનપુર ચાર રસ્તા નજીકની હોટલ પર આવી જવા સૂચના આપી હતી.જો કે, આ કેસના ફરિયાદી વિષ્ણુભાઈ પટેલ દ્વારા એસીબીનું છટકુ ગોઠવાયું હોવાની ગંધ આવી જતા કે.બી. પટેલ બનાવ સ્થળેથી ભાગી ગયો હતો. નોંધાયેલી કે, લાંચના છટકા દરમિયાન તત્કાલીન પીઆઈ દ્વારા ઉચ્ચારાયેલા શબ્દોનું ટેપ રેકોર્ડિંગ કરવામા આવ્યું હતું તેમજ તેઓ દ્વારા વિષ્ણુભાઈ પટેલ સાથે મોબાઈલ પર કરાતી વાતો પણ રેકોર્ડ કરી એસીબીએ મહત્વપૂર્ણ પુરાવો એકત્રીત કર્યો હતો.


ભાંગફોડિયાં તત્વો સામે ઉ.ગુજરાત પોલીસ સાબદી

અમદાવાદ તથા મુંબઈ હુમલા બાદ ગુજરાતભરમાં આતંકવાદી હુમલા સંબંધે એલર્ટ કરાયું છે ત્યારે આગામી તહેવારોમાં ભાંગફોડ પ્રવૃત્તિ ન બને તે માટે ઉ.ગુ. પોલીસને સાબદી કરાઈ હતી. નોંધનીય છે કે, પશ્ચિમ બંગાળની સરહદો પરથી આતંકવાદીઓ ભારતમાં પ્રવેશ્યા હોવાની ગૃહવિભાગને માહિતી મળી હતી.આતંકવાદનો ઓછાયો સમગ્ર ગુજરાત પર મંડાયેલો છે ત્યારે ત્રાસવાદી હુમલાઓને ટાળવા આડેદહાડે ગૃહવિભાગ દ્વારા ગુજરાત પોલીસને એલર્ટ રહેવા તાકીદ કરાતી રહે છે. જે દરમિયાન ભાંગફોડિયા પ્રવૃત્તિ માટે જમાતે મુઝાહિનાદ્દિન બાંગ્લાદેશનાં તત્વો પશ્ચિમ બંગાળના વજિતપુર, બોદલપુરા સરહદેથી પ્રવેશ્યા હોવાની હકિકત આઈબીને મળી હતી.સાથોસાથ ભારતમાં ભાંગ ફોડીયા પ્રવૃત્તિ કરતા ગૃપ તેમજ પાકિસ્તાનની આઈએસઆઈના પ્રતિનિધિઓ વચ્ચે ભારત બહાર કોઈ અજ્ઞાત સ્થળે બેઠક થયાની પણ ગુપ્ત રાહે માહિતી મળી હતી. જે અનુસંધાને તહેવારો દરમિયાન ત્રાસવાદી હુમલો ન થાય તે માટે ગુજરાતભરમાં એલર્ટ જાહેર કરાયું છે ત્યારે આ ભાગફોડીયા પ્રવૃત્તિઓ સામે ગૃહવિભાગે ઉ.ગુ. પોલીસને સાબદી કરાઈ છે.નોંધનીય છે કે, ઉ.ગુ.ને જોડતા સરહદી માર્ગે ભાગફોડીયા તત્વોને નાથવા પોલીસને સતર્ક રહેવા પણ તાકીદ કરાઈ હોવાનું બહાર આવ્યું છે.


કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ વચ્ચે નવો કરાર

રાજ્યમાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની મોરચા સરકાર છે તો પણ તે સમન્વય અને સમજદારીથી કામ કરે છે એવી છાપ લોકો વચ્ચે પ્રગટવી જોઈએ, એવા આશયથી કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસની સમન્વય સમિતિની બેઠકમાં, અંદરોઅંદર ગમે તેટલા વાદ-ઝઘડા હોય તે વિશે મિડિયા સમક્ષ બોલવાને બદલે તેનો અંદરોઅંદર જ નિવેડો આવવો જોઈએ, એવી મહત્વની સમજૂતી થયાનું જાણવા મળ્યું હતું.કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રધાનોના મતભેદ દૂર કરવા માટે હાલમાં બેઉ કોંગ્રેસની સમન્વય સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ તરફથી નાયબ મુખ્ય પ્રધાન છગન ભુજબળ, કેન્દ્રીય નાગરી ઉડ્ડયન પ્રધાન પ્રફુલ્લ પટેલ, જળ સંસાધન પ્રધાન અજિત પવાર, ગૃહ પ્રધાન આર. આર. પાટીલ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ મધુકર પિચડ હાજર હતા, જ્યારે કોંગ્રેસ તરફથી મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણ, કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ માણિકરાવ ઠાકરે અને મુંબઈ કોંગ્રેસના પ્રમુખ કૃપાશંકર સિંહ જેવા થોડા નેતાઓ હાજર રહ્યા હતા. મહેસૂલ પ્રધાન નારાયણ રાણે અને વન પ્રધાન ડૉ. પતંગરાવ કદમને આ સમન્વય સમિતિની બેઠકમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું.સરકારમાં કામ થતા નથી એવી રાષ્ટ્રવાદી કોંગ્રેસના પ્રધાનોની કાયમની ફરિયાદ અજિત પવારે આ બેઠકમાં પણ કરી હતી ત્યારે મારી સમક્ષ આવનારા કામની મેરિટ-યોગ્યતા જોઈને જ હું તેના પર મારી સહી કરીશ એમ મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે ચોખ્ખું સંભળાવ્યું હતું. આથી આ મામલા ઉપર તાત્કાલિક તો પડદો પડી ગયો હતો. દરમિયાન અન્ય કેટલાક મુદ્દા પણ રજુ કરાયા હતા.તે વખતે મુખ્ય પ્રધાન અશોક ચવ્હાણે સરકારમાં કોઈ પણ મતભેદ હોય તો તેને મિડિયામાં લઈ જવાની એક પ્રથા પડી ગઈ છે. કેબિનેટની બેઠકથી માંડીને અન્ય મહત્વની બેઠકની બાતમીઓ મિડિયામાં ફોડવામાં આવે છે તે બંધ થવું જોેઈએ. આ મામલે બેઉ પક્ષો વચ્ચે હુંસાતુંસી થઈ હતી પણ બાદમાં હવેથી કોઈ પણ મતભેદ હોય પણ મિડિયામાં ન જવું એવી તાકીદ બેઉ બાજુના પ્રધાનોને કરવી એમ ઠરાવાયું હોવાનું કહેવાય છે.


ઓબીસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે તાકીદે ભંડોળ આપવા આદેશ


અન્ય પછાત વર્ગો (ઓબીસી) વિદ્યાર્થીઓને એસએસસી બાદના અભ્યાસ માટે શિષ્યવૃત્તિ અર્થે તાકીદે ભંડોળ ફાળવવા માટે રાજ્ય સરકારના સંબંધિત અધિકારીઓને નાયબ મુખ્ય પ્રધાન છગન ભુજબળે તાજેતરમાં આદેશ આપ્યો હતો.મંત્રાલય ખાતે ઓબીસી વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ યોજના તેમ જ ઓબીસી આર્થિક વિકાસ નિગમ (ઓબીસી ઈકોનોમિક ડેવલપમેન્ટ કોર્પોરેશન)ની મુશ્કેલીઓ અંગે ભુજબળની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠક દરમિયાન ઉપરોકત આદેશ અપાયો હતો.શિષ્યવૃત્તિની રકમ વિદ્યાર્થીઓને સમયસર પ્રાપ્ત થાય તો તેમને અગવડ ન પડે. તેથી એ બાબતમાં ખ્યાલ રાખીને વિલંબ નહીં કરવા વહેલામાં વહેલી તકે ઓબીસી વિદ્યાર્થીઓને ભંડોળ આપવા અધિકારીઓને ભુજબળે સૂચના આપી હતી.


સાંગલીમાં અઢી લાખનું બ્રાઉન સુગર જપ્ત

સાંગલી સ્થિત આવેલી વેલિંગ્ડન કોલેજની પાછળના વિસ્તારમાં આવેલા કૂપવાડ નજીક શુક્રવારે કોલેજના બે વિદ્યાર્થીઓ પાસેથી પોલીસે અઢી લાખની કિંમતનું બ્રાઉન સુગર જપ્ત કર્યું હતું. આ બંને વિદ્યાર્થીઓ બ્રાઉન સુગરને પોતાની મોટર સાઈકલમાં લઈને આવ્યા હતા. પોલીસે જડતી લીધી હતી જેમાંથી તેઓને ૨૮ ગ્રામ બ્રાઉન સુગર મળી આવ્યું હતું.કોલ્હાપુરની કેઆઈટી કોલેજમાં ભણતા શાંતનુ આજરેકર અને કોલ્હાપુરની ડીવાય પાટીલ કોલેજમાં ભણતા રામેશ્વર જગતાપની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ અધિકારી રવીંદ્ર શિવસેએ માહિતી આપતાં જણાવ્યું હતું. તેઓ આ નશીલો પદાર્થ કોની પાસેથી લાવતા હતા અને કોઈને વેચતા હતા કે કેમ તે અંગેની વધુ તપાસ ચાલી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.


લાહોરમાં પાક.ના ખૂંખાર ત્રાસવાદીઓનો જમાવડો

પાકિસ્તાનના લાહોરમાં ૩૦૦થી વધુ ત્રાસવાદીઓ અને તેમના સરદારો ભેગા થઇ રહ્યા છે. ૧૦૦થી વધુ ત્રાસવાદીઓ ભાડાનાં મકાનોમાં આશરો લેતા થયા છે. ડેઇલી ટાઇમ્સે આપેલા અહેવાલ મુજબ હાઇ પ્રોફાઇલ ત્રાસવાદીઓ લાહોરના સમૃદ્ધ વિસ્તારોમાં છુપાયા છે.ગુપ્તચર સાધનોએ જણાવ્યા મુજબ પૂર અસરગ્રસ્ત પખ્તુન અને સિંધના પ્રદેશોને છોડીને આ ત્રાસવાદીઓ લાહોરમાં ભેગા થઇ રહ્યા છે. લાહોરની બહારના વિસ્તારોમાં ત્રાસવાદી અડ્ડાપણ જોવા મળે છે. ત્રાસવાદીઓ લાહોરમાં અનેક વ્યવસાયોનું સંચાલન કરી રહ્યા છે. વહીવટીતંત્ર વાકેફ હોવા છતાં કાર્યવાહી થતી નથી.


શ્રીરામની રહેમાન માટે ગાવાની ઈચ્છા

હૈદરાબાદી યુવાન શ્રીરામ ચંદ્રા આઝાદીનાં દિવસે ઈન્ડિયન આઈડોલ-5 બની ગયો હતો. તેનું એક સ્વપ્ન હજી પૂર જ થયુ છે ત્યાં તેનાં અન્ય સપના વિશે પુછાતા તેણે તેનું સપનું તો બોલિવૂડનાં સૂપર સિંગર અને ઓસ્કર વિનર મ્યુઝિંક કોમ્પોઝર એ આર રહેમાન માટે ગીત ગાવાંનું છે.શ્રીરામે જણાવ્યું હતું કે,"મારું આગામી સપનું બોલિવૂડમાં એક મોટા સિંગર બનવાનું છે."વધુમાં તેણે જણાવ્યું હતું કે,"મારે બોલિવૂડનાં જાણીતા પ્લેબેક સિંગર માટે ગીતો ગાવા છે અને ઘણું બધુ શિખવુ છે. ઈન્ડિયન આઈડોલે મને એક નામ આપ્યું છે તેને કારણે મારી એક ઓળખ ઉભી થઈ છે. મારે આ ક્ષેત્રે ઘણી મહેનત કરવાની છે. મારે તો એ આર રહેમાનસર સાથે કામ કરવાની ઈચ્છા છે."


ગોડાઉનમાંથી અડધા લાખની મગફળીની ચોરી

યુનિવર્સિટી રોડ ઉપર રાધે પાર્કમાં રહેતા ડાયાભાઇ હરજીભાઇ કેશરીયાએ કુવાડવા રોડ પર ભગીરથ પેટ્રોલ પંપ પાછળ આવેલા તેના ગોડાઉનમાંથી જાણભેદુ શખ્સો મગફળીની પપ ગુણી ચોરી ગયાની ફરિયાદ નોંધાઇ છે.


રાજકોટમાં સ્વતંત્રતાપર્વની રાજ્યકક્ષાની ઉજવણી પૂર્ણ

દેશના ૬૪મા આઝાદી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી રાજકોટમાં સંપન્ન થઇ હતી.ધ્વજવંદનની સાથે જ મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારની આલોચના કરવાની સાથે જ ગુજરાત માટે કેટલીક અગત્યની જાહેરાતો કરી હતી. તેમણે કહ્યું હતું કે રાજ્યમાં ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય સંશોધન કેન્દ્ર સ્થાપવામાં આવશે.રેસકોર્સના ક્રિકેટ સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદીએ જન ગણ મનની બેન્ડ સૂરાવલીઓ બાદ ધ્વજવંદન કર્યું હતું અને પરેડની સલામી ઝીલી હતી, એરફોર્સના હેલિકોપ્ટરે એ સમયે ધ્વજ પર પુષ્પવૃષ્ટિ કરી હતી. મોદીએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર હજી કૃષિ ક્ષેત્રે ચાર ટકાનો વિકાસ દર હાંસલ કરવા સ્વ? જોઇ રહી છે ત્યારે ગુજરાતે તો આ વર્ષે એ ક્ષેત્રે ૯ ટકાનો વિકાસદર પ્રાપ્તકરી લીધો છે. ગુજરાતે સૌર ઊર્જાની ઉપાસના દ્વારા ગ્લોબલ વોર્મિંગને પડકારવા નિર્ધારકર્યો છે.મહિલાઓને સ્વરોજગારી માટે સખીમંડળોના માધ્યમથી ૧૦૦૦ કરોડનો વહીવટ આપ્યો છે. જાહેર કર્યું હતું કે લોકસાહિત્યના સંશોધન-સંવર્ધન માટે રાજ્ય સરકાર અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કાસ પ્રોજેક્ટ શરૂ કરશે, તેને ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિ સાથે સાંકળવામાં આવશે.




દિલ્હીના ભરોસે દેશ હવે શાંતિથી બેસી શકે તેમ નથી

પંદરમી ઓગસ્ટે રાજકોટમાં નરેન્દ્ર મોદીએ કરેલું પ્રવચન દર વખતની જેમ લોકોને પ્રભાવિત તો કરી જ ગયું. પરંતુ તેમાંની એક વાત સૌથી અગત્યની છે કે કેન્દ્ર સરકાર અને કોંગ્રેસ પર રાષ્ટ્રીય પર્વને રાજકીય રંગ આપવાનો આક્ષેપ કરનાર મોદીએ ખુદ આખું પ્રવચન રાજરંગથી રંગાયેલું કર્યું હતું. જો એક એક શબ્દની મૂલવણી કરવામાં આવે તો, તેમાં સ્વતંત્રતાને બદવે સ્વપ્રશંસા એટલે કે ગુજરાતના ગુણગાન જ વધારે હતાં.મુખ્યમંત્રીએ બે દિવસ દરમિયાન એ વાત વારંવાર કહી કે, આઝાદી પર્વનો વિરોધ કરવાનું કૃત્ય માત્ર ને માત્ર કાશ્મીરના આતંકવાદીઓ જ કરી શકે. કોંગ્રેસે રાજકોટના સ્વતંત્રતા પર્વને જે રીતે બદનામ કર્યું છે યોગ્ય નથી અને કમ સે કમ રાષ્ટ્રીય પર્વમાં તો રાજકીય મતભેદો વચ્ચે ન લવાય. પરંતુ આ તો તેમણે છેલ્લે કહ્યું તે પહેલાં તો આખા પ્રવચનમાં કેન્દ્રસ્થાને કેન્દ્રની ટીકા જ રહી હતી.નરેન્દ્ર મોદીએ કહ્યું કે, નકસલવાદીઓ હુમલા કરે, નિર્દોષ માણસોને હણે અને વડાપ્રધાન તેમને ટેબલ પર બેસાડીને ચર્ચા કરવાનું આમંત્રણ આપે? વડાપ્રધાન પાસે આતંકવાદ કે નકસલવાદ જેવી સમસ્યાને નાથવા કોઇ વ્યૂહ નથી, દિલ્હી સલ્તનતના ભરોસે હવે દેશ જીવી ન શકે તેથી ગુજરાત જેવા રાજ્યોની જવાબદારી વધી જાય છે. પ્રધાનમંત્રીએ ગરીબીને નાથવાની વાત કરી નથી, દેશના ગોદામોમાં અનાજ સડી રહ્યું છે.કેન્દ્રને ગરીબોની ચિંતા નથી. યુરિયા ખાતરના ઉત્પાદનમાં વધારો કરવાનો પણ પ્રયાસ કર્યો નથી. કાશ્મીર સમસ્યા એ સમગ્ર દેશની સંવેદનશીલ સમસ્યા છે, તેના ઉકેલ માટે કેન્દ્રએ ૧૦૦ કરોડની જનતાને વિશ્વાસમાં લેવી પડશે.


રાજકોટ : મેઘરાજા મન મૂકીને વરસ્યા છતાંય બુધવારે પાણીકાપ

રાજકોટ ઉપર પાણીનું જળસંકટ ઊભું થયું હતું. પરંતુ, મેઘરાજાએ મન મૂકી રાજકોટને પાણી-પાણી કરી દેતા પાણીકાપ ઊઠાવી લેવો પડ્યો હતો. પરંતુ, ફરી તંત્ર દ્વારા તારીખ ૧૮ને બુધવારે વોર્ડ નં. ૧, ૧૧ અને ૧૨ના રહેવાસીઓને પાણી નહીં મળી શકે. વીજ રિપેરિંગના બહાને પાણીકાપ લાદવામાં આવ્યો છે.વરસાદના કારણે ન્યારી ડેમ છલકાઇ ગયો છે અને આજી ડેમની સપાટી ૨૨ ફૂટે પહોંચી ગઇ છે. છતાંય, તંત્ર કોઇને કોઇ કારણ શોધી લોકોને પાણીકાપ કેમ આપવો તેની રાહમાં રોજ નવા નવા બહાના શોધી રહી છે અને શાસકો તંત્રનો આ ખેલ નિહાળી રહ્યું છે.રાજકોટવાસીઓને તો વરસાદ પડે કે ન પડે પાણીકાપ માટે તૈયાર જ રહેવું પડે છે તેવો રોષ લોકોમાં છવાયો છે. ભાદર ડેમની સપાટી ૩૦.૩૦ ઉપર પહોંચી છે. આજી ડેમમાં આવક ચાલુ છતાંય યેનકેન બહાને ફરી તંત્ર અને શાસકો પાણીકાપ ચાલુ રાખતા ગૃહિણીઓમાં રોષ છવાયો છે.


મોદીની સહાય ક્રિકેટ ગ્રાઉન્ડ સરખું કરવામાં જ વપરાઇ જશે

રાજકોટનું ક્રિકેટ ગ્રાઉન્ડ પ્રજાની માલિકીનું નહીં પરંતુ ભાજપનું હોય તેવી રીતે કોર્પોરેશને ધ્વજવંદન માટે ભાડે આપી દીધું હતું અને માલિકીપણાની ચરમસીમા તો એ છે કે, તે મેદાન પરેડ માટે ખોદી નખાયું છે, તેમાં કપચી પણ નાખવામાં આવી છે. મુખ્યમંત્રીને ખુશ કરવા ભાજપના નેતાઓ પ્રજાની મિલકત રગદોળી નાખતાં સ્હેજ પણ અચકાતા નથી તેનું શ્રેષ્ઠ ઉદાહરણ આ ઘટના છે. પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી તેનો વિરોધ ઉઠ્યો છે.સિનિયર ક્રિકેટરો એક જ વાત કરે છે કે, ‘આવું મેદાન તૈયાર કરતાં વર્ષો લાગે, તેને આમ બે દિવસમાં બગાડી નંખાય નહીં, મેદાનમાં રમત સિવાય પ્રવૃત્તિ જ ન કરાય’ હવે સ્થિતિ એ ઉભી થઇ છે કે મેદાન રીપેર કરવામાં અંદાજે ૭૦ લાખ રૂપિયા વપરાશે. મોદીએ રાજકોટ શહેરને રૂ.એક કરોડની ગ્રાન્ટ આપી છે તે માત્ર આ ગ્રાઉન્ડ પાછળ જ વપરાઇ જશે - કોર્પોરેશનના ભાજપના શાસકોના પાપે.વર્ષોની મહેનત બે દિવસમાં રોળી નાખી : રામ ઓડેદરા -પોરબંદરના ક્રિકેટર, રણજીના પ્રસિધ્ધ રમતવીર રામ ઓડેદરાએ ચેન્નઇથી ફોન પર વાત કરતા જણાવ્યું કે, મને આ આખી વાત ખ્યાલ છે. જે થયું છે તે ખોટું થયું છે. આંતરરાષ્ટ્રીય કક્ષાનું સૌરાષ્ટ્રનું આ એક માત્ર મેદાન છે. તેને તો જાળવવું જોઇએ. અહીં કેટલી ઇન્ટરનેશનલ મેચીઝ રમાય છે, કેટલી ટુનૉમેન્ટ થાય છે. હવે હમણા સીઝન પણ શરૂ થશે. આવું મેદાન તૈયાર કરતા તો વર્ષો થાય, તેને આમ બે દિવસમાં બગાડી નાખ્યું. મેં તો ફ્કત સમાચાર વાચ્યા છે, જોયું હોત તો મને રડવું આવી જાત. કપચી અને તે પણ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ? અરે રમત સિવાય મેદાન આપવાની જ શું જરૂર ?સત્તા સામે પૂર્વ ખેલાડીઓએ મોં સીવી લીધા -રાજકોટના એક માત્ર આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ ગ્રાઉન્ડનું તંત્રએ નકિંદન કાઢી નાખતા મોટાભાગના ક્રિકેટ ખેલાડીઓ નારાજ થયા છે. જો કે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં મોટાભાગના પૂર્વ ખેલાડીઓએ નામ ન આપવાની સાથે રોષ વ્યક્ત કરી જણાવ્યું હતું કે, જે કર્યું તે યોગ્ય નથી. તંત્ર ધારે તે કરી શકે તે વાત સાચી પરંતુ આ કાર્યક્રમ બાદ ક્રિકેટનું મેદાન પહેલા જેવું બની શકશે? એક પૂર્વ ક્રિકેટરે કહ્યું કે રમત ગમતના મેદાનો માટે કાયદો બનાવવો જોઇએ.


મોદીના માંડવાનો ખર્ચ ૧.૮૬ કરોડ

રાજકોટમાં ઉજવાયેલા ૬૪મા સ્વતંત્રતા પર્વના રાજ્યમહોત્સવની સમાપ્તિ થતાં જ તંત્રે રાહતના શ્વાસ લીધા છે. ઉજવણી પાછળનો કુલ ખર્ચ કેટલો તે તો હવે ખ્યાલ આવશે. અંદાજે સાડા સાત કરોડ રૂપિયા વિવિધ તબક્કે અલગ અલગ કાર્યક્રમો પાછળ ખર્ચાયાનું સૂત્રો કહે છે. સૌથી વધારે જેની ચર્ચા હતી તે મંડપનો ખર્ચ ૧ કરોડ ૮૬ લાખ થયો હોવાનું પણ બહાર આવ્યું છે. જો કે બે દિવસમાં વાસ્તવિક રકમ ખબર પડશે. હવે તંત્ર લોકમેળાની તૈયારીમાં લાગ્યું છે.મુખ્યમંત્રીની હાજરીમાં ઉજવાયેલું સ્વતંત્રતા પર્વ રાજકોટને કરોડોમાં પડ્યું છે. સામે રાજકોટને એક કરોડ રૂપિયા જેવી મામૂલી રકમ સરકારે આપી છે.જિલ્લાના પ્રભારી મંત્રી સૌરભ દલાલે આ ઉજવણી અંગે વિગતો આપી ત્યારે જણાવ્યું હતું કે, ૧૭મી ઓગસ્ટે ઉજવણીના ખર્ચની રકમ જાહેર થશે. જો કે, એવું તો શક્ય લાગતું નથી કારણ કે બે માસથી આ આયોજનની તૈયારીમાં વ્યસ્ત તંત્ર હજી તો થાક ઉતારે છે. જો કે, સૂત્રોએ કહ્યું કે રેસકોર્સ મેદાનમાં જે મંડપ નાખવામાં આવ્યો હતો તેનો ખર્ચ રૂ. ૧ કરોડ, ૮૬ લાખ થયો છે.સત્તાવાર રીતે તો આંકડો આવતાં બે દિવસ થશે. તંત્રવાહકોએ આજે રાહતનો અનુભવ કર્યો છે. હવે લોકમેળાની તૈયારી થશે. પરંતુ, તેમાં તંત્રને આટલું ટેન્શન ન હોય કારણ કે, તે તો પ્રજા માટેનું આયોજન છે, તેમાં મંત્રીઓ કે મુખ્યમંત્રી આવવાના નથી.

No comments:

Post a Comment