16 July 2010

સરકારનો ફતવો: ચૂંટણીકાર્ડ વિના ગેસનો બાટલો નહીં મળે

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour

સરકારનો ફતવો: ચૂંટણીકાર્ડ વિના ગેસનો બાટલો નહીં મળે

ગેસનો બાટલો મેળવવામાં ગ્રાહકોને આમ પણ મુશ્કેલી પડી રહી છે ત્યારે રાજ્ય સરકારે નવો ફતવો બહાર પાડીને જે વ્યક્તિ પાસે ચૂંટણી કાર્ડ નહીં હોય તેઓને ગેસ રિફિલ નહીં આપવાનો પરપિત્ર બહાર પાડતાં અનેક તર્કવિતર્કો શરૂ થયા છે. પરપિત્રનો અમલ આજથી જ શરૂ કરી દેવાનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે. આથીગેસ એજન્સીના સંચાલકો મૂંઝવણમાં મુકાઈ ગયા છે.ફૂડ એન્ડ સિવિલ સપ્લાયના ડાયરેકટર વી.પી. પટેલે ધ સ્ટેટ લેવલ કો-ઓર્ડિનેટર એન્ડ જનરલ મેનેજરને પત્ર પાઠવીને એવું જણાવ્યું હતું કે, આઈઓસી અને બીપીસીએલ સહિતની જે ગેસ એજન્સીઓ ગુજરાતમાં કાર્યરત છે તેમાં નોંધાયેલા ગ્રાહકો સાચા કે કેમ તેની ખરાઈ કરવા માટે જેઓની પાસે ચૂંટણી કાર્ડ હોય તેઓને જ ગેસ રિફિલ આપવી.આ અંગેનો પરપિત્ર દરેક જિલ્લા પુરવઠા અધિકારીને પણ મોકલી આપવામાં આવ્યો છે. આ પરપિત્રના અનુસંધાને જિલ્લા પુરવઠા અધિકારીઓએ દરેક ગેસ એજન્સીઓને પત્ર પાઠવ્યો છે કે, સરકારની સુચના અન્વયે તા.૧૫-૭-૨૦૧૦ બાદ કોઈપણ ગ્રાહક ફોનથી ગેસની રિફિલ બુક કરાવે ત્યારે તેમની પાસેથી તેમના ચૂંટણી કાર્ડના નંબર મેળવી લેવા અને ત્યારબાદ એજન્સીનો ડિલિવરીમેન જ્યારે ભરેલી બોટલની ડિલિવરી કરવા જાય ત્યારે બોટલ સોંપ્યાની ઓ.સી. બિલમાં દરેક ગ્રાહકના ચૂંટણી કાર્ડ નંબર લખ્યા બાદ જ ભરેલી બોટલની ડિલિવરી આપવી અને તે રીતે ડિલિવરીમેન દ્વારા દરરોજના આવા ચૂંટણી કાર્ડ નંબરવાળા જે બીલ એજન્સીમાં રજુ કરવામાં આવે તે બીલ ઉપરથી તેની વિગતો તૈયાર કરવી.આ પત્રમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ગેસ ગ્રાહકોના ડેટા ચૂંટણી કાર્ડના આધારે તૈયાર કરવાનો હોય અને સરકારમાં મોકલવાના હોવાથી તાત્કાલિક આ કાર્યવાહી કરવી અન્યથા જે તે એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે. આમ ગેસનો બાટલો ધરાવતા ગ્રાહકો પર ફરી એક વખત નવું ગતકડું કરવામાં આવ્યું છેજે તે ગેસ એજન્સીના સંચાલકોને પુરવઠા અધિકારી તરફથી ચૂંટણી કાર્ડ સંદર્ભે લેખિતમાં સુચના આપી દેવામાં આવી છે. પરંતુ આઈઓસી કે બીપીસીએલ સહિતની કંપનીઓ દ્વારા ગેસ એજન્સીઓને કોઈપણ પ્રકારની સુચનાઓ આપવામાં આવી નથી. ત્યારે સરકારે પાઠવેલા પરપિત્ર સંદર્ભે અમલ શરૂ કરવો કે કેમ તે સંદર્ભે ભારે અસમંજસ ઊભી થઈ છે.


ભારતીય ફિઝિયોથેરાપિસ્ટો માટે અમેરિકાના દરવાજા બંધ

અમેરિકન સરકારે તાજેતરમાં ભારત સહિતના કેટલાક દેશોમાંથી ફિઝિયોથેરાપીનું શિક્ષણ લઈને ગયેલા ફિઝિયોથેરાપિસ્ટો માટે નેશનલ ફિઝિકલ થેરાપિ એકઝામિનેશન(એનપીટીઈ) આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. જેને લીધે ભારતના અનેક ફિઝિયોથેરાપિસ્ટો અને વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા છે. યુએસએમાં ફિઝિયોથેરાપિસ્ટની પ્રેક્ટિસના લાઈસન્સ માટે અમેરિકન સરકારે નેશનલ ફિઝિકલ થેરાપિ એકઝામશિનેશન પરીક્ષા આપવી ફરજિયાત હોય છે.તાજેતરમાં અમેરિકન સરકારે કરેલી જાહેરાત મુજબ ભારત સહિત પાકિસ્તાન, ફિલિપાઇન્સ અને ઇજિ’ના ફિઝિયોથેરાપિસ્ટોને આ પરીક્ષા આપવા પર પ્રતિબંધ મૂક્યો છે.આ પ્રતિબંધને કારણે ભારતનાં હજારો ફિઝિયોથેરાપિસ્ટો અમેરિકા જઈને અટવાઈ પડ્યા છે. જ્યારે ફિઝિયોથેરાપિનું શિક્ષણ લઈને અમેરિકા જવા ઇચ્છુક અનેક વિદ્યાર્થીઓ પણ નિરાશ થયા છે. એક અંદાજ પ્રમાણે વડોદરા શહેરમાં હાલમાં જુદી જુદી કોલેજોમાં ૨૫૦ વિદ્યાર્થીઓ ફિઝિયોથેરાપિનું શિક્ષણ લઈ રહ્યાં છે. પારુલ ફિઝિયોથેરાપિ કોલેજના આચાર્ય ડૉ. મેહૂલ જાધવના જણાવ્યા પ્રમાણે ‘અમેરિકન સરકારના આ નિર્ણયથી વિદ્યાર્થીઓ ચોક્કસપણે નિરાશ થયા છે પણ આ પ્રતિબંધમાં સુધારો થાય તેવી શક્યતાઓ છે. કારણ કે અમેરિકામાં ભારતીય ફિઝિયોથેરાપિસ્ટોની સારી નામના છે.’ ફિઝિયોથેરાપી એસોસિયેશનના આંકડા મુજબ ભારતમાંથી ફિઝિયોથેરાપિનું શિક્ષણ લીધેલા ૩૫થી ૪૦ ટકા લોકો વિદેશ જાય છેએમ જણાવતા ડૉ. જાધવે કહ્યું હતું કે આ પ્રતિબંધને લીધે કેનેડામાં ફિઝિયોથેરાપિસ્ટો જવાનું વધુ પસંદ કરશે. અમેરિકામાં એનપીટીઈ પાસ કર્યા બાદ ફિઝિયો થેરાપિસ્ટને બે વર્ષ ઉચ્ચ અભ્યાસ માટે અને ત્રણ વર્ષ પ્રેક્ટિસ માટે મંજુરી મળતી હતી.ઉલ્લેખનીય છે કે, કેટલાક સમયથી એનપીટીઈની પરીક્ષાનાં પેપરો જે દેશો પર પ્રતિબંધ મૂકાયો છે તેદેશોના જ વિદ્યાર્થીઓમાં પેપરો ફૂટી જવાના કિસ્સાઓ બનતા હોવાથી અમેરિકન સરકારે આ પ્રતિબંધ મૂક્યો હોવાની ચર્ચા છે.


ઓસામ બિન લાદેન જીવતો છે : ઓમર

અલકાયદાના પ્રમુખ ઓસામા બિન લાદેનના પુત્ર ઉમર બિન લાદેને એવો દાવો કર્યો છે કે તેના પિતા જીવતા છે, પરંતુ તે ક્યાં છે તે અંગે તેને કોઈ જાણકારી નથી.વર્તમાનપત્ર ‘ધ સન’ સાથે વાતચીત કરતા ઉમરે ગુરુવારે જણાવ્યું હતું કે, મારા પિતા હજુ જીવતા છે. પરંતુ તે ક્યાં છે તે અંગે મને કોઈ જાણકારી નથી. જ્યારે કોઈ વ્યક્તિ મરી જાય છે ત્યારે તમે તેને છૂપાવી શકતા નથીઉમરે જણાવ્યું હતું કે અમે હજુ પણ તેમને પ્રેમ કરીએ છીએ. આખરે તે મારા પિતા છે. હું પિતાના રૂપમાં હંમેશા તેને યાદ કરું છું. પરંતુ અમારા બંનેનો સ્વભાવ અલગ છે. હું શાંતિ ઈચ્છું છું. જ્યારે મારા પિતા ‘ધ ગ્રેટ દેત્ય’ અમેરિકામાં લોહીની નદીએ વહેડાવવા માગે છે.દોહા ખાતે વર્તમાનપત્રને આપેલી મુલાકાતમાં ઉમરે કહ્યું હતું કે, મારા પિતા કહેતા હતાં કે અમેરિકામાંથી આવતી બધી વસ્તુઓમાંથી સૌથી સારી વસ્તુ તેના હથિયારો છે.નોંધનીય છે કે ઉમર હાલમાં જ તેની બ્રિટિશ પત્નીથી અલગ થયો છે. તેની બ્રિટિશ પત્નીએ કહ્યું હતું કે ઓમરને પોતાના માથામાં તેના પિતાનો અવાજ સંભળાય છે, તેમજ તેની માનસિક હાલત પણ સારી નથી. ઉમરે જણાવ્યું હતું કે 22 વર્ષીય સરોગેટ માતા લુઈસ પોલાર્ડ દ્વારા જન્મ લેનાર તેના પુત્રને તે ઓસામાના નામથી બોલાવા માગે છે. બાળક જ્યારે મોટો થશે ત્યારે હું તેને ઓસામાના નામથી બોલાવીશ. મને આશા છે કે મારો પુત્ર શાંત સ્વભાવનો હશે.ઓમરનો જન્મ ઓસામાની પહેલી પત્ની દ્વારા સાઉદી આરબમાં થયો હતો. ઉમરે કહ્યું હતું કે તેના પિતાએ તેને રાઈફલ અને રશિયન ટેન્ક ચલાવતા શીખવી હતી.ઉમરે કહ્યું કે તે પોતાના પિતાનો લાડકો પુત્ર હતો. તેમજ તેના પિતાનો એટલો પ્રભાવ હતો કે તે કોઈના વિચારને બદલી શકવા સક્ષમ હતાં. પરતું હું મારા પિતાના રસ્તે ચાલ્યો ન હતો. 2001માં ઉમરે અફઘાનિસ્તાન છોડી દીધું હતું.


આણંદના ગોયા તળાવમાં ‘ગંગાજળ’

આણંદ શહેરની સાવ મધ્યમાં આવેલાં તળાવને નકૉગારની સ્થિતિમાંથી બહાર લાવવા વિશેષ પ્રોજેક્ટ હાથ ધરાયો : ગંગા શુદ્ધિકરણથી પ્રેરણાં લઈ નગરપાલિકા દ્વારા વન્ડિમીલ એરેટરથી તળાવના પાણી શુદ્ધ કરાશેઆણંદ શહેરની મધ્યમાં આવેલ તળાવના પાણી સૌથી વધુ પ્રદૂષિત અને અશુદ્ધ હોવાનું સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના અહેવાલમાં માલૂમ પડ્યું હતું. જોકે, ગંગા શુદ્ધિકરણ પ્રોજેક્ટમાંથી પ્રેરણાં લઈને આ પાણીના શુદ્ધિકરણ માટે હવે દેશની સૌપ્રથમ સ્વંયસંચાલિત વન્ડિમીલ એરેટર સિસ્ટમ લગાવવામાં આવી રહી છે.જેનાંથી પાણીની દૂગઁધ અને પ્રદૂષણને વીજળીના કે અન્ય કોઈ ખર્ચ વિના ઘટાડી શકાશે. હાલમાં તળાવની પાસે આવેલાં લાયન્સ હોલમાં સિસ્ટમ લગાડવાની કામગીરી આખરી તબક્કામાં છે.સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડના ગ્લોબલ એન્વાયર્મેન્ટ મોનિટિંરગ સિસ્ટમ પ્રોજેક્ટ હેઠળ મળેલ અહેવાલમાં આણંદમાં વહેરાઈમાતા સહિત અન્ય મંદિરોની પાસે આવેલ તળાવના પાણી અશુદ્ધ હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી.ત્યારે ગંગા શુદ્ધિકરણ માટે કામ કરનારા અને એસ.પી.યુનિવર્સિટીના ફિઝિકસ ડિપાર્ટમેન્ટમાં ટેક્નિકલ ડિરેક્ટર તરીકે ફરજ બજાવતાં શ્રીલાલ ઝાએ આણંદ તળાવના પાણીના શુદ્ધિકરણ માટે કંઈક કરવાનો વિચાર આવ્યો હતો અને ઈલેકટ્રિકલ એરેટરના બદલે સ્વંય સંચાલિત વન્ડિમીલ એરેટર સિસ્ટમ વિકસાવીને પ્રાયોગિક ધોરણે આણંદના તળાવ માટે ઉપયોગ કરવાનું નક્કી કર્યું હતું. શ્રીલાલ ઝાએ આ સિસ્ટમ વિશે વાત કરતાં જણાવ્યું હતું કે ‘પવનચક્કીના પાંખિયા પવનની સાથે ફરે છે ત્યારે તેની સાથે જોડાયેલા એર પંપને દબાણ આપે છે, જેથી ડીફ્યુઝર દ્વારા પાણીમાં હવાના પરપોટા ઉત્પન્ન થતાં ઓકિસજનનું પ્રમાણ વધે છે. પરિણામે બાયોલોજિકલ ઓકિસજન ડિમાન્ડ (બીઓડી)નું પ્રમાણ ઘટે છે.એરેટરનું ડીફ્યુઝર તળાવની વચ્ચે પાણીની ૬૦ ટકા ઊંડાઈએ લગાવવામાં આવ્યું છે. જેની વિશેષતા એ છે કે ઉનાળો હોય કે શિયાળો પાણીનું તાપમાન એક્સરખું જળવાઈ રહે છે. ચોમાસામાં તળાવના પાણીમાં ડીઝોલ્વ ઓકિસજન (ડીઓ)નું પ્રમાણ સૌથી વધુ ઘટે છે, ત્યારે આ સિસ્ટમથી ડીઓનું પ્રમાણ જાળવી શકાય છે.જોકે, શિયાળામાં પવન ઓછો હોવાથી પવનચક્કીનો ઉપયોગ થઈ શકતો નથી. એટલે વન્ડિમીલ સાથે સોલાર એરેટર સિસ્ટમનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના થકી બેટરીમાં પાવર સ્ટોર કરીને એરેટર જરૂરિયાત પ્રમાણે ચલાવવામાં આવે છે. પાણીની શુદ્ધિકરણની પ્રક્રિયા સતત ચાલતી રહે છે.’


ઝૂમ બરાબર ઝૂમ...ખેડા કરતાં આણંદ વિદેશી દારૂનું બે ગણું વેચાણ

ચરોતરમાં વરસાદી મોસમ શરૂ થતાં જ વિદેશી દારૂના શોખીનો ગેલમાં આવી ગયાં છે. એનઆરઆઈનો ગઢ આણંદ - ખેડા જિલ્લાની બીજી પણ એક ખાસિયત ગણીએ તો અહીં વિદેશી દારૂનો ચસ્કો બારેય માસ રાખનારની સંખ્યાનો આંક પણ મસમોટો છે. વાર-તહેવાર કે મોસમ કંઈ પણ હોય ‘પીને વાલો કો પીને કા બહાના ચાહીએ’ તેમ કોઈ પણ સમયે અહીં વિદેશી દારૂની મહેફિલ ચાલું જ હોય છે. તેમાંય પ્રથમ વરસાદ બાદ પરમીટ શોપ પર જ નહીં, નામી અડ્ડાપર પણ વિદેશી દારૂનું વેચાણ વધ્યું છે.આણંદ - ખેડામાં ગેરકાયદે છોડો, પરંતુ કાયદેસર પરમીટ પર દારૂ પિતા લોકો છેલ્લાં બે વર્ષમાં નવ કરોડ રૂપિયા ઉપરાંતનો વિદેશી દારૂ ઢીંચી ગયાં છે. જ્યારે ગેરકાયદેસરનો દારૂ ઢીંચનારાંઓનો આંકડો તો અધધધ છે. વરસાદી મોસમે વિદેશી દારૂના શોખીનોમાં આનંદ - આનંદ કરી દીધો હોવાનું જણાય છે. ફ્લેટ હોય કે ટેનામેન્ટ, બંગલો હોય કે ફાર્મ હાઉસ ઠેર ઠેર વિદેશી દારૂની મહેફિલો મંડાઈ છે.મિત્રો, સ્નેહીઓ, કોલેજીયનો હાલ મૌસમનો પુરબહારમાં આનંદ ઉઠાવી રહ્યાં છે.જો કે, આણંદ - ખેડાજિલ્લામાં બુટલેગર દ્વારા ગેરકાયદે વેચાતા વિદેશી દારૂ પર પોલીસ તંત્રની અવાર નવાર ઘોંચ હોવા છતાં ખાસ કોઈ ફેર પડતો નથી. પરંતુ કાયદેસરના વેચાણ બાબતે જાણવા મળેલી વિગતો પણ ચોંકાવનારી છે.તાજેતરમાં માહિતી અધિનિયમ હેઠળ માંગવામાં આવેલી એક માહિતી મુજબ આણંદ - ખેડા જિલ્લામાં મળી બે વર્ષના ગાળામાં ૧૩ લાખ ઉપરાંત વિદેશી દારૂની બોટલ શોખીનો ગટગટાવી ગયાં હતાં અને રકમમાં જોઈએ કુલ રૂ.૯,૧૭,૧૬,૮૭૯ થવા જાય છે.આણંદ - ખેડા જિલ્લામાં એક - એક સ્થળે જ વિદેશી દારૂની વેચાણ માટે કાયદેસરની પરમિટ અપાઈ છે. જેમાં આણંદ ખાતે ૮,૩૪,૪૪૪ બોટલ અને ખેડા જિલ્લામાં ૪,૬૮,૮૦૨ બોટલ વિદેશી દારૂ બે વર્ષમાં વેચાયો છે.


બોરીવલી સ્ટેશને ત્રિપુટી પાસેથી પોલીસે રૂ. ૧૦૦૦ની ૬૯ લાખોની નકલી નોટો જપ્ત કરી

બોરીવલી સ્ટેશને ત્રણ જણની લાખ્ખો રૂપિયાની નકલી નોટો સાથે રેલવે ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ ત્રણેયને રિમાંડ પર લઈને પોલીસે વધુ તપાસ આદરી છે.બોરીવલી રેલવે સ્ટેશને ભારતીય બનાવટની નકલી નોટો લઈને નાલાસોપારાનો એક શખસ હેરાફેરી કરવાના ચક્કરમાં છે એવી રેલવે ક્રાઈમ બ્રાંચને મળેલી માહિતીને આધારે જાળ બિછાવીને મૂળ મુિર્શદાબાદના ઈસ્લામપુરા ગામના નાલાસોપારામાં રહેતા હબીબ હસન અલી સરકાર (૨૫)ની ધરપકડ કરી હતી. તેની ઝડતી લેવામાં આવતાં એક હજાર રૂપિયાની ૧૦૮ નોટો મળી આવી હતી.હબીબની પૂછપરછ કરવામાં આવતાં અબ્બાસ ફેરસતુલ્લા શેખ (૨૨) અને પિયારુલ રોહિસતુલ્લા મંડલ (૨૨)ની નાલાસોપારા ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ પાસેથી પોલીસે એક હજાર રૂપિયાની ૬૯ બનાવટી નોટો જપ્ત કરી હતી.બોરીવલી રેલવે સ્ટેશનના ક્રાઈમ બ્રાંચના વરિષ્ઠ અધિકારી કિશોર પાસલકરે જણાવ્યું હતું કે હબીબ ભારતીય બનાવટની નકલી નોટો લઈને નાલાસોપારા જવાનો હોવાની માહિતી મળતાં અમે રેલવે સ્ટેશને જાળ બિછાવી રાખી હતી. હબીબ પ્લેટફોર્મ નંબર ૪-૫ ઉપર આવ્યો ત્યારે તેની શંકાસ્પદ હિલચાલને જોતાં તેની ઝડતી લેવામાં આવી હતી. તેની પાસેથી રૂ. ૧૦૦૦ની ૧૦૮ બનાવટી નોટો મળી આવી હતી. હબીબની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવતાં તેણે તેના બે સાથીનાં નામ આપ્યાં હતાં. અબ્બાસ અને પિયારુલની નાલાસોપારાથી ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ પાસેથી પોલીસે રૂ. ૧૦૦૦ની ૬૯ નોટો જપ્ત કરી હતી. તેઓની પૂછપરછ હાથ ધરવામાં આવતાં બીજી જુલાઈના રોજ કોલકતાથી આવ્યાહતા અને નાલાસોપારામાં એક ભાડાના ઘરમાં રહેતા હતા. પશ્ચિમ બંગાળના મદનપુરા ગામમાંથી આન્ટુ શેખની પાસેથી તેઓ આ નોટો લઈ આવ્યા હતા અને શહેરમાં મીના નામના શખસને આ નોટો પહોંટાડવાની હતી.


દૂધમાં ભેળસેળ કરનારાઓને જન્મટીપની સજાનો કાયદો ઘડાશે

આજીવન કેદની સજાની જોગવાઈ ધરાવતો પ્રસ્તાવિત કાયદો રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલાયો છે. દૂધમાં ભેળસેળના ગુના માટે આરોપીને આજીવન કેદની સજાની જોગવાઈ ધરાવતો પ્રસ્તાવિત કાયદો રાષ્ટ્રપતિની મંજુરી માટે મોકલાયો છે અને તેને ટૂંક સમયમાં માન્યતા અપાવાની શક્યતા છે, એમ ગૃહરાજ્યપ્રધાન રમેશ બાગવેએ વિધાન પરિષદમાં જણાવ્યું હતું.થાણે શહેર અને આસપાસના પરિસરમાં દૂધમાં ભેળસેળની કરવાના બનાવો મોટા પ્રમાણમાં પ્રકાશમાં આવી રહ્યા છે. આ કિસ્સામાં નફાખોરી માટે દૂધમાં ફકત પાણી નહીં પણ શરીર માટે ઘાતક પદાર્થોનું પણ મિશ્રણ કરાય છે. આ બાબતે ભાજપના સંજય કેળકરે ઉપસ્થિત કરેલી ચર્ચાનો ઉત્તર આપતાં સરકાર આ પ્રશ્ને ગંભીર હોવાનું જણાવતાં રાજ્યમાં ભેળસેળ કરનારાઓની બધી છટકબારીઓ બંધ કરીને તેમના પર ફંદો બરાબર કસવાનું વચન રમેશ બાગવેએ ઉચ્ચાર્યું હતું.રમેશ બાગવેએ જણાવ્યું હતું કે ‘‘ભેળસેળના સ્થળે દરોડો પડાય ત્યારે ફકત કર્મચારીઓ સપડાય છે. આવી પ્રવૃત્તિઓમાં સૂત્રધાર-માલિકોનાં નામ વેગળાં રખાય છે. તેથી આવા ગુના માટે સંબંધિત માલિકોને આરોપી બનાવીને આ ગુનો દખલપાત્ર અને બિનજામીનપાત્ર બનાવવાનું પ્રસ્તાવિત કાયદામાં નોંધાયું હોવાનું બાગવેએ જણાવ્યું હતું.


ક્યાંથી અને કેવી રીતે નીકળે છે પ્રાણ?

મોત કડવું પરંતુ અટલ સત્ય છે. દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે મરવાની ઈચ્છા ધરાવતી હશે.જો કે દરેક મનુષ્ય સારી રીતે જાણે છે કે આજ સુધી મૃત્યુથી આબાદ કોઈ રહી શક્યું નથી.મોત આવે છે, લોકો મૃત્યુ પામે છે તે સૌ કોઈ જાણે છે.પરંતુ ક્યાં અને કેવી રીતે થાય છે મોત?આજ સુધી એવું ક્યારેય સાંભળવામાં નથી આવ્યું કે કોઈ હસતા હસતા મોતને ભેટ્યું હોય.એટલા માટે જ કહેવું ઉચિત છે કે દરેક વ્યક્તિ રડતા રડતા આ ધરતી પર પગ મુકે છે અને મૌન બનીને ચાલ્યા જાય છે.કેટલાક કાલજયી લોકો આ દુનિયામાં એવા હોય છે જે જન્મ અને મૃત્યુ પારની દુનિયા જોવા માટે સમર્થ હોય છે. એવા જ સિદ્ધ લોકોમાં સામેલ થાય છે યોગીરાજ અરવિંદ. તેઓ મૃત્યુના વિષયમાં અનેક રોચક વાતો કરે છે, તેઓ માને છે કે,ન અવસ્થામાં...બિમારી, આઘાત કે અન્ય કોઈ કારણથી મૃત્યુ થાય તો તેનાથી કષ્ટ એટલે કે તકલીફ થાય છે. મર્યા પહેલા દરેક પ્રાણીને અપાર કષ્ટ થાય છે પરંતુ આ અવસ્થામાં કોઈ ક્યારેય કંઈ બોલી નથી શકતું. જ્યારે પ્રાણ , જીવ કે આત્મા નિકળવાનો સમય બિલકુલ નજીક આવે છે ત્યારે એક પ્રકારની બેભાની અવસ્થામાં જતો રહે છે અને અચેત અવસ્થામાં આત્મા શરીરની બહાર નીકળી જાય છે.
આમ રસ્તો: અધિકાંશ શરીરની ઉપરનો ભાગ અને અંગોમાંથી જ પ્રાણ કે આત્મા નીકળે છે. મુખ, આંખ, કાન અને નાકમાંથી આત્મા નીકળે એ તેનો પ્રમુખ માર્ગ છે.પાપીઓના પ્રાણ: દુષ્ટ, પાપી અને દુરાચારી લોકોની આત્મા મળ-મૂત્રના રસ્તામાંથી બહાર નીકળે છે.યોગીની આત્મા: યોગની ઉચ્ચ અવસ્થામાં પહોંચેલા સિદ્ઘ યોગી બ્રહ્મરંધથી પ્રાણનો ત્યાગ કરે છે.


ટ્રેડ યુનિયનોની ૭ સપ્ટેમ્બરે હડતાળ

કેન્દ્ર સરકારની આર્થિક નીતિઓ અને ભાવવધારાના વિરોધમાં કોંગ્રેસ સમર્થિત આઈએનટીયુસી સહિત ટોચના નવ ટ્રેડ યુનિયનોએ ૭ સપ્ટેમ્બરે રાષ્ટ્રવ્યાપી હડતાળ પાડવાની જાહેરાત કરી છે. દિલ્હીમાં યોજાયેલા નેશનલ કન્વેન્શન ઓફ વર્કર્સમાં આ નિર્ણય લેવાયો હતો. ભાજપ સમર્થિત ભારતીય મજદૂર સંઘે આ પરિસંવાદનો બહિષ્કાર કર્યો હતો. જો કે બહિષ્કાર અંગે કારણ જાણવા મળ્યું નહોતું.S


આર્જેન્ટિનામાં ગે-લેસ્બિયનોમાં આનંદો...

આર્જેન્ટિના સમલૈંગિક લગ્નને માન્યતા આપનાર પ્રથમ લેટિન અમેરિકન દેશ બની ગયો છે. અર્જેન્ટિનાની સંસદે બુધવારે સમલૈંગિલ લગ્નના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. 15 કલાસ સુધી કરવામાં આવેલી ચર્ચા બાદ થયેલા મતદાનમાં ખરડાની તરફેણમાં 33 જ્યારે તેના વિરોધમાં 27 મત પડ્યા હતાં. સમગ્ર કાર્યવાહીનું સિધું પ્રસારણ રાષ્ટ્રિય ટીવી ચેનલ પર કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ક્રિસ્ટીના કર્ચનરે દેશમાં સમલૈંગિક લગ્નને મંજૂરી આપવાની જાહેરાત કરી હતી. રોમન કેથોલિક વસ્તી ધરાવતો આર્જેન્ટિના દેશ દુનિયામાં સમલૈંગિક લગ્નને મંજૂરી આપતા દેશની યાદીમાં હવે સામેલ થઈ ગયો છે. આ પહેલા નેધરલેન્ડ, બેલ્જિયમ, સ્પેન, કેનેડા, દક્ષિણ આફ્રિકા, નોર્વે, સ્વીડન, પોર્ટુગલ અને આઈસલેન્ડ સમલૈંગિક લગ્નને કાયદેસરની માન્યાતા આપી ચુક્યા છે.સત્તા પર બેસેલા પક્ષના અધ્યક્ષ મિગુએલ પિકેન્ટ્ટોએ જણાવ્યું હતું કે આપણા માટે આ એક ઐતિહાસિક દિવસ છે. જ્યારે વિરોધ પક્ષના નેતા ગેર્રાડો મોરેલ્સે જણાવ્યું હતું કે આર્જેન્ટિનાનો સમાજ હવે બદલાઈ ગયો છે. આ કાયદાનો ઉદેશ્ય સમાજના બધા લોકોના અધિકારોને માન આપવાનો છે.


સેન્સેક્સ-નિફ્ટી સપાટ, ટીસીએસમાં તેજી

બીએસઇ ખાતે સેન્સેક્સ સવારે 9.10 વાગ્યે 1 અંકની નરમાઇ સાથે 17,908 પર હતો. નિફ્ટી 1 અંકની મજબૂતી સાથે 5380 પર હતી. એનએસઇ ખાતે સીએનએક્સ મિડકેપ ઇન્ડેક્સમાં 0.22 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. બીએસઇ ખાતે સ્મોલકેપમાં 0.44 ટકા અને મિડકેપમાં 0.61 ટકાની વૃદ્ધિ છે.બીએસઇ ખાતે સેકટરોલ ઇન્ડેક્સની વાત કરીએ તો મિશ્રપ્રસિતાદ છે. આઇટી ઇન્ડેક્સ 1.2 ટકા સૌથી ઉપરમાં છે. સેન્સેક્સ ખાતે 19 શેરોમાં નરમાઇ અને 11 શેરોમાં વૃદ્ધિ છે. ટીસીએસ 4.09 ટકા સૌથી ઉપર છે. જ્યારે ભારતી એરટેલે 0.94 ટકા સૌથી નીચામાં છે.


‘લાદેન’ઓસામાને હસાવી શકશે?

હિટલરનો સૂર્ય મધ્યાહ્ને હતો, એ દિવસોમાં રોઝન્થાલ નામની મહિલા ફિલ્મકારે એક વૃત્તચિત્ર બનાવ્યું હતું. એ ફિલ્મે હિટલરનો ભય ખૂબ વધારી દીધો. તેમણે દરેક ર્દશ્યમાં હિટલરને તેના વાસ્તવિક કદથી મોટો દર્શાવ્યો. આશ્ચર્યજનક હકીકત છે કે હિટલર, નેપોલિયન અને સકિંદર નાના કદની વ્યક્તિ હતા અને કદાચ એ કુંઠિતતાએ જ તેમને ક્રૂર અને નિર્દય બનાવ્યા. ખેર, એ વૃત્તચિત્રને તેના પ્રભાવ અને ટેકનિકને કારણે મહાન ગણવામાં આવે છે.હિટલરનાં સ્થિર ચિત્રો-તસવીરોના સંકલનમાં ભૂલથી ચાર્લી ચેપ્લીનની એક તસવીર આવી ગઈ હતી પણ પછીથી ભૂલ સુધારવા માટે એ હટાવી દેવાઈ. એ ખબર મળતાં ચાર્લી ચેપ્લીને હિટલર પર કટાક્ષ કરતી એક ફીચર ફિલ્મ બનાવી. એ જોઈને અનેક લોકોના મનમાંથી હિટલરનો ભય ઓછો થઈ ગયો. રોઝન્થાલની ફિલ્મે હિટલર વિશે ભયનો આભાસ સર્જ્યો અને ચાર્લી ચેપ્લીને હિટલર પર સાવ રમૂજી, ખડખડાટ હસાવતી ફિલ્મ બનાવીને તેનો આતંક ઘટાડ્યો.નવોદિત ફિલ્મકાર અભિષેક શર્માએ તેમની હાસ્ય ફિલ્મ ‘તેરે બિન લાદેન’ દ્વારા ઓસામાનો ભય ઘટાડી નાખ્યો છે. નિર્દય હત્યારાઓનાં કાર્ટૂન્સ જોઈને તેમને માટેનો આપણો ભય ઘટી જાય છે. બધા આપખુદ શાસકો-તાનાશાહો પોતાના ભયનો આભાસ ઊભો કરે છે, પોતાની એવી આભા સજેઁ છે અને એ આભાસ પર તેમનાં સામ્રાજ્યો ઊભાં કરાય છે. બધા દાદાઓ, ભાઈલોકો કે મવાલીઓ ભયનો પ્રભાવ ઊભો કરે છે અને સામાન્ય માનવી એ પ્રભાવ, એ આભાસી ભયમાં દબાઈ જાય છે.ફિલ્મકારે ઓસામાને બહાને અમેરિકાની મજાક ઉડાવી છે. અમેરિકા ભયના આભાસો સર્જતું રહ્યું છે, પણ હવે એ પોતે ભયનો શિકાર બન્યું છે. જેમ અંધારામાં દોરડાને સાપ સમજીને તેને લાકડી મારવા જેવો અમેરિકાનો ઘાટ થયો છે. આ ફિલ્મમાં મરઘાં ઉછેરતા એક ભોળા માણસનો ચહેરો ઓસામા જેવો હોવાને કારણે કેટલાક યુવાનો એક મજેદાર ખેલ કરે છે. આ ભૂમિકામાં પ્રદ્યુમનસિંહ મલ ખૂબ કમાલનો અભિનય કરે છે.પાકના એક યુવાન રોકસ્ટાર ‘અલી’ની પણ આ પ્રથમ ફિલ્મ છે. આ ફિલ્મની ડીવીડી ઓસામા બિન લાદેન મંગાવીને જોશે કે નહીં અને જોશે તો તેની પ્રતિક્રિયા કેવી હશે? એ કલ્પના પણ રસપ્રદ છે. એ ચોક્કસ ગુસ્સે થશે, કારણ કે તાનાશાહી-આપખુદ વર્તન કરનારાઓને હસતા-હસાવતા આવડતું નથી. ઓસામા બિન લાદેન પોતાનું મનોરંજન કેવી રીતે કરતો હશે? ફૂલનદેવીએ શેખર કપૂરની બેન્ડિટ ક્વીન ફિલ્મ જોઈને નારાજ થઈને અદાલતમાં અરજી કરીને ફિલ્મ પોતાના જીવન પર આધારિત હોવાનો દાવો કર્યો. પણ ન્યાયાધિશે ફિલ્મકારની તરફેણમાં ચુકાદો આપ્યો. આખી વાતનો સારાંશ એટલો જ છે કે ‘‘પાત્રની સ્મૃતિ કે અનુભવમાં કંઈક ભૂલચૂક કે ખોટું હોઈ શકે પણ કથાવાચક કે વર્ણન કરનાર ક્યારેય ખોટા હોતા નથી. હવે કલ્પના કરો કે કથાવાચક અભિષેક શર્માની ફિલ્મ જોઈને ઓસામા હસતો હોય!



બિગ-બી કેબીસી માટે રિહર્સલ શરૂ કરશે

લોકપ્રિય ટીવી ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ના ચોથા સેશનના હોસ્ટ બિગ-બીએ આ કાર્યક્રમના રિહર્સલની તમામ તૈયારીઓ કરી દીધી છે. સ્ટાર પ્લસ પર અમિતાભ બચ્ચને આ શોના ત્રીજા સેશનનું સંચાલન કર્યા બાદ હવે આ શો સોની ટીવી પર પ્રસારિત થવાનો છે.અમિતાભ બચ્ચને જણાવ્યું હતું તેઓ શુક્રવારથી રિહર્સલ શરૂ કરશે જેથી શોના નવા ફોર્મેટ અને તેમાં આવરી લેવાયેલા નવા વિચારો અંગે માહિતી મેળવી શકે.


કોમનવેલ્થની શકીરા બની શકે છે કેટરિના

ઓક્ટોબરમાં યોજાનાર કોમનવેલ્થ ગેમ્સના ઉદ્ધાટન સમારોહમાં દર્શકોને બોલિવૂડ સ્ટાર કેટરિના કૈફનો ડાન્સ જોવા મળશે.
આયોજકોએ આ સમારોહમાં પરફોર્મસ માટે કેટરિનાનો સંપર્ક કર્યો છે, પરંતુ બોલૂવિ઼ડ સ્ટારે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી. આયોજકોનું માનવું છે કે કેટરિનાનો ડાન્સ ચાહકોને વર્લ્ડકપ ફૂટબોલના ઉદ્ધાટન અને સમાપન સમારોહમાં પોપ સ્ટાર શકીરાની યાદ અપવાશે.કેટરિના ઉદ્ધાટન સમારોહમાં આ રમતોના ઓફિશિયલ ગીતો પર ડાન્સ કરી શકે છે. ઓસ્કર વિજેતા એ આર રહેમાન આ ગીતને તૈયાર કરી રહ્યાં છે.

‘ઓનર કિલિંગ’ વિષય પર આવી રહેલી અનેક ફિલ્મો

પ્રિયદર્શન સહિત અનેક દિગ્દર્શકો આગામી ફિલ્મોમાં આ મુદ્દો ઉઠાવી રહ્યા છે.પ્રેમ અને લગ્ન પ્રત્યે તેમનાં રૂઢિચુસ્ત દ્રષ્ટિકોણ માટે કુખ્યાત થઇ ગયેલી ખાપ પંચાયતો હવે રૂપેરી પડદે ચમકવાની તૈયારીમાં છે. કેમ કે, બોલિવૂડના કેટલાક દિગ્દર્શકો ‘ઓનર કિલિંગ્સ’ વિષયનો આધાર લઇને ફિલ્મો બનાવી રહ્યા છે. ટીવી ધારાવાહિક બનાવનારા અજય સિંહા અને દિગ્દર્શક અવતાર ભોગલે આ જટિલ મુદ્દાને ઉઠાવવા માટે સિનેમાના માધ્યમનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.સિંહાએ દૈનિકપત્રોમાં ઓનર કિલિંગ અંગે લેખ વાંચ્યા બાદ ‘ખાપ- એ સ્ટોરી ઓફ ઓનર કિલિંગ’ નામની એક ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો છે. સિંહાએ જણાવ્યું હતું કે મારી ફિલ્મ આવી ઘણી ઘટનાઓ આધારિત છે. રાષ્ટ્રીય પારિતોષિક વિજેતા પ્રિયદર્શન બે અલગ જાતિના પાત્રો વચ્ચેના પ્રેમ અને ઓનર કિલિંગનો આધાર લઇને ‘આક્રોશ’ ફિલ્મ બનાવી રહ્યા છે.બ્રિટન જેવા દેશોમાં પણ બિનનિવાસી ભારતીયો આવા ઘોર ગુના કરતા હોય છે તે બાબત ટાંકીને દિગ્દર્શક અવતાર ભોગલે જણાવ્યું હતું કે મારી ફિલ્મ ‘ઓનર કિલિંગ- ગોડ ફોરગિવ મી’માં યુકેના એનઆરઆઇઓમાં થઇ રહેલી ઓનર કિલિંગની ઘટનાઓને વણી લેવાઇ છે. આ ફિલ્મમાં અજય દેવગણ, અક્ષય ખન્ના અને બિપાશા બાસુ અભિનય આપી રહ્યા છે.




સૌરાષ્ટ્રમાં મેઘ મહેર વરસી : બે કલાકમાં છ ઇંચ

મહુવાના ઓથા ગામે દોઢ કલાકમાં છ ઇંચ ખાબકયો સૌરાષ્ટ્રમાં ગુરૂવારે પણ મેઘ મહેર વરસી હતી. મેઘરાજાએ જુનાગઢ, પોરબંદર, અમરેલી જિલ્લા ઉપર અને રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથક ઉપર છુટે હાથે, કૃપા વરસાવી હતી. પોરબંદરના કુતિયાણા અને રાણાવાવમાં માત્ર બે કલાકમાં પાંચ-પાંચ ઇંચ વરસાદ ખાબકતાં સમગ્ર પંથક જળ બંબાકાર થઇ ગયો હતો. એ જ રીતે ઉપલેટાના ભાયાવદરમાં માત્ર બે કલાકમાં પાંચ ઇંચ અને ઢાંકમાં પણ તોફાની પવન અને ગાજવીજ સાથે બે કલાકમાં છ ઇંચ વરસાદ તૂટી પડતાં એ વિસ્તારો તળાવ સરોવરમાં ફેરવાયા હતા.ભાવનગરના મહુવા તાલુકાના ઓથા ગામ માત્ર દોઢ કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતાં ગામનું સ્થાનિક તળાવ છલકાયા પછી તુટી પડતાં ગામ ઘૂઘવતા પાણી વચ્ચે કેદ થઇ ગયું હતું. જુનાગઢમાં પોણા બે ઇંચ અને માંગરોળમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો હતો. માધવપુર પણ ૩ ઇંચ વરસાદ સાથે પાણી પાણી થઇ ગયું હતું.પોરબંદર પંથક પર મેઘરાજાએ આજે ઉન્માદી વ્હાલ વરસાવ્યું હતું. પોરબંદર શહેરમાં તો અડધો ઇંચ વરસાદ જ નોંધાયો હતો પણ કુતિયાણા અને રાણાવાવમાં જાણે કે બારે મેઘ ખાંગા થયા હોય તેમ માત્ર બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ વરસી ગયો હતો. બરડા પંથકમાં પણ હળવાથી ભારે ઝાંપટા પડ્યા હતા.સોરઠમાં પણ ગગનગોખે શ્યામ રંગી વાદળોએ જમાવટ કરી હતી. જુનાગઢ શહેરમાં ૪૫ મી.મી. અને માંગરોળમાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો. વેરાવળ, કેશોદ, સૂત્રાપાડા અને માણાવદરમાં એક એક ઇંચ વરસાદ પડ્યો હતો.રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકને આજે મેઘરાજાએ અનરાધાર ભીંજવ્યો હતો. ઢાંકમાં બપોરે બે વાગ્યે ગાજવીજ સાથે અંધાધૂંધ વરસાદ શરૂ થયો હતો અને માત્ર બે કલાકમાં છ ઇંચ જેવો ભારે વરસાદ વરસી જતાં ઢાંકનગર તથા સીમ વિસ્તારમાં ગોઠણડૂબ પાણી ભરાયા હતા. ભાયાવદરમાં પણ સવારે ૧૧-૦૦ વાગ્યે મેઘરાજાની તોફાની સવારીનું આગમન થયું હતું અને બે કલાકમાં પાંચ ઇંચ વરસાદ ખાબકી જતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપલેટામાં ધીમી ધારે ૫૪ મી.મી. અને ખીરસરામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.હાલારમાં મેઘરાજા માત્ર હાઉકલી કરી ગયા હતા. ધ્રોલ અને જામનગરમાં દોઢ દોઢ ઇંચ અને અન્યત્ર ઝાપટાં પડ્યા હતા. અમરેલી જિલ્લામાં ભારે મેઘાડંબર વચ્ચે અમરેલી શહેરમાં ૩ ઇંચ અને બાબરા, લાઠી, રાજુલામાં એક એક ઇંચ વરસાદ વરસાવી વરૂણદેવે કૃપાદ્રષ્ટિ વરસાવી હતી. ઉપલેટામાં વીજળી પડતાં ફોન સેવા ઠપ્પ ઉપલેટામાં બી.એસ.એન.એલ.ના ટાવર ઉપર વીજળી પડતાં શહેરના તમામ લેન્ડલાઇન અને મોબાઇલ ફોન ઠપ્પ થઇ ગયા હતા.

રાજકોટ : પત્નીને પિયરમાં મોકલતા પતિને પ્રેમીએ ઘૂસ્તાવ્યો

દૂધસાગર રોડ, શિવાજીનગરમાં રહેતો મુકેશ બીજલ ચૌહાણ નામનો કોળી યુવાન બુધવારે રાત્રે ચુનારાવાડમાં ભીમભાઇની ચા ની કેબિન પાસે હતો ત્યારે મનહરપરાના રવિ દેવા તથા તેનાં ભાઇ અજય અને અશોકે અગમ્ય કારણોસર માર મારી નાસી ગયા હતા.બનાવ બાદ કોળીયુવાને ઘરે જઇ ઝેરી દવા પી લેતા સારવાર માટે સિવીલ હોસ્પિટલ ખસેડાયો હતો. કોળી યુવાનની પૂછપરછમાં તેના બાર વર્ષ પહેલા લગ્ન થયા હતા. જે લગ્નજીવનમાં તેને બે સંતાન થયા હતા. દરમિયાન પત્ની ઉષાને છેલ્લા કેટલાક મહિનાઓથી મનહરપરામાં રહેતા રવિ નામના શખ્સ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પત્નીનાં અન્ય પુરૂષ સાથેનાં આડાસંબંધની યુવાનને જાણ થતા પત્ની ઉષાને તેનાં માવતરે મુકી આવ્યો હતો.જેની જાણ પત્નીનાં પ્રેમી રવિને થતાં તેઉશ્કેરાયો હતો અને તેને તેનાં બે ભાઇઓનીજેથી ઉશ્કેરાયેલા રવિએ તેના ભાઇઓ સાથે મળી ગઇ કાલે રાત્રે આંતરી તેં કેમ તારી પત્નીને પિયર મોકલી દીધી તેમ કહી માર મારતા લાગી આવ્યું હતું અને ઘરે આવી ઝેરી દવા પી લીધાનું જણાવ્યું હતું.

રાજકોટ : મ્યુનિ. કમિશનરના બંગલાનું નળજોડાણ કોંગ્રેસે વાઢી નાખ્યું

ભરચોમાસે ઝીંકાયેલા પાણીકાપ સામે મેદાને ઉતરેલી કોંગ્રેસે મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓના નળકનેકશન વારાફરતી વારા કાપી નાખવા આપેલી ચીમકી બાદ અંતે આજે આ ઉગ્ર વિરોધના મંડાણ કર્યા હતા અને મ્યુનિ. કમિશનરના બંગલે ધસી ગયેલા કોંગી કાર્યકારોએ નળકનેકશન કાપી નાખ્યું હતું. આશ્ચર્યની વાત તો એ છે કે, કોંગ્રેસની ચીમકીના પગલે બંગલે વધારાનો પોલીસ જાપ્તો ગોઠવાયેલો હોવા છતાં પોલીસની નજર સામે જ નળરૂપી નાક વઢાઇ ગયું હતું.કોંગી આગેવાનો આજે પાણી પ્રશ્નની રજૂઆત કરવા માટે ગાંધીનગર ગયા ત્યારે બીજીબાજુ મ્યુનિ. કમિશનરના બંગલે ત્રાટકવાનું પૂર્વયોજિત આયોજન કરાયું હોય શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી પોતે રાજકોટ જ રોકાઇ ગયા હતા. કોંગી આગેવાનો ગાંધીનગર ગયા છે એટલે સ્થાનિક કક્ષાએ આંદોલનના કોઇ કાર્યક્રમ નહીં થાય એવી માન્યતા રાખીને મહાપાલિકાના તંત્રવાહકો બેઠા હતા ત્યાજ બપોરે બારેક વાગ્યાના અરસામાં શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી, પૂર્વ કોર્પોરેટર વિજય ચૌહાણ, યુસુફભાઇ સોપારીવાળા, પ્રકાશ છૈયા સહિતનાનો કાફલો ત્રિકમ જેવા ઓજારો લઇને મ્યુનિ. કમિશનરના બંગલે ત્રાટક્યા હતા.કોંગી કાફલો મ્યુનિ. કમિશનરના બંગલાની પાછળની શેરીમાંથી ઓચિંતા ત્રાટક્યા હતા અને બંગલા પર તૈનાત કરાયેલા પોલીસ જાપ્તાને તોડીને કમિશનરનું નળજોડાણ કાપી નાખ્યું હતું. ગણતરીની મિનિટોમાં જ કોંગી કાર્યકારો આયોજનને અંજામ આપી ત્યાંથી રવાના થઇ ગયા હતા. દરમિયાન આ બનાવ અંગે શહેર કોંગ્રેસ પ્રમુખ જશવંતસિંહ ભટ્ટી સહિતના ૨૦ શખ્સો સામે પોલીસે ગેરકાયદે મંડળી રચી સરકારી મિલકતને નુકસાન કરવાનો ગુનો નોંધ્યો છે.પાણી પ્રશ્ન હંમેશા રાજકીય લડાઇનો જ મુદ્દો બનતો હોય છે. પણ કોંગ્રેસ આવા પ્રશ્નેય હરીફ સામે લાજ કાઢી લે એ વધુ એક વખત સાબિત થયું છે. આ અગાઉ ગત વર્ષે જ્યારે પાણીકાપ હતો ત્યારે પણ કોંગ્રેસે માત્રને માત્ર મ્યુનિ. કમિશનરના જ બંગલાને નિશાન બનાવી નળકનેકશન કાપી સિકયુરિટીની ચેમ્બરમાં તોડફોડ કરી હતી. એ ઉપરાંત ડેપ્યુટી કમિશનર મહેતા ઉપર ટેબલ ઊંધુ વાળી તેમની ઉપર હિચકારો હુમલો કર્યો હતો. આ વખતે પણ અધિકારીઓ અને પદાધિકારીઓના નળ કનેકશન કાપી નાખવાની ચીમકી આપી માત્રને માત્ર મ્યુનિ. કમિશનરના બંગલાને જ નિશાન બનાવ્યો હતો.


રાજકોટ :પાંચ રૂપિયાની નોટ અને સિક્કાના દર્શન દુર્લભ

રાજકોટની બજારોમાં પાંચ રૂપિયાની ચલણી નોટો અને સિક્કાની અછત સર્જાઇ છે. લોકો ચોળાયેલી ફાટેલી નોટોથી આર્થિક વ્યવહાર કરી રહ્યા છે. જુદી-જુદી બેંકોમાં તો વિતરણ સમયે લોકોની લાંબી લાઇન લાગે છે પરંતુ તે સિક્કા વ્યવહારમાં આવતા નથી. હજી સુધી કોઇ વેપારી સંગઠન કે રાજકીય આગેવાને પણ પ્રજાના આ પ્રશ્ને અવાજ ઉઠાવ્યો નથી.છેલ્લા દોઢ માસથી શહેરમાં પાંચ રૂપિયાની ચલણી નોટો ફાટેલી કે સેલોટેપ લગાડેલી જ જોવા મળે છે. પહેલાં માત્ર પેટ્રોલ પંપ પર આવી નોટો સ્વીકારાતી હવે કોઇપણ વેપારી આવી નોટ લઇ લે છે. જો કોઇ ગ્રાહક તે સ્વીકારવાનો ઇનકાર કરે તો એવો જવાબ મળે કે કાલે આ નોટ અહીં જ આપી જજો પરંતુ આજે તો રાખવી પડશે.બેંકોમાં રૂ. પાંચની નવી નોટો તો નથી જ આવતી પરંતુ તેના વિકલ્પમાં ઉપયોગમાં લેવાતા સિક્કાઓ પણ પ્રાપ્ય નથી. બેંકો વિશે એવી ફરિયાદ પણ થાય છે કે ગોલ્ડન કોઇનનું તો સોનાના વેપારીઓમાં વેચાણ પણ થઇ જાય છે. પાંચ રૂપિયાના સિક્કાની નિર્માણ કિંમત રૂ. પાંચ કરતા વધારે હોય છે. પરંતુ સિલ્વર કોઇન પણ મળતા નથી. રાજકોટમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક, કોર્પોરેશન બેંક તથા બેંક ઓફ ઇન્ડિયામાં ચલણી નોટ અને સિક્કાના વિતરણની વ્યવસ્થા છે. રવિવારે અને તે સિવાયના દિવસોએ ત્યાં વિતરણ પણ થાય છે. લોકો લાઇનમાં ઊભા રહે છે પરંતુ જેટલું વિતરણ થાય છે તેટલા સિક્કા બજારમાં દેખાતા નથી.રિઝર્વ બેંક પ્રત્યેક બેંકને ચારથી પાંચ બેગ ફાળવે છે. સિક્કાની એક બેગમાં ૨૫૦૦ સિક્કા હોય છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય શાખાના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે કે તેમની શાખામાંથી નિયમિત વિતરણ થાય છે અને લોકો આવે પણ છે. ઘણીવાર એવું બને કે ૫૦૦ સિક્કાની સામે ૩૦૦ કે ૩૦૦ ની માગણીની સામે ૧૫૦ સિક્કા આપવા પડે છે. પરંતુ વિતરણ તો થાય જ છે. ચાર બેંકો આ વિતરણ કરતી હોવા છતાં અત્યારે ગુંદરપટ્ટી કે પારદર્શક ટેપ લગાડેલી રદ્દી થઇ ગયેલી પાંચ રૂપિયાની નોટો બજારમાં ફરી રહી છે.


મનપા સાથે વેપારીઓની માથાકૂટ, સાંગણવા ચોક બંધ

શહેરના સાંગણવા ચોકમાં મનપાની એસ્ટેટ અને ટાઉન પ્લાનિંગ શાખા પાર્કિગમાં થયેલાં દબાણો દૂર કરવા ઓપરેશન હાથ ધરતાની સાથે જ સમગ્ર સાંગણવા ચોકના વેપારીઓ દુકાનો ટપોટપ બંધ કરી રોડ પર ઉતરી આવતા માહોલ ભારે તંગ બની ગયો હતો. અંતે વેપારીઓને માર્જીનનું દબાણ જાતે હટાવી લેવાની મુદત આપવામાં આવ્યા બાદ દુકાનો ખૂલી હતી.સાંગણવા ચોકમાં કોમર્શિયલ કોમ્પલેકસની માર્જિનની જગ્યામાં ઓટલા-છાપરા સહિતના દબાણો ખડકાઇ ગયા હોય વાહન પાર્કિગ નછુટકે રોડ પર થવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાની વ્યાપક ફરિયાદ મહાપાલિકાને મળી હતી. આ ફરિયાદના પગલે મ્યુનિ. કમિશનરના આદેશથી ટાઉન પ્લાનિંગ શાખાનો સ્ટાફ, એસ્ટેટ ઓફિસર રૂપારેલિયા વિજિલન્સ બંદોબસ્ત અને બુલડોઝર સાથે ઉઘડતી બજારે જ સાંગણવા ચોકમાં ત્રાટક્યા હતા.સૌપ્રથમ ઓમેગા કોમ્પલેકસના માર્જિનમાં થયેલી રેલિંગ દૂર કરવામાં આવી હતી અને એ પછી આસપાસના પ્રેમ કોમ્પ્લેકસ સહિતના કોમર્શિયલ સંકુલોમાં પણ આવા જ દબાણો હોવાનું નજરે પડતા આ દબાણો પણ તોડવાની કાર્યવાહી કરવાની તૈયારી કરાતા જ વેપારીઓ ઉશ્કેરાયા હતા.રોષે ભરાયેલા વેપારીઓ દુકાનો ટપોટપ બંધ કરવા લાગ્યા હતા. સમગ્ર સાંગણવા ચોકના વેપારીઓ રોડ પર ઉતરી આવતા માહોલ તંગ બની ગયો હતો. મામલો બિચકવાની ભીતિ સર્જાતા વધારાનો વિજિલન્સ બંદોબસ્ત મગાવવો પડ્યો હતો. છેવટે વેપારી સંગઠનના આગેવાનો સાથે મનપાના અધિકારીઓએ ચર્ચા કરી માર્જિનનું દબાણ સ્વૈચ્છાએ દૂર કરવા માટેની મહેતલ આપવાનો વચલો રસ્તો નક્કી કરાતા અંતે બજાર પૂર્વવત થઇ હતી.


રાજકોટ-લોધિકા વચ્ચે દોડતી એસ.ટી.બસ પલટી જતાં સાત ઘવાયા

રાજકોટ-લોધિકા વચ્ચે દોડતી એસ.ટી.ની ખખડધજ બસોને બદલે સારી બસ મુકવાની અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રએ યોગ્ય નહીં કરતા આજે આ રૂટની બસ હરપિર ચીભડા ગામ વચ્ચે અગમ્ય કારણોસર પલટી ખાઇ જતાં સાત મુસાફરને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જે પૈકી એકની હાલત ગંભીર ગણાવાઇ રહી છે. જ્યારે અન્ય મુસાફરોને ઓછી વધતી ઇજાઓ થતા પ્રાથમિક સારવાર દઇ રજા આપી દેવાઇ હતી.મળતી વિગતો મુજબ, ગુરૂવારે સવારે સાડા દસ વાગ્યાના અરસામાં રાજકોટ બસ સ્ટેન્ડેથી રાજકોટ-લોધિકા રૂટની જીજે.૧૮વી. ૯૧૦૪ નંબરની એસ.ટી. બસ ૪૦ મુસાફરો ભરી રવાના થઇ હતી. દરમિયાન બસ હરપિર-ચીભડા પહોંચતા અગમ્ય કારણોસર પલટી ખાઇ ગઇ હતી. ચાલુ બસ પલટી ખાઇ જતાં બસમાં બેઠેલા મુસાફરોની ચીસોથી આ વિસ્તાર ગૂંજી ઉઠયો હતો. અકસ્માત અંગેની આસપાસના ગ્રામજનોને જાણ થતા મોટા વાહનો લઇ બનાવ સ્થળે દોડી આવ્યા હતા અને ઘવાયેલા લોકોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.બસ અકસ્માતમાં ઘવાયેલાઓમાં ચીભડાની અંજલી અનંતભાઇ વ્યાસ, રાજકોટના બટુકભાઇ રતિલાલ પોબારૂ, મનીષાબા ભીખુભા ઝાલા, જીતેન્દ્રભાઇ શાંતિલાલ રાચ્છ સુરેન્દ્રનગરના જેઠાભાઇ ત્રિકમભાઇ ચૌહાણ રાવકીના પ્રવીણાબેન યોગેશકુમાર બાવાજીને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. જ્યારે અન્ય મુસાફરોને નાની મોટી ઇજાઓ થતાં પ્રાથમિક સારવાર આપી રજા દઇ દીધી હતી. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારની તમામ બસો ખખડધજ હાલતમાં હોય આ અંગે તંત્રને અનેક વાર રજૂઆત કરાઇ છે. તેમ છતા તંત્ર દ્વારા કોઇ પગલાં નહીં લેવાતાં મુસાફરોમાં રોષ ભભૂકયો છે.

No comments:

Post a Comment