12 July 2010

એન.આર.જી. માટે પણ રથયાત્રા બની રહી છે હોટ ફેવરિટ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


એન.આર.જી. માટે પણ રથયાત્રા બની રહી છે હોટ ફેવરિટ

અમદાવાદની પરંપરાગત રથયાત્રાને જોવા અમદાવાદ ઉપરાંત ગુજરાતનાં અનેક શહેરોમાંથી લોકો જોવા આવે છે ત્યારે એન.આર.જી. માટે પણ અમદાવાદની ભગવાન જગન્નાથજીની રથયાત્રા હોટ ફેવરિટ બની રહી છે. યુવાનો અને બહેનો માટે તો આ રથયાત્રામાં આટલી મોટી સંખ્યામાં એકત્ર થતાં લોકોને જોવા તે પણ એક આશ્ચર્ય બની જાય છે.છેલ્લા બે વર્ષથી રથયાત્રા માટે અમેરિકા-ફ્લોરિડાથી આવતા અનિલાબેન અમીને ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું કે મારા માટે તો જીવનનું એક સંભારણું છે. હું આખી રથયાત્રામાં પગપાળા ચાલુ છું. મારા દિકરાને અભિનેતા-અભિનેત્રીઓના ઓટોગ્રાફ લેવાનો શોખ છે. જો તેને માત્ર તેમના ઓટોગ્રાફ લીધા હોય ત્યારે તે ૪૦-૫૦ માણસોને હોંશથી કહેતો હોય છે અને આનંદ થાય છે ત્યારે હું ભગવાન જગન્નાથજીના નજીકથી દર્શન કરું છું અને તેમની સાથે સમગ્ર રથયાત્રામાં જોડાવું છું. તેનો મને ખૂબ આનંદ છે. અહીં જે ભંડારો થાય છે તેમાં અસંખ્ય લોકો આવે છે ત્યારે એ ભગવાન જગન્નાથજીની કૃપાથી જ બધા માટે ભોજન-પ્રસાદ પૂરો થઇ જાય છે. આ વર્ષે તો મારા ઘરના લોકોએ કેનેડાથી જ ના પાડી હતી કે આતંકવાદની ભીતી ના લીધે ન જતાં પરંતુ મને આતંકવાદના ભય કરતાં ભગવાન જગન્નાથજી પર વધુ શ્રદ્ધા છે અને હું આ વર્ષે પણ આખી રથયાત્રા પગપાળા ચાલીશ.જ્યારે કેનેડાથી આવેલા યુવાન નિલ એ. પટેલે જણાવ્યું કે હું બે વર્ષથી જગન્નાથજી મંદિર આવું છું. મને તો આટલી મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે તે જોઇને જ આશ્ચર્ય થાય છે. હું અમાસથી જ દર્શન કરવા આવું છું. અહીંનો ભંડારો જોતા કોઇપણ નાત-જાતના ભેદભાવ વગર આટલી મોટી સંખ્યામાં લોકો આ ભોજન-પ્રસાદ મેળવે છે તે પણ મારા માટે નવાઇની વાત છે. અહીં કોઇ જ આતંકવાદનો ભય નથી પણ પ્રભુ શ્રદ્ધા બધાને અહીં ખેંચી લાવે છે તેવું લાગી રહ્યું છે.ન્યૂજર્સીથી આવેલા ૩૫ વર્ષીય રિકેન આચાર્યએ જણાવ્યું કે અમદાવાદની પરંપરાગત રથયાત્રા અંગે ખૂબ સાંભળ્યું હતું પરંતુ આ વર્ષે તો મારે તેને પ્રત્યક્ષ જોવી હતી તે માટે હું ખાસ રથયાત્રા જોવા અમદાવાદ આવ્યો છું. અહીં તો આજથી જ માહોલ રથયાત્રાનો હોય તેટલી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળે છે.


બેનઝીર ભુટ્ટોની હત્યા કેસમાં ફરી તપાસ નહીં થાય

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાંપ્રધાન બેનઝીર ભુટ્ટોની હત્યા કેસમાં ફરી તપાસની માગણી કરતી પાકિસ્તાનની અપીલ સંયુક્ત રાષ્ટ્રસંઘે ફગાવી દીધી છે. પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહેમૂદ કુરેશીએ આ સંબંધે યુએનના મહાસચિવ બાન કી મૂનને લખેલા પત્રમાં આ કેસની તપાસ સંબંધે યુએન દ્વારા અપાયેલા અહેવાલમાં કેટલીક બાબતો સામે વાંધો ઉઠાવ્યો હતો. યુએનની પેનલના અહેવાલ અનુસાર પાકિસ્તાની સૈન્ય અને તાલિબાનો વચ્ચે સાઠગાંઠ હોવાનું જણાવાયું હતું તેનો પણ કુરેશીએ વાંધો ઉઠાવી આ કેસની ફરી તપાસની માગણી કરી હતી


ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં ભારત-એનો પરાજય

એન્ડ્રયુ ગેલે રમેલી મેચવિનિંગ ઇનિંગ્સની મદદથી ઇંગ્લેન્ડ લાયન્સે પોતાના ઘરઆંગણે રમાયેલી ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં ભારત-એ ટીમને પાંચ વિકેટે હરાવીને ટ્રોફી જીતી લીધી હતી.ઇંગ્લેન્ડ લાયન્સ ટીમે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરતાં ભારત-એ ટીમે સાત વિકેટે ૨૭૮ રન ફટકાર્યા હતા જેમાં ચેતેશ્વર પૂજારાના અણનમ ૮૭ તથા અભિનવ મુકુંદના ૬૨ રન મુખ્ય હતા. ઇંગ્લેન્ડ લાયન્સ ટીમે આઠ બોલ બાકી રાખીને પાંચ વિકેટે ૨૭૯ રન બનાવીને વિજય મેળવી લીધો હતો. ચેતેશ્વર પૂજારાએ ૮૯ બોલમાં ચાર બાઉન્ડ્રી અને બે સિકસર ફટકારી હતી. ઇંગ્લેન્ડ લાયન્સ માટે એન્ડ્રયુ ગેલેએ ૯૦ તથા ડેરેન સ્ટિવન્સે ૬૮ રનનું યોગદાન આપ્યું હતું.


પરિણામ પૂર્વે ઇન્ફોસિસ વર્ષની ઊંચાઈ

આગામી સપ્તાહમાં જાહેર થનારા ઇન્ફાસિસનાં પરિણામ પૂર્વે ભાવ વર્ષની નવી ઊંચાઈએ પહોંચ્યો હતો અને આગલા બંધથી રૂ. ૪૬.૧૫ વધીને ૨,૮૭૧.૯૦ બંધ રહ્યો હતો. અન્ય આઈટી શેરોમાં સાધારણ વધઘટ જોવા મળી હતી. સેન્સેક્સ શેરોમાં ડીએલએફ, એચડીએફસી, એચડીએફસી બેન્ક, મહિન્દ્રા,મારુતિ, તાતા મોટર, તાતા સ્ટીલ વગેરે મજબૂત બંધ રહેતાં તેનો પણ ટેકો મળ્યો હતો.


ધીરૂભાઇ અંબાણીના જીવન પર આધારિત ફિલ્મ 'ગુરૂ'માં - નામ થા...હૈ...ઔર...રહેગા...રિલાયન્સ

ફિલ્મ 'ગુરૂ'માં એક સીનમાં ગુરૂભાઇ કહે છે કે 'હમારા નામ થા, હૈ ઓર રહેગાં' ધીરૂભાઇને નજીકથી જાણતા લોકોને ખબર છે કે આ શબ્દો તેમને ખરેખર બોમ્બે ડાઇંગ ગ્રૂપને કહ્યા હતા. બોમ્બે ડાઇંગ ગ્રૂપ સાથે ધીરૂભાઇ અંબાણીનો ઝઘડો જગજાહેર છે. પરંતુ હવે ઝઘડાનો અંત સુખદ આવવા જઇ રહ્યો છે તેવું લાગી રહ્યું છે. ધીરૂભાઇ અંબાણીના શબ્દો સાચા પુરવાર થવા જઇ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.બોમ્બે ડાઇંગ પોતાનો પોલિએસ્ટર વેપાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (આરઆઇએલ)ને વેચી શકે છે. સમાચાર છે કે બોમ્બે ડાઇંગ આ પગલાં માટે આવતા મહિને તેના રોકાણકારો પાસેથી મંજૂરી લઇ શકે છે.વાડિયા ગ્રૂપ હવે પોતાના રિઅલ એસ્ટેટના વેપાર પર વધુ ધ્યાન આપવા માંગે છે. ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સંસ્થાપક ધીરૂભાઇ અંબાણીએ પોતાનો પોલિએસ્ટર વેપાર જ્યારે શરૂ કર્યો, ત્યારે વાડિયા પરિવાર સામે જ ટક્કર લેવી પડી હતી.પરંતુ છેલ્લાં 30 વર્ષમાં રિલાયન્સ ગ્રૂપે ફકત પેટ્રોકેમિકલ્સ જ નહિં, પરંતુ પોલિએસ્ટર વેપારમાં પણ જોરદાર વૃદ્ધિ કરી, જ્યારે વાડિયા ગ્રૂપને આ વેપારમાં નુક્સાની જ ઝીલવી પડી રહી છે.આ વર્ષે જ વાડિયા ગ્રૂપે પેટ્રોકેમિકલ અને ટેક્સટાઇલ વેપારમાં અંદાજે 100 કરોડની ખોટ સહન કરી છે, જ્યારે તેના રિઅલ એસ્ટેટ વેપારમાં રૂ.346 કરોડનો નફો થયો છે.


35 લાખનું હાર્લે ડેવિડસન સુપરબાઇક

દુનિયાની સૌથી જાણીતા બાઇક હાર્લે ડેવિડસને ભારતમાં પોતાના બુકિંગ શરૂ કરી દીધા છે. શુક્રવારે હૈદ્રાબાદમાં તેના પ્રથમ શોરૂમનું ઉદ્ધાટન થયું. પહેલાં જ દિવસે 20 બાઇકો બુક થઇ ગયા. આ સંખ્યા એટલા માટે મહત્વપૂર્ણ છે કે આ બાઇકની કિંમત રૂપિયા 7 લાખ થી 35 લાખ સુધીની છે.તેલુગુના બે પ્રખ્યાત એકટરો નાગા ચૈતન્ય અને ઇલૂ અર્જુને પણ આ બાઇક બુક કરાવ્યા છે. આશા છે કે આ શાનદાર બાઇક બુક કરાવનારની સંખ્યા આવતા સપ્તાહ સુધીમાં 100 થઇ જશે. અમેરિકાની આ ઐતિહાસિક બાઇકે મે મહિનામાં ગુડગાંવમાં પોતાનું હેડક્વાર્ટર ખોલ્યું હતું. તે હૈદ્રાબાદ સિવાય દિલ્હી, ચંડીગઢ, મુંબઇ અને બેંગલુરૂમાં પણ શોરૂમ ખોલશે. હાર્લે ડેવિડસન પહેલાં યામાહા અને હોન્ડા પહેલેથી જ મોંઘી બાઇકો ભારતમાં ઉતારી ચૂક્યા છે.


ગાંધીનગર : વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

પાટનગર અને દહેગામમાં સમી સાંજે વીજળીના કડાકા ભડાકા બાદ મેઘરાજા મુશળધાર મંડાવાના કારણે નગર આખું પાણીથી તરબોળ થઇ ગયું હતું. સાંજે શરૂ થયેલો વરસાદ એકધારો પોણો કલાક ધોધમાર વરસ્યો હતો. ત્યારબાદ પણ ઝરમર વરસાદ ચાલુ રહ્યો હતો. નગરના માર્ગો પરથી પાણી વહી જવા સાથે ઠેકઠેકાણે પાણી ભરાયાં હતાં. આજે સવારથી જ હવામાં ભેજનું પ્રમાણ વધ્યું હતું. દિવસભર જળવાયા પછી સાંજે પણ ભેજના પ્રમાણમાં ફરી વધારો થયો હતો. જેનાં પગલે છાંટાની શરૂઆત થઈ ગઈ હતી. હવામાન ખાતાનાં સૂત્રોએ સામાન્ય વરસાદની આગાહી કરી હતી. તેને સમર્થન આપવું હોય તેમ મેઘરાજા જોરમાં આવ્યા હતા અને સમી સાંજે જ તડામાર વરસાદ વરસવાના કારણે શહેર આખું પાણી-પાણી થઈ ગયું હતું. ખુલ્લા પ્લોટસમાં તો તળાવની સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ ધરતી તરસી હોવાથી સવાર પડતાં સુધીમાં પાણી સુકાઈ જવાની શક્યતા છે.હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે ગાંધીનગરમાં આજે મહત્તમ તાપમાન ૩૩.૪ ડિગ્રી નોંધાયું હતું. એટલે કે, ગઇકાલ કરતાં ગરમી વધુ રહી હતી. જ્યારે લઘુતમ તાપમાન પણ વધીને ૨૬.૨ ડિગ્રી પર પહોંચ્યું હતું. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા અને સાંજે વધીને ૮૫ ટકા નોંધાયું હતું. તેથી સૂત્રોએ હજુ પણ વરસાદ ચાલુ રહેવાની આગાહી કરી છે. સાંજે શરૂ થયેલો વરસાદ ચાલુ રહ્યો હતો અને આકાશ ગોરંભાયેલું રહ્યું હોવાથી રાત વરત ફરી વરસાદ ધોધમાર તૂટી પડે તેવી શક્યતા દેખાતી હતી. આજે એક-દોઢ કલાકના ગાળામાં દોઢ ઇંચ વરસાદ પડી ગયાનું અનુમાન બંધાયું હતું.


ચૂંટણીમાં પણ મોંઘવારીની અસર - ૨૫% ભાવવધારો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આવી રહેલી ચૂંટણીમાં મોંઘવારીની અસર અત્યારથી જ વર્તાઈ રહી છે. રાજ્ય ચૂંટણીપંચની દરખાસ્ત પ્રમાણે પંચાયતોની ચૂંટણીમાં એક્સાથે ૨૫ ટકાનો ભાવવધારો મંજુર કરાયો છે. રાજ્યમાં પહેલીવાર પંચાયતના મતદાન મથકદીઠ રૂ. ૧૦ હજાર મંજુર કરાયા છે. તાજેતરમાં જ ચૂંટણીપંચે ઉમેદવારોની ડિપોઝિટમાં વધારો કર્યો છે અને હવે ચૂંટણીખર્ચમાં વધારો મંજુર કરાવ્યો છે. ભાવવધારાને કારણે આ ફેરફાર કરાયા છે.૨૦૦૬ અને ૨૦૦૭માં આવેલી સામાન્ય અને પેટાચૂંટણીમાં નિયત કરતાં વધુ ખર્ચ થયો છે. જિલ્લા કલેક્ટરોએ રાજ્ય ચૂંટણીપંચને ખર્ચની મંજુરી માટે અનેક વખત રજુઆતો કરી હતી. તેથી આ બાબત રાજ્ય સરકારની વિચારણામાં હતી. જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો જેવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં રાજ્ય ચૂંટણીપંચ સામાન્ય, પેટા અને મધ્ય સત્ર ચૂંટણી યોજાતી હોય છે.આ ચૂંટણીમાં ખર્ચ અંગેનાં ધોરણો નક્કી કરાયાં ન હોવાથી નાણાવિભાગ દ્વારા ફાળવાતી ગ્રાન્ટમાં ચૂંટણી પછી વધારો કરવો પડતો હતો. હવે પ્રથમવાર બૂથ પ્રમાણેનો ખર્ચ નક્કી કરાયો છે.ચૂંટણીખર્ચની રકમ બાબતે જિલ્લા કલેક્ટરો તરફથી નવા રેકોર્ડ મેળવીને પંચાયત વિભાગ દ્વારા વિકાસ કમિશનરને દરખાસ્ત મોકલાઈ હતી, જેનો પણ સ્વીકાર કરાયો છે. બે વર્ષમાં યોજાયેલી ચૂંટણી અંગેની આ દરખાસ્તમાં ૧૯ જિલ્લા માટે ૪૪૭.૨૨ લાખની વધારાના ખર્ચની રકમ મંજુર કરાઈ છે. આ રકમ આણંદ, વડોદરા, વલસાડ, નર્મદા, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર, ડાંગ, પોરબંદર, નવસારી, જામનગર અને દાહોદને આપવાનું નક્કી કરાયું છે.


૨૦૧૨માં રાજ્યની વસ્તી છ કરોડ ઉપર પહોંચી જશે

વસ્તીવધારા અને બેફામ શહેરીકરણથી રહેણાક મકાનો, ટ્રાફિકની સ્થિતિ અતગિંભીર બનશે. હાલ ગુજરાતની વસ્તી ૫.૮૭ કરોડ. આવતાં પાંચ વર્ષમાં શહેરીકરણ ૫૫ ટકા સુધી પહોંચવાની ધારણા. આગામી વર્ષ ૨૦૧૨માં ગુજરાતની વસ્તી સાડા પાંચ કરોડમાંથી પૂરા છ કરોડ થઈ જશે. વર્ષ ૨૦૨૬માં સુધીમાં વસ્તીનો આ આંક સાત કરોડ સુધી પહોંચી જશે. નવી દિલ્લી સ્થિત રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયાના તાજેતરના આંકડાઓ પરથી આ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.ઉપરાંત આવતા પાંચ વર્ષોમાં રાજ્યમાં શહેરીકરણનો દર પંચાવન ટકા અને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૬૬ ટકા સુધી પહોંચવાની ધારણા છે. વસ્તી વધારા અને બેફામ શહેરીકરણ સામે સંસાધનો મર્યાદિત હોવાથી રહેવા માટે મકાનો, ટ્રાફિકની અતગિંભીર સ્થિતિ સર્જાશે, તેવી ભીતિ પણ દર્શાવાઈ છે. આજે ૧૧મી જુલાઈ- વિશ્વ વસ્તી દિન છે ત્યારે રાજ્યમાં વસ્તીવધારાના આ આંકડા ચોંકાવનારા છે.સંસ્થાના અંદાજ મુજબ, દેશમાં દિલ્હી, મુંબઈ, કોલકાતા પછી અમદાવાદ, સુરત અને વડોદરા એવાં શહેરો હશે કે જ્યાં મધ્યમવર્ગ ત્રણ રૂમ રસોડાનું મકાન નહીં ખરીદી શકે. આ શહેરોમાં ટ્રાફિકની સમસ્યા એટલી હદ સુધી વધશે કે રાહદારીઓને ચાલવા માટેની જગ્યા નહીં હોય. રાજ્યનાં ગામડાં ભાંગીને શહેરોનું નિર્માણ કરવું પડશે.૨૦૧૫ પછી ગુજરાતમાં વધુ આઠ મ્યુનિસપિલ કોર્પોરેશનો ઊભા કરવા પડશે. ખેતીની જમીન ફૂટના ભાવે વેચાશે. પ્રજાલક્ષી કામો કરવા માટે સરકારના બજેટ નાના પડશે. ગુજરાતમાં શહેરીકરણની ટકાવારી અત્યારે ૩૮ ટકા છે તે આવતા પાંચ વર્ષમાં વધીને ૫૫ ટકા થશે અને વર્ષ ૨૦૩૦ સુધીમાં ૬૬ ટકા સાથે ભારતના તામિલનાડુ પછી ગુજરાતનો બીજો નંબર હશે.વર્ષ ૨૦૦૧માં ગુજરાતની વસ્તી ૫.૧૩ કરોડ હતી, જે અત્યારે ૨૦૧૦માં વધીને ૫.૮૭ કરોડ થઈ છે. વસ્તી ગણતરીના આંકડા આવશે ત્યારે રાજ્યની વસ્તી ૫.૯૪ કરોડ થવાની ધારણા છે. રજિસ્ટ્રાર જનરલના આંકડા પ્રમાણે ૨૦૧૨માં જ ગુજરાત છ કરોડનું થઈ જશે.વર્ષ ૨૦૧૦માં ૩.૦૮ કરોડ પુરુષો અને ૨.૭૮ કરોડ મહિલાની વસ્તી છે જે ૨૦૧૩માં વધીને અનુક્રમે ૩.૧૬ કરોડ અને ૨.૮૫ કરોડ થશે. ૨૦૨૬ના અંદાજ પ્રમાણે ગુજરાતમાં ૩.૭૦ કરોડ પુરુષ,૩.૨૬ કરોડ મહિલાઓ હશે. ગુજરાતમાં શહેરીકરણના પ્રવાહમાં નવા આઠ મ્યુનિ.કોર્પોરેશન બનાવવા પડશે. શહેરોની વસ્તીમાં ગુજરાતે મહારાષ્ટ્રને પાછળ રાખી દીધું છે. હાલ તામિલનાડુ ટોચ ઉપર છે.


રાજ્ય સરકાર દ્વારા ધોરણ-૯, ૧૦ના વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ અપાશે

રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવતા અનેકવિધ નિર્ણય લેવા શરૂ કરાયા છે. શિક્ષણનું સ્તર સુધારવા-ગુણવત્તા વધારવા માટે પણ કવાયત શરૂ કરાઈ છે. તેમાં ધોરણ-૯ અને ૧૦ના વિદ્યાર્થીઓને બાયસેગની મદદથી ૪ મહત્વના વિષયનું ઓનલાઇન શિક્ષણ આપવાનો કાર્યક્રમ આગામી તા.૨૭મી જુલાઈથી શરૂ કરવામાં આવશે. તેમાં આગામી ફેબ્રુઆરી મહિના સુધીમાં કુલ ૧૮૮ કલાક વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.રાજ્યના શિક્ષણવિભાગ દ્વારા ધોરણ-૯માં સેમેસ્ટર પ્રથા લાગુ કરવાનો પાયલોટ પ્રોજેક્ટ ગાંધીનગરની ૨૦ અને અમદાવાદની ૩૦ શાળાઓથી શરૂ કરવામાં આવ્યો છે. બીજી બાજુ ધોરણ-૯થી ૧૨માં એક જ બોર્ડ રાખવા વિચારણા શરૂ કરાઈ છે, તો નબળા પરિણામવાળી શાળાઓને ગ્રાન્ટ કાપી લેવાની શિક્ષા કરવા નિર્ણય લેવાવાનો છે. ઉપરાંત ધોરણ-૧૦, ૧૧ અને ૧૨ સાયન્સમાં નવો કોર્સ દાખલ કરવામાં આવનાર છે. સાથે જ બોર્ડની પરીક્ષાના ટોપટેન જાહેર ન કરવા અને પરિણામમાં ગ્રેડેશન દાખલ કરવા નિર્ણય લેવાયા છે.શિક્ષણ વિભાગનાં સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યા પ્રમાણે હવે શિક્ષણનું સ્તર સુધારવા માટે વિદ્યાર્થીઓને વધુ સક્ષમ બનાવવાની યોજના શરૂ કરાશે, તેમાં ધોરણ-૯ અને ૧૦ના વિદ્યાર્થીઓને શાળામાં જ બાયસેગની એટલે કે સેટેલાઇટની મદદથી ઓનલાઇન શિક્ષણ આપવાનું શરૂ કરાશે. આમ થવાથી આર્થિક નબળા પરિવારનાં બાળકો કે જેઓ સરકારી શાળામાં ભણતાં હોય છે અથવા જે વિદ્યાર્થીઓ ટ્યૂશન રાખી શકતાં નથી તેઓને મુખ્ય વિષયોનો વધારાના સ્વાધ્યાય થઈ શકશે.આગામી ૨૭મી જુલાઈથી આ કાર્યક્રમ શરૂ થશે તેમાં ગણિત માટે ૯૭ તાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી માટે ૯૪ તાસ, સામાજિક વિજ્ઞાન માટે ૯૭ તાસ અને અંગ્રેજી માટે ૩૫ પિરિયડ ગોઠવવામાં આવ્યા છે. આગામી ૨૪મી ફેબ્રુઆરી સુધી આ ઓનલાઇન કલાસીસ ચાલશે. તે દરમિયાન કુલ ૧૮૮ કલાક વિદ્યાર્થીઓને ભણાવાશે. તેમાં ધોરણ-૯ના વિદ્યાર્થીઓને સવારે ૧૦થી ૧૦.૩૦ અને ધોરણ-૧૦ના વિદ્યાર્થીઓ માટે બપોરે ૧૨થી ૧૨.૩૦ના વર્ગો ચલાવવામાં આવશે.


નેશનલ હાઇવે પર પ્રિ-પેઇડ ટોલટેક્સની પ્રથા શરૂ કરાશે

ગાડીમાં ૧૦૦ રૂપિયાની કિંમતનું ટેગ લગાડાશે કે જેથી ટોલબુથ ઉપર વાહનોને ઉભા રાખવા નહીં પડે : ૨૦૧૨સુધીમાં સમગ્ર દેશમાં અમલ. ભારતના નેશનલ હાઇવે ઉપર આવેલા ટોલબુથ પર હવે વાહનોને ઉભા રાખવાની જરૂરિયાત રહેશે નહીં કારણ કે, કેન્દ્ર સરકાર હવે નેશનલ અને એક્સપ્રેસ હાઇવે ઉપર મોબાઇલ ફોનની જેમ પ્રિ-પેઇડ ટોલટેક્સ લેવાની પ્રથા શરૂ કરવા જઇ રહી છે. ૨૦૧૨ સુધીમાં તમામ હાઇવેને સાંકળી લેવામાં આવનાર છે.રાજ્યના માર્ગ વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે ગુજરાતમાં ૧૩ જેટલા નેશનલ અને એક્સપ્રેસ હાઇવે આવેલા છે. આ હાઇવેમાં પણ કેન્દ્રની નવી પ્રથાનો અમલ શરૂ કરવામાં આવતા વાહનચાલકોને ટોસબુથ પર ઉભા રહેવું નહીં પડે. શહેરની બહાર જવા માટે ટોલ રોડ ઉપર અત્યારે ટોલટેક્સ ચૂકવવા લાંબી લાઇનો લાગે છે. હવે કેન્દ્રએ ઇલેક્ટ્રોનિક્સ ટોલટેક્સ સિસ્ટમ શરૂ કરવાનું નક્કી કર્યું છે.રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી કમલનાથે નવી દિલ્હીમાં એવી જાહેરાત કરી છે કે કાશ્મીર થી કન્યાકુમારી સુધીના માર્ગો ઉપર પ્રિ-પેઇડ ટોલટેક્સ વસૂલ કરવાનું શરૂ કરવામાં આવશે ત્યારે કોઇપણ વાહને ટોલબુથ ઉપર ઉભા રહેવું નહીં પડે. આ માટે ૧૦૦ રૂપિયાનું એક સ્ટીકર ગાડીના કાચ ઉપર લગાડવામાં આવશે. આ સ્ટીકર હશે તે ગાડીને વિના અવરોધે જવા દેવામાં આવશે. આ સિસ્ટમથી ટોલટેક્સની થતી ચોરીનું પ્રમાણ ઘટી જતાં સરકારને ગુમાવવી પડતી ૩૦૦ કરોડની વધારાની આવક થશે.યુઆઇડી પ્રોજેક્ટના પ્રણેતા નંદન નિલેકાનીને આ સિસ્ટમની ટેકનોલોજી બનાવવાનું કામ સોંપવામાં આવ્યું છે. તેમની અધ્યક્ષતામાં એક કમિટીનું ગઠન થયું છે. મોર્ડન, ફ્રેન્ડલી યુઝર્સ અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડની આ સિસ્ટમ અંગે કેન્દ્રને ભલામણ પણ કરી દેવામાં આવી છે. આ ભલામણ પ્રમાણે રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન પદ્ધતિની સાથે પ્રિ-પેઇડ ટેક્સ માટેની વ્યવસ્થા કરાશે. ગાડીના કાચ ઉપર એક ટેગ લાગશે જેને ટોલબુથ પર જ ટેગરીડર નોંધ કરી લેશે.રાજ્યની ટોલ સડકો ઉપર ૬.૫૦ લાખ વાહનોને ટોલટેક્સ ભરવો પડે છે, જેમને આ નવી સિસ્ટમથી રાહત થશે. ગુજરાતમાંથી ૩૨૪૫ કિલોમીટરના નેશનલ હાઇ-વે પસાર થાય છે જેમાં એક ડઝનથી વધારે જગ્યાએ ટોલ પ્લાઝા બનાવવામાં આવ્યા છે જે ટેક્સનું કલેક્શન કરે છે. સ્ટેટ હાઇવે અંતર્ગત અમદાવાદ-મહેસાણા, વડોદરા-હાલોલ તેમજ બાયપાસ અને બ્રીજ સાથેના ૧૦ જેટલા માર્ગો ઉપર ટેક્સ લેવાય છે.s


સ્પેનના એક બિઝનેસમેનને ખરીદવો છે ‘બાબા ઓક્ટોપસ’

સ્પેનના એક બિઝનેસમેને તેનો દેશ ફિફા વર્લ્ડ કપ 2010ની ફાઈનલ મેચ જીતીને ચેમ્પિયન બનશે તેવી ભવિષ્યવાણી કરનારા પોલ ઓક્ટોપસને ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે ઓક્ટોપસ માટે 38,000 ડોલરની કિંમત લગાવી છે.બિઝનેસમેને કહ્યું છે કે પોલ ઓક્ટોપસને ઉત્તરપશ્ચિમ સ્પેનમાં આયોજીત થનારા વાર્ષિક ઓગસ્ટ મહોત્સવ દરમિયાન લોકોનો દેખાડવા માંગે છે. પોલને સ્પેન લાવવાનો વિચાર ઓરેન્સી શહેરના મેયર કાર્લોસ મોટેસે આપ્યો હતો. તેમનું માનવું છે કે બાબા ઓક્ટોપસ ઓગસ્ટ મહોત્સવમાં મોટી સંખ્યામાં ભીડ ખેંચી લાવવામાં સફળ રહેશે.હાલમાં પોલ જર્મનીના ઓબેરનહાઉસની સી લાઈફ એક્વેરિયમમાં રહે છે. તેણે ફિફા વર્લ્ડ કપમાં કરેલી અત્યાર સુધીની તમામ ભવિષ્યવાણી સાચી પડી છે. આ જ કારણે પોલ ઓક્ટોપસ દુનિયાભરમાં ચર્ચામાં રહ્યો છે. માછલીનો વ્યાપાર કરતા સ્પેનના આ વ્યવસાયી પાસે 14,000 જીવ જંતુઓનો મોટો સંગ્રહ છે. બિઝનેસમેન મેનુએલ પાજોએ કહ્યું હતું કે અમે પોલને ખોવા નથી માંગતા.


ભાજપ સાથે સંબંધ સુધારવા નીતિશ અરુણ જેટલીને મળ્યા

ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે નીતીશકુમારના ફોટાવાળી બિહારનાં અખબારોમાં પ્રસિદ્ધ થયેલી જાહેરાતોને પગલે બિહારમાં જનતાદળ (યુ.) અને ભાજપ ગઠબંધન ભંગાણને આરે પહોંચી ગયું હતું પરંતુ હવે ગઠબંધનને ફરી મજબૂત બનાવવાના પ્રયાસરૂપે ભાજપના રાજ્ય એકમના વડા સીપી ઠાકુરના નિવાસસ્થાને નીતીશકુમારે અરુણ જેટલી સહિત ભાજપના ટોચના નેતાઓ સાથે કરેલી બે કલાક લાંબી ચર્ચાથી બધું જ ઠીક થઇ ગયું હોવાના અહેવાલો મળ્યા છે.જો કે, નીતીશકુમાર અને જેટલી સહિત ભાજપના નેતાઓએ ચર્ચાની વિગતો આપવાનો ઇનકાર કર્યો છે પરંતુ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, સીપી ઠાકુરે પત્રકારોને કહ્યું છે કે, બધું જ વ્યવસ્થિત થઇ ગયું છે. બન્ને પક્ષો વચ્ચેના મતભેદો અને મૂંઝવણો દૂર કરવા માટે જ આ બેઠક યોજાઇ હતી. બન્ને પક્ષોએ રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે ગઠબંધન ચાલુ રાખવાનો સંકલ્પ કર્યો છે. નીતીશ અને ભાજપના નેતાઓએ સંયુક્ત ચૂંટણી વ્યૂહરચના અને વિધાનસભાની આગામી ચૂંટણી માટે બેઠક વહેંચણીની ફોમ્યુંલાની ચર્ચા કરી હતી.
ભાજપના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, ચાલુ વર્ષના અંતે રાજ્ય વિધાનસભાની યોજાનારી બેઠક પહેલાં ભાજપના ટોચના નેતાઓ સાથે નીતીશકુમારની આ બેઠક મહત્વની હતી.બેઠકમાં નીતીશકુમાર અને જેટલી ઉપરાંત અનંતકુમાર, ધર્મેન્દ્ર પ્રધાન, બિહારના નાયબ મુખ્યપ્રધાન સુશીલકુમાર મોદી અને અન્ય વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.


એસ.ટી. નિગમ દ્વારા અનેક રૂટ પર રૂ. પાંચ સુધી ટોલટેક્સ

એસ.ટી. નિગમ દ્વારા સરકાર પાસે ટોલટેક્સના રૂ. ચાર વસૂલવાની માગણી સામે રૂ. એકની મંજુરી. રાજ્ય સરકારે એસ.ટી. નિગમને ‘યુઝર્સ પે પ્રિન્સપલ’ મુજબ પ્રત્યેક પેસેન્જરો પાસેથી ટોલટેક્સ પેટે રૂ. એક ચૂકવવાની મંજુરી આપી છે. જેના કારણે પેસેન્જરોને કેટલાક રૂટ ઉપર ટિકિટ ભાડા ઉપરાંત રૂ. બેથી પાંચ ચૂકવવા પડે છે.એસ.ટી. નિગમની સેન્ટ્રલ ઓફિસના ચીફ ટ્રાફિક એન્ડ કોમર્શિયલ મેનેજર આર.બી. શાહે જણાવ્યું હતું કે, અમદાવાદથી માઉન્ટ આબુ વચ્ચે બે બૂથ, અમદાવાદ-સુરત એક્સપ્રેસ હાઇવે ઉપર પાંચ અને નેશનલ હાઇવે ઉપર ચાર, અમદાવાદ-રાજકોટ વચ્ચે બે બૂથ, અમદાવાદ-ઇન્દોર વચ્ચે બે બૂથ અને અમદાવાદ- ઉદયપુર રૂટ ઉપર ગુજરાતનાં બે અને રાજસ્થાનમાં એક મળીને કુલ ત્રણ બૂથ આવેલાં છે.એસ.ટી.ના સચિવ પી. ડી. પટેલે જણાવ્યું હતું કે, એસ.ટી. બસોમાં પ્રતિદિન ૩૮ હજાર ટ્રીપનું સંચાલન કરે છે, તેમજ દરરોજ આશરે ૨૫ લાખ મુસાફરો એસ.ટી.માં મુસાફરી કરે છે. ૩૮ હજાર ટ્રીપમાંથી માત્ર ૬૫૦૦ ટ્રીપ એવી છે જેમાં ૨.૬૦ લાખ મુસાફરો ટોલ બૂથના માર્ગ પરથી પસાર થાય છે, જેને કારણે એસ.ટી. નિગમે વર્ષ૨૦૦૮-’૦૯ પેટે ટોલટેક્સના કુલ રૂ. ૨૩.૨૧ કરોડનું ચુકવણું કર્યું હતું.જો કે એસ.ટી. નિગમે છેલ્લાં ૧૦ વર્ષમાં ટોલટેક્સ પેટે રૂ. ૨૦૦ કરોડ ચૂકવ્યા છે. તેમજ સરકાર પાસે ટોલટેક્સ દીઠ પ્રત્યેક પેસેન્જર પાસેથી રૂ. ચાર વસૂલ કરવાની મંજુરી માટે માગણી કરી હતી, પરંતુ સરકારે રૂપિયા એકની મંજુરી આપતાં બાકીના રૂ. ત્રણ એસ.ટી. નિગમે ચૂકવવા પડે છે.ગુજરાત એસ.ટી. દરરોજ ૩૮ હજાર ટ્રીપોનું સંચાલન કરે છે, જેમાંથી ૭૮ જેટલા ટોલટેક્સ બૂથ ઉપર ટોલટેક્સ ચૂકવવો પડે છે, જેમાં ગુજરાતમાં ૪૯, મહારાષ્ટ્રમાં - ૧૭, રાજસ્થાનમાં - ૧૧ અને મધ્યપ્રદેશ- ૧ મળીને કુલ ૭૮ ટોલ બૂથ પર ટોલટેક્સ ચૂકવવામાં આવે છે.એસ.ટી. નિગમ દ્વારા વર્ષ૨૦૦૮-’૦૯માં કુલ રૂ. ૨૩.૨૧ કરોડ ટોલટેક્સ પેટે ચૂકવ્યા હતા, જેમાંથી ગુજરાતના ટોલટેક્સ બૂથ ઉપર રૂ. ૨૨.૦૫ કરોડ, મહારાષ્ટ્ર- રૂ. ૨૬.૨૦ લાખ, રાજસ્થાન- રૂ. ૧૬.૬૦ લાખ અને મધ્યપ્રદેશના ટોલટેક્સ બૂથ ઉપર રૂ. ૧૬,૨૦૦ ચૂકવ્યા હતા.


૧લી જુલાઈથી એર ટિકિટ પર બે વાર સર્વિસ ટેક્સ ચૂકવવો પડશે


મુસાફરોને ટિકિટ પર ૧૦ ટકા સર્વિસ ટેક્સ ચૂકવવાનો રહેશે. જો કે એરટિકિટ પર અગાઉથી જ સર્વિસ ટેક્સ લેવાતો હતો. હવે એરલાઇન્સો પણ ટેક્સ લેશે તો શું મુસાફરોને એક સર્વિસ માટે બે વાર ટેક્સ ચૂકવવો પડશે? અત્યાર સુધી પ્રાપ્ત માહિતી મુજબ એજન્ટો દ્વારા લેવાતો ટેક્સ અને નવો સર્વિસ ટેક્સ બંને પસેન્જરોએ ચૂકવવો પડે તેવું લાગી રહ્યું છે. જો આવું થાય તો મુસાફરોના માથે બે ટેક્સ ઝીંકાશે. જો કે આ નવા ટેક્સને જેએન ટેક્સ અંતર્ગત લક્ઝરી ટેક્સ ગણવામાં આવી રહ્યો છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધી એજન્ટો દ્વારા ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય એર ટિકિટ ઉપર સર્વિસ ટેક્સ લેવાતો જ હતો. ઘરેલુ ઉડ્ડયનો માટે ૦.૬૨૩ ટકા અને આંતરરાષ્ટ્રીય માટે ૧.૨૩૬ ટકા સર્વિસ ટેક્સ લેવાતો હતો. એર ટ્રાવેલ એજન્ટ એસોસિયેશનનાં સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ ‘એર ટિકિટના બેઝિક ફેર પર અત્યાર સુધી સર્વિસ ટેક્સ લેવામાં આવતો હતો.હવાઈ મુસાફરો પાસેથી આ ટેક્સ લઈ એજન્ટો ટેક્સ ખાતામાં તે ભરી આવતા હતા, પરંતુ હવે જેએન ટેક્સ હેઠળ જે સર્વિસ ટેક્સ લેવાની જાહેરાત થઈ છે તે લક્ઝરી ટેક્સ તરીકે લેવાશે. એટલે કે એરલાઇન્સની મુસાફરી લક્ઝુરિયસ વસ્તુ છે અને તેના માટેનો ટેક્સ મુસાફરોએ ચૂકવવો પડશે.’ઘરેલુ મુસાફરી માટે રૂ.૧૦૦ અથવા તો ટિકિટના ૧૦ ટકા અને આંતરરાષ્ટ્રીય પર રૂ.૫૦૦ અથવા ૧૦ ટકા બંનેમાંથી જે ઓછા હોય તે ટેક્સ તરીકે લેવાની જાહેરાત કરાઈ છે. જો કે આ ટેક્સ ઉપરાંત હવાઈ મુસાફરી કરતા લોકો પાસેથી યુઝર્સ ડેવલપમેન્ટ ફી, પેસેન્જર સર્વિસ ફી વગેરે પણ એર ટિકિટમાં જ લેવામાં આવે છે, જે એરપોર્ટને ચૂકવવામાં આવે છે.ઉલ્લેખનીય છે કે અમદાવાદથી મુંબઈની એક ટિકિટ રૂ. ૩૦૦૦ની હોય તો તેનો બેઝિક ફેર સરેરાશ રૂ. ૧૨૦૦થી ૧૫૦૦ હોય છે. બાકી બધા રૂપિયા ચાર્જ અને ટેક્સના જ હોય છે, પરંતુ હવે એક વધારાનો ટેક્સ પણ પેસેન્જરોના માથે જ પડશે.


ટોલ ટેક્સ બચાવવા માટે પોલીસ બનનારા યુવાનની ધરપકડ

એક ડ્રાઇવરે ટોલ ટેક્સ બચાવવા માટે નકલી પોલીસ બાવાનો કીમિયો તો અપનાવ્યો પણ જ્યારે ખરેખરી અસલી પોલીસે તેને પકડી પાડ્યો ત્યારે તેને લોકપના સિળયા ગણવાનો વખત આવ્યો હતો. ગથ્ડી પર લાલ લાઇટ લગાવી આગળ જોઇ શકાય તે રીતે અંગ્રેજીમાં પોલીસ લખે અને પોતે પોલીસ જેવો ખાખી શર્ટ પણ પહેરતો હતો. પોલીસે આ તમામ વસ્તુ કબજે કરી આ યુવાનની ધરપકડ કરી છે.ગાંધી કુટિર પાસે, નવા બમરોલી પુલ પરથી રવિવારે બપોરે દોઢ વાગ્યે એક ઇન્ડિકા ગાડી પસાર થતી હતી. જેના પર લાલ લાઇટ હતી અને આગળ જોઇ શકાય ત રીતે અંગ્રેજીમાં પોલીસ લખેલું હતું. જેથી ખટોદરા પોલીસ મથકની સબ ઇન્સ્પેકટર બી.ટી. વાઢિયાએ આ ગાડી અટકાવી તલાસી કરી તો ખરેખર કોઈ પોલીસ કર્મચારી હતા જ નહીં.
એ સાથે ડ્રાઇવર બ્રિજેશ મોહનલાલ પટેલ (રહે: સેન્ટ્રલ રેવન્યુ કોલોની, કસ્તુરબા કન્યા છાત્રાલયની પાછળ, અઠવા લાઇન્સ)ની પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તે ડ્રાઇવર તરીકે કાર્યરત હોવાના કારણે અવાર નવાર બહાર જવાનું થતું હતું. જેમાં ટોલ ટેક્સ ભરવાનો વખત ના આવે તે માટે પોતે ખાખી શર્ટ પહેરી લે, લાલ લાઇટ ગાડી પર લગાવી દે અને અંગ્રેજીમાં પોલીસ લખેલી પ્લેટ આગળના કાચ પાસે લગાવી દે. જેના કારણે ટોલ ટેક્સ ભરવો પડે નહીં.વાસતવમાં પોતે સરકારી કર્મચારી ન હોવા છતાં આ રીતે સરકારી કર્મચારી હોવાનું કૌભાંડ કરતા પોલીસે તેની ધરપકડ કરી ખાખી શર્ટ, લાલ લાઇટ, અંગ્રેજીમાં પોલીસ લખેલી પ્લેટ તેમજ ઇન્ડિકા કાર કબજે કરી છે.પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ આ કારના માલિક છે તે જાતે જ ડ્રાઇવ કરી ભાડે ગાડી લઈ જતા હતા પરંતુ તેમની તબીયત નાદુરસ્ત હોવાના કારણે તેમણે બ્રિજેશને આ કામ સોંપ્યું હતું. આ સમયગાળામાં બ્રિજેશ પોલીસના હાથે પકડાઈ જતાં તેમની કાર પણ જમા થઈ ગઈ હતી


મોડલ નતાશાની આત્મહત્યા

સુપરમોડલ વિવેકા બાબાજીની આત્મહત્યા કેસનું રહસ્ય હજી સુધી અંકબંધ છે. ત્યાં બીજી એક મોડલ નતાશાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે નતાશાએ રવિવારે પોતાના ઘરે જ આત્મહત્યા કરી લીધી હતી. નતાશા મુંબઈમાં અંધેરી વિસ્તારમાં રહેતી હતી.25 વર્ષીય નતાશા પરીદરીએ પંખા સાથે લટકીને આત્મહત્યા કરી છે. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે.પોલીસ નતાશાના ઘરમાં કામ કરનાર નોકરોની પણ પૂછપરછ કરી રહી છે. નતાશા અહીંયા એકલી રહેતી હતી કે કેમ અને તેના પરિવાર વિશે હાલમાં પોલીસ પાસે કોઈ માહિતી નથી.માનવામાં આવે છે કે, નતાશા પોતાના કરિયરમાં કંઈ ખાસ કરી શકી નહોતી. અત્યાર સુધી નતાશાએ કેટલીક સિરીયલોમાં નાની નાની ભૂમિકા ભજવી હતી.પોલીસ હાલમાં આ કેસમાં વધુ તપાસ કરી રહી છે.


કોમનવેલ્થ ગેમ્સમાં સેક્સ વર્કર વધશે

રાજધાનીમાં ત્રણ માસ બાદ 19મા કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થવાનું છે. આટલા મોટા અવસર માટે દિલ્હીમાં સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યા છે. સાથે વહીવટી તંત્ર અન્ય એક બાબત તરફ પણ ધ્યાન રાખશે. કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન સેક્સ વર્કર્સના વધવા પર પણ પોલીસની કડક નજર છે.સ્વયંસેવી સંસ્થાઓ, પોલીસ અને દૂર ઓપરેટર્સનું માનવું છે કે કોમનવેલ્થ ગેમ્સ સમયે રાજધાનીમાં દુનિયાભરમાંથી આવેલા લોકોને લોભાવા માટે સેક્સ વર્કર્સ પુરજોર કોશિશ કરશે. આ સમયે દેહવ્યાપારની ઘટનાઓમાં પણ વધારો થવાની સંભાવના છે. માટે વહીવટી તંત્ર પહેલેથી જ તેમને નિયંત્રિત કરવાના કામમાં લાગી ગયું છે.ઈન્ડિયન એસોસિએશન ઓફ ટૂર ઓપરેટર્સે આ સંદર્ભે પર્યટન મંત્રાલયને આ પ્રવૃતિઓ પર નિરીક્ષણ રાખવાની વિનંતી કરી છે. સંઘના અધ્યક્ષ વિજય ઠાકુરે કહ્યું હતું કે કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન યુક્રેન, જ્યોર્જિયા, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગીસ્તાન અને અન્ય સ્થળોથી સેક્સ વર્કર્સ મોટા પ્રમાણમાં ભારતમાં આવી શકે છે.


મહેન્દ્ર સિંહ ધોની બાદ હવે યુવરાજ લગ્ન બંધનમાં બંધાશે !

ભારતીય ક્રિકેટ ટીમના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીએ લગ્ન કરી લીધા બાદ હવે જલદીથી ટીમ ઈન્ડિયાનો વધુ એક મોસ્ટ એલિજિબલ બેચલર પણ લગ્ન કરી લે તેવા અહેવાલ છે.ધોનીનો જૂનો મિત્ર અને ભારતીય ટીમનો આક્રમક ઓલ-રાઉન્ડર યુવરાજ સિંહ પણ હવે જલદીથી સાત ફેરા ફરે તેવી ચર્ચાઓ થવા લાગી છે. અહેવાલોનું માનીએ તો તેમની જીવન સાથી તે જ છે જે બુધવારના રોજ ચંદીગઢ એરપોર્ટ પર તેના પાછળ પાછળ ચાલતી હતી.યુવરાજની માતા શબનમ સિંહને પણ ગ્રેસ પસંદ છે અને યુવરાજના જ્યોતિષના જણાવ્યા પ્રમાણે ગ્રેસ યુવરાજ માટે લકી સાબિત થશે. આ જ કારણ છે કે યુવરાજે ગ્રેસને ચંદીગઢમાં પોતાના પિતા યોગરાજ સાથે મળાવી હતી.આ પહેલા આ વર્ષના માર્ચ મહિનામાં યુવી અને ગ્રેસ ગોવામાં પણ જોવા મળ્યા હતા. ત્યારે ગ્રેસનું અભિનેતા વિવેક ઓબેરોય સાથે બ્રેકઅપ થઈ ગયું હતું. યુવરાજના મેનેજર અંબિકા ચૌહાણે ત્યારે યુવરાજ અને ગ્રેસ ફક્ત સારા મિત્રો જ છે તેમ કહીને વાતને શાંત કરવાનો પ્રયત્ન કર્યો હતો. કહેવાય છે કે દક્ષિણ આફ્રિકામાં આઈપીએલ-2 દરમિયાન ગ્રેસ અને યુવરાજ વચ્ચે લવ ગેમ શરૂ થઈ હતી.




ચીનના ગામમાં થાય છે, નગ્ન નાચ!

દુનિયાભરના દેશોમાં ચીનની ગણતરી સૌથી સંકુચિત વિચારવાળા દેશ તરીકે થાય છે. પરંતુ અહીં એક ઘટના સાંભળીને તમારો આ વાત પરથી વિશ્વાસ ડગમગી જશે.કિસ્સો એ છે કે ચીનના ઈન્ટરનેટ લવર્સ ત્યારે ચોંકી ઉઠયા કે જ્યારે એક વેબસાઈટ પર તેમણે ચીનના કેટલાંક એન્ટરટેઈનમેન્ટ વર્કર્સના નગ્ન નાચ વાળો વીડિયો જોયો. આ વીડિયોને જોઈને લાગી રહ્યું છે કે આ નાચ કોઈ ગામમાં દેખાડાય રહ્યો હતો. આ ડાન્સરો નાચતા નાચતા એક પછી એક કપડાં ઉતારતાં હતા. ડાન્સ જોવા માટે લોકોનું ટોળું કૂતુહલપૂર્વક બેઠું છે. હેરાની વાત એ છે કે આ અશ્લિલ નૃત્યની મજા ઉંમરવાન લોકો સાથે ઘરડાં-બુઢા અને બાળકો પણ લઈ રહ્યાં છે. આ વીડિયો જોઈને બસ એવું લાગે છે કે ચીન માત્ર રૂઢિવાદી હોવાનું નાટક કરી શકે છે, વાસ્તવમાં આ તસવીરો કંઈક અન્ય બાબત જ ઉજાગર કરે છે.

‘મહંગાઇ ડાયન’નાં પાત્રોને રૂ. ૧૦૦-૧૦૦નું જ મહેનતાણું

આમિરખાને ગીતના લેખકને માત્ર ૧,૧૦૦ રૂપિયા આપ્યા છે,મધ્યપ્રદેશના ગ્રામજનોએ આમિર પર મૂકેલી આશા ફળી નહી. ‘સખી સૈયા તો ખૂબ હી કમાત હૈ, મહંગાઇ ડાયન ખાવત જાત હૈ’ આમીર ખાનની ફિલ્મ ‘પીપલી લાઇવ’નું આ ગીત આજકાલ લોકોને ખૂબ પસંદ પડી રહ્યું છે. કહેવાય છે કે રૂપિયા છ કરોડના ખર્ચે બનનારી ફિલ્મના આ ગીતના ગીતકારને કશું જ મળ્યું નથી. એટલું જ નહિ પણ ગીત ગાનારા ૧૧ કલાકારોમાંથી દરેકને રૂ.૧૦૦ના હિસાબે ૧,૧૦૦ રૂપિયા મહેનતાણું આપવામાં આવ્યું છે. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મધ્યપ્રદેશના રાયસેન જિલ્લાના બડવાઇ ગામમાં થયું છે. ગામમાં જઇને ગીતમાં ભાગ લેનારા કલાકારો સાથે વાતચીત કરી તો તેમનું દર્દ જાણવા મળ્યું. ‘મહંગાઇ ડાયન’ ગીતના લેખક બડવાઇ માધ્યમિક શાળામાં શિક્ષક છે.નાનકડા ગામડાના ખેડૂત રામકિશને જણાવ્યું હતું કે લગભગ ત્રણ મહિના સુધી ચાલેલા શૂટિંગ દરમિયાન ગ્રામજનોએ ફિલ્મોના સેટ બનાવ્યા હતા અને ફિલ્મોમાં ભૂમિકા પણ ભજવી હતી. આમ છતાં શૂટિંગ પૂરું થયા પછી આમિરખાન સહિત કોઇએ ગામ તરફ પાછું વળીને જોયું નથી. ૧૫૦ મકાન ધરાવતા આ ગામમાં હોસ્પિટલ, હાયર સેકન્ડરી સ્કૂલ અને ગટર લાઇન કશું જ નથી. તમામની આજીવિકા ખેતી છે.સરકારી યોજનાઓ પણ કોઇ કામની નથી. મધ્યપ્રદેશ સરકારની યોજનાઓ અને મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની જાહેરાતો અંગે પૂછતાં ગ્રામજનોએ જણાવ્યું હતું કે આર્થિક મદદ મળી શકે તેવી કોઇ યોજના અંગે તેમને કોઇ જાણકારી નથી.કલાકારોને નજીવું મહેનતાણું ચૂકવાયું હોવા અંગે ‘પીપલી લાઇવ’ના નિર્માતાનું મંતવ્ય જાણવા માટે આમિરખાન પ્રોડક્શન હાઉસના સત્તાવાર પ્રવક્તા રુકેશકુમારને પૂછતાં તેમણે ગ્રામજન કલાકારોને મહેનતાણું અપાયું છે તેમ જણાવ્યું હતું. જોકે, મહેનતાણાની રકમ અંગે મૌન રહ્યા હતા.ગ્રામજનોએ માત્ર સાંભળું છે કે તેમનું ગીત ટીવી પર દર્શાવાઇ રહ્યું છે પણ ગામમાં સતત વીજળીની અછત રહેતાં ટીવી પર પોતાના અભિનયને તેઓ જોઇ શકતા નથી. ગ્રામજનોને આશા હતી કે શૂટિંગ પછી ગામનું નસીબ બદલાઇ જશે પણ આવું કઇ જ ન બન્યું.


ઓનર કિલિંગ વૈશ્વિક સંકલ્પના બની છે!

પોતાની મરજીથી લગ્ન કરનારાઓની હત્યા કરવાની ઘટનાઓ માત્ર ભારતમાં જ થતી નથી. શું તમે જાણો છો કે પરિવારના સમ્માનની રક્ષાના નામે આ પ્રકારે હત્યા કરવાની ઘટનાઓ સમગ્ર દુનિયામાં જોવા મળે છે?માનવાધિકાર સંગઠનના અહેવાલ પર નજર કરીએ તો સમ્માનના નામે હત્યા કરવાનું ચલણ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, તુર્કી, જોર્ડન અને પેલેસ્ટાઈન સહીત દુનિયાના ઘણાં દેશોમાં માં છે.આ સંદર્ભે અપરાધની સૂચના ન આપવાના કારણે અને ઘણાં ઓછા કેસો નોંધાવાના કારણે આંકડા તો સ્પષ્ટ નથી. પરંતુ સંયુક્ત રાષ્ટ્ર વસ્તીગણતરી કોષ તરફથી દુનિયાના દેસોમાં પ્રત્યેક વર્ષ આ સંદર્ભે પાંચ હજાર મહીલાઓની હત્યા કરવાની વાત સામે આવી છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે આ નિ:સંદેહ અનુમાનથી ઓછું છે, કારણે કે ઘણાં દેશોમાં આ સંદર્ભે માહિતી એકઠી કરાય નથી અને ઘણાં મામલાઓમાં તે લોકાની જાણકારીમાં પણ આવતા નથી.ભારતમાં સરકાર તરફથી સમ્માન માટે કરવામાં આવેલી હત્યાના ચલણ પર રોક લગાવવા માટે કાયદો બનાવવાની સંભાવના હાલ શોધાય રહી છે અને તેના પર સંમતિ સધાતી દેખાતી નથી. એમનેસ્ટી ઈન્ટરનેશનલ પ્રમાણે, પાકિસ્તાનમાં સમ્માન માટે હત્યાના ઘણાં મામલા સામે આવ્યા છે.પાકિસ્તાન માનવાધિકાર પંચના તાજેતરના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ-2009માં સમ્માનના નામ પર 647 મહીલાઓની હત્યા કરી દેવાય હતી. આ આંકડો 2008ની સરખામણીએ 13 ટકા વધારે છે. વર્ષ-2008માં 574 મહીલાઓની હત્યા કરવાની ખબર સામે આવી હતી. રિપોર્ટમાં પાકિસ્તાન માનવાધિકાર પંચના જનરલ સેક્રેટરી આઈ. એ. રહમાનને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સમ્માન માટે હત્યા એટલા માટે કરવામાં આવે છે, કારણ કે પરિવારમાં પુરુષોને એવું લાગે છે કે તેમના સમ્માનને ઠેસ પહોંચી છે. તેમણે કહ્યું હતું કે તે મુખ્યત્વે મહીલાઓની ખરાબ સ્થિતિનું પરિણામ છે.
એમનેસ્ટી ઈન્ટરનેશનલના રિપોર્ટ પ્રમાણે, એક મામલો એવો સામે આવ્યો છે કે એક પતિએ પોતાની પત્નીની માત્ર એટલા માટે હત્યા કરી દીધી હતી કારણ કે તેણે સપનામાં જોયું કે તેની પત્ની તેનો વિશ્વાસઘાત કરી રહી છે. તુર્કીમાં એક યુવતીને શહેરની વચ્ચે ગળું કાપીને મારી નાખવામાં આવી કારણ કે તેણે રેડિયો પર એક પ્રેમગીત ગાયું હતું. તુર્કીના માનવાધિકાર મહાનિદેશાલયના જૂન 2008ના રિપોર્ટ પ્રમાણે, માત્ર ઈસ્તાંબુલમાં પ્રત્યેક સપ્તાહે સમ્માનના નામે એક હત્યા થઈ રહી છે અને ગત પાંચ વર્ષોમાં 1000થી વધારે હત્યાની ખબરો સામે આવી છે.પશ્ચિમી તટ અને ગાઝા પટ્ટી વિસ્તારમાં પરિવારની શાનના નામે દર મહીને ત્રણથી ચાર મહીલાઓની હત્યા કરવામાં આવે છે. પેલેસ્ટાઈનના વહીવટી તંત્ર પણ જોર્ડનનું કાયદાકીય અનુસરણ કરે છે. જેમાં પરિવારની શાન સાથે જોડાયેલા પત્ની કે મહીલા સંબંધીની હત્યા કરવાના મામલામાં પુરુષને ઓછો દંડ આપવામાં આવે છે.આ પ્રકારે સીરીયાના કાયદા પ્રમાણે, જો કોઈ વ્યક્તિ પોતાની પત્ની કે બહેનના કોઈ અન્ય સાથે અવૈદ્ય જાતિય સંબંધોના મામલે તે તેમની હત્યા કરે કે ઘાયલ કરે તો તેવી સ્થિતિમાં તેને ઓછો દંડ આપવામાં આવે છે. આ દંડ બે વર્ષની જેલથી ઓછો નથી.મોરક્કોના કાયદા પ્રમાણે, આવા મામલામાં પત્નીની હત્યા કે ઘાયલ કરનારા પતિને ઓછા દંડની વાત કહેવમાં આવી છે. અહીં દર વર્ષે આ પ્રકારે 200 મહીલાઓની હત્યા કરી દેવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર કાર્યાલયની નવી શાખા આઈઆરઆઈએનના જણાવ્યા પ્રમાણે, 2006માં ઈરાકના બસરા શહેરમાં 133 મહીલાઓની હત્યા કરી દેવામાં આવી છે, જેમાંથી 47 મામલાઓ ઓનર કિલિંગ સાથે જોડાયેલા છે.પરિવારના સમ્માન માટે હત્યા કરવાની ઘટના માત્ર દક્ષિણ એશિયા અથવા પશ્ચિમ એશિયા સુધી જ સીમિત નથી, પરંતુ તે અમેરીકા, બ્રિટન, કેનેડા, જર્મની, સ્વીડન અને યૂરોપના અન્ય દેશોમાં પણ જોવા મળે છે.


પીથમપુર : જયરામ રમેશે કાન પકડીને માફી માંગી

‘યૂનિયન કાર્બાઈડના 40 ટન કચરાને જે પ્રકારે ચોરીછુપીથી પીથમપુર લાવવામાં આવ્યો તે ખોટું છે. હું આ ભૂલને સ્વીકારું છું. આ મારા મંત્રાલયની ભૂલ છે, હું તે સમયે મંત્રી ન હતો, પરંતુ મારા મંત્રાલયે તેનું ધ્યાન રાખવું જોતું હતું. જે પ્રકારે પહેલા કચરો લાવવામાં આવ્યો હતો, તે પ્રકારે બીજી વખત નહીં થાય. જે થયું તેના માટે હું ક્ષમા માગુ છું.’ આ કહેવું છે, કેન્દ્રીય પર્યાવરણ અને વન રાજ્યમંત્રી સ્વતંત્ર પ્રભાર જયરામ રમેશનું.બે દિવસના પ્રવાસ પર આવેલા રમેશે શનિવારે પીથમપુરમાં રામકીના પ્લાન્ટની મુલાકાત લીધી હતી. રમેશે એરપોર્ટ પર ભાસ્કર સાથે થયેલી વિશેષ ચર્ચામાં માન્યું હતું કે આ પ્લાન્ટ લગાવતા પહેલા જે માહોલ તૈયાર કરવાનો હતો, તે રાજ્ય સરકારે કર્યો નથી. પહેલા જનતાને વિશ્વાસમાં લેવાની હતી. અહીં કંઈપણ કરતાં પહેલા હવે જનતાને જોડવી પડશે.રામકી પ્લાન્ટમાં સાંસદ ગજેન્દ્ર સિંહ રાજૂખેડી, નગરપાલિકા અધ્યક્ષ દેવન્દ્ર પાટીદારે રમેશ સાથે ચર્ચામાં જણાવ્યું હતું કે પ્લાન્ટ નજીકના તારપુર ગામ અને આસપાસના વિસ્તારનું પાણી પ્રદૂષિત બની ગયું છે. તેના પર કંપનીએ વિરોધ કર્યો કે તેઓ પાણીનું મોનીટરિંગ કરતાં રહે છે. કંપનીના આ દાવાથી જનપ્રતિનિધિઓ રોષે ભરાયા હતા.રાજૂખેડીએ રાજ્ય સરકાર દ્વાર ઉપલબ્ધ કરાવાયેલી કેન્દ્રીય પ્રદૂષણ બોર્ડના એ રિપોર્ટને મંત્રી સામે મૂક્યો કે જેમાં 2007 અને 2009 વચ્ચે થયેલી પાણીની તપાસના નમૂનાની જાણકારી હતી.કમિટી કરશે ચાર માસમાં કંપનીનો નિર્ણય.અહીં ઉપસ્થિત કેટલાંક ગ્રામીઓએ પણ જયરામ રમેશને જણાવ્યું હતું કે કેટલાંક લોકોને ચામડીના રોગ થયા છે. જમીન ખરાબ થઈ ગઈ છે, જાનવરોના મોત થઈ રહ્યાં છે. રમેશે તેને ગંભીરતાથી લેતા એક કમિટી બનાવીને કંપનીના કારણે પર્યાવરણને થયેલા નુકસાનની તપાસનો આદેશ જાહેર કરી દીધો છે.આ કમિટી માટે તેમણે રાજ્યના મુખ્ય સચિવ આવાસ અને પર્યાવરણ વિભાગ આલોક શ્રીવાસ્તવને કહ્યું હતું કે તેમાં ગ્રામીણોને પણ સામેલ કરવામાં આવે. કમિટી ચાર માસમાં રિપોર્ટ આપશે. ત્યાર બાદ આ પ્લાન્ટ સંદર્ભે નિર્ણય કરવામાં આવશે.રમેશને રામકીના અધિકારીઓએ માહિતી આપી કે પ્લાન્ટમાં સુરક્ષા સંબંધી તમામ ઉપાય કરવામાં આવ્યા છે. અહીં કર્મચારીઓને સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે. આ સંદર્ભે જનપ્રતિનિધિ અને રહેવાસી ભડકી ઉઠયા હતા. તેમણે કેન્દ્રીય મંત્રી સામે કંપનીના જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો હતો. આઠ દિવસ પહેલા કંપનીમાં થયેલી એક્સીડન્ટમાં ઘાયલ સાત મજૂરો સંદર્ભે તેમણે જયરામ રમેશને જાણકારી આપી હતી.પીથમપુરના રામકી સંયંત્રમાં ભોપાલથી યૂનિયન કાર્બાઈડનો કચરો 27 જૂન, 2008ના રોજ રાતના અંધારામાં આવ્યો હતો. તે દિવસે રાત્રે બે વાગ્યે 40 ટન કચરો કન્ટેનરોમાં ભરીને ભોપાલથી પીથમપુર માટે રવાના કરવામાં આવ્યો હતો. તેનો ખુલાસો સાત માસ બાદ તે સમયે થયો કે જ્યારે પાર્લિટામેન્ટ્રી કમિટી અહીં મુલાકાત માટે આવી હતી.


સડક બનાવનારાથી દેશ ચાલતો નથી : મોન્ટેકસિંઘ

યોજનાપંચના ઉપાધ્યક્ષ મોન્ટેકસિંઘ આહલુવાલિયાએ રવિવારે જણાવ્યું હતું કે સરકારો માત્ર રસ્તાઓ કઇ રીતે બનાવવા તેની જાણકારી ધરાવનારાઓથી ચાલતી નથી. પરિવહનપ્રધાન કમલનાથે યોજનાપંચ માત્ર આરામ ખુરશીમાં બેઠા બેઠા સલાહો આપવાની ભૂમિકા ધરાવે છે એ મુજબ આપેલી ટિપ્પણીનો જવાબ આપતાં મોન્ટેક્સિંઘે જણાવ્યું હતું કે માત્ર સંબંધિત આડાઅવળા કામ કર્યે જવાથી સરકાર ચલાવી શકાતી નથી. તમારે ચોક્કસ નિયમો ઘડીને તે આધારે કામ કરાવવું પડે છે. માર્ગ નિર્માણના મોરચે યોજનાપંચની ભૂમિકા અંગે ટિપ્પણી આપતાં કમલનાથે જણાવ્યું હતું કે એક પુસ્તકનું નિર્માણ કરવું અને એક રસ્તાનું નિર્માણ કરવું તે બે અલગ ઘટના છે.કમલનાથની ટિપ્પણીનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે, હા, વાત સાચી છે. રસ્તાનું નિર્માણ કરવું તે ઘટના રસ્તા બનાવવા માટેના માર્ગદર્શક સિદ્ધાંતો તૈયાર કરવાથી અલગ જ ઘટના છે. યોજનાપંચ તે અમલ કરનારી સંસ્થા નથી. અને બીજુ એનો અર્થ એ પણ નહીં કે પ્રધાનોને સલાહની જરૂર નથી. મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે હિસાબનીશો રસ્તો બનાવતા નથી પરંતુ યોગ્ય હિસાબ રાખ્યા વિના તમે રસ્તો ના જ બનાવી શકો.તેમણે કહ્યું હતું કે તેને જાહેર-ખાનગી ભાગીદારી હેઠળ બનાવવામાં આવ્યું છે અને પંચની ભૂમિકા ટર્મિનલ બનાવનારાઓની પસંદગી સુધી સિમિત હતી.


પાકિસ્તાને તિરંગાનું અપમાન કર્યું

રાજસ્થાનના જેસલમેર સાથે લાગેલી સરહદ પર બીએસએફ અને પાકિસ્તાન રેન્જર વચ્ચે હાલમાં થયેલી એક સંયુક્ત બેઠકમાં ભારતીય ધ્વજ ઉંધો ફરકાવાયો હતો. બીએસએફના અધિકારીઓ દ્વારા વાંધો ઉઠાવાતા પાકિસ્તાન રેન્જર્સે ભારતીય રાષ્ટ્રધ્વજને સીધો લગાવ્યો હતો.વર્ષો બાદ જેસલમેરની બબલિયાન સીમા ચોકી સામે પાકિસ્તાની સીમામાં પાકિસ્તાન રેન્જર્સ અને બીએસએફ વચ્ચે કમાન્ડન્ટ સ્તરની બેઠક થઈ હતી. સિંધ પ્રાંતના રેન્જર મુખ્યાલયથી સીમા પાર આયોજીત બેઠકમાં પાકિસ્તાન અને ભારતના રાષ્ટ્રધ્વજ લગાવાયા હતા. જેસલમેર બીએસએફના કમાડન્ટ પી. કે. ધવન અને ઉમેશ કુમાર સાથે ડેપ્યુટી કમાન્ડન્ટ ડી. પી. સિંહની નજર ઉંધા લગાવાયેલા તિરંગા પર પડી. બીએસએફના આ અધિકારીઓએ પાકિસ્તાન રેન્જર્સ દ્વારા કરવામાં આવેલી નાપાક હરકત સામે વાંધો ઉઠાવ્યો હતો.તેમણે બંને કમાન્ડન્ટને તેનાથી અવગત કરાવીને વિરોધ વ્યક્ત કર્યો હતો. ત્યારે પાકિસ્તાન રેન્જર્સના અધિકારીઓએ ભૂલથી તિરંગો ઉલ્ટો લગાવાયો હોવાની વાત કહેતા તિરંગો ત્યાંથી હટાવી લીધો હતો. ત્યાર બાદ તિરંગો બદલીને બીજો લગાવાયો હતો. ત્યાર બાદ બીએસએફ અને પાકિસ્તાન રેન્જર્સ વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાતચીત શરૂ થઈ શકી હતી. બેઠકમાં બીએસએફના કમાન્ડન્ટે સીમા પારથી સતત થઈ રહેલી ઘૂસણખોરી અને દાણચોરીની ઘટનાઓને ટાંકીને તેને રોકવાની સલાહ આપી હતી.આ સંદર્ભે પાકિસ્તાન રેન્જર્સે ઘૂસણખોરી રોકવાનો પ્રયાસ કરવાનો ભરોસો આપીને ભૂલથી સીમા પાર કરનારા લોકોને પાછા આપવાની વિનંતી કરી હતી. બેઠકમાં સીમા પાર ગેરકાયદેસર રીતે ઓ.પી.ટાવર અને બંકર વગેરેનું નિર્માણ કરવામનો પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. બીએસએફ અને રેન્જર્સની સંયુક્ત પેટ્રોલિંગનો વ્યાપ વધારતા તેને મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. બીએસએફ સેક્ટરના ડીઆઈજી ડો. બી. આર. મેઘવાલે જણાવ્યું હતું કે પાકિસ્તાનમાં ગૃહમંત્રીની બેઠક વખતે અને હવે પાકિસ્તાન રેન્જર્સની બેઠકમાં તિરંગાનું અપમાન કરવામાં આવ્યું છે.મહત્વપૂર્ણ છે કે સાર્ક દેશોની બેઠકમાં ભાગ લેવા માટે ઈસ્લામાબાદ પહોંચેલા ભારતીય ગૃહ મંત્રી પી. ચિદમ્બરમ અને પાકિસ્તાનના આંતરીક બાબતોના મંત્રી રહમાન મલિક વચ્ચે યોજાયેલી બેઠક વખતે પણ તિરંગોના ઉંધો લગાવાયો હતો. ત્યારે પણ ગૃહ મંત્રીએ ઉલ્ટા તિરંગા તરફ રહમાન મલિકનું ધ્યાન દોર્યું હતું. ત્યાર બાદ તિરંગો વ્યવસ્થિત રીતે લગવાયો હતો. આ પહેલા આગ્રા સમિટ વખતે તત્કાલિન પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફના વિમાન પર પણ તિરંગો ઉલ્ટો લગાવાયો હતો. આમ પાકિસ્તાન તરફથી વારંવાર ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવે છે અને તેની સામે ધ્યાન દોરતા તેઓ આવી ઘટનાને ભૂલવશ ગણાવે છે.

No comments:

Post a Comment