12 July 2010

રાજકોટ હેમુ ગઢવી હોલમાં ફૂટબોલ ફાઇનલ મોટા પદડે - રસિકોને આમંત્રણ

visit our website ranako.com for variety of news and views of rajkot with kathiawadi flavour


રાજકોટ હેમુ ગઢવી હોલમાં ફૂટબોલ ફાઇનલ મોટા પદડે - રસિકોને આમંત્રણ

રમત ગમત પાછળ ઘેલા રાજકોટીયનો ફકત ક્રિકેટ પાછળ જ ઘેલા છે એવું નથી , શહેરમાં ફૂટબોલ રમતના ચાહકોની પણ બહોળી સંખ્યા છે. ત્યારે હાલ ચાલી રહેલા ફિફા વર્લ્ડકપનો રવિવારે રાત્રે સાઉથ આફ્રિકા ખાતે સ્પેન અને નેધરલેન્ડ વચ્ચે ફાઇનલ જંગ છે.આ ફાઇનલ મેચ ઘરે એકલા એકલા નાના પડદા પર જોવાને બદલે ફૂટબોલના રસિકો આ જંગ મોટા પડદે પોતાના મિત્રો સાથે જોઇ અનેરો આનંદ લઇ શકે તે માટે રાજકોટ ડિસ્ટ્રિક્ટ એસોસિયેશન દ્વારા હેમુ ગઢવી હોલમાં મોટી સ્ક્રીન ગોઢવી મેચ નિહાળવાનું આયોજન કરાયું છે. રવિવારે રાત્રે બાર વાગ્યે શરૂ થતા વર્લ્ડ કપના ફાઇનલ મેચ જોવા માંગતા ફૂટબોલ રસિકોએ પોણા બાર વાગ્યે હોલમાં પ્રવેશ મેળવી લેવા ફૂટબોલ એસો.ના પ્રમુખ ગુણુભાઇ ડેલાવાળાએ જણાવ્યું છે.


એસ. બી. આઈ. ગુજરાતમાં ૧,૦૦૦ નોકરીઓનું નિર્માણ કરશે

એસબીઆઈમાં એસબીએસનું મર્જર થયા બાદ ગુજરાત ખાતે તેની પ્રગતિ ખૂબ જ ઝડપથી થઈ રહી છે તેમ એસબીઆઈના ચીફ જનરલ મેનેજર (સીજીએમ) નંદકુમારે જણાવ્યું હતું. જુન માસ સુધી એસબીઆઈની ગુજરાત ખાતે કુલ ૧,૦૭૧ શાખાઓ આવેલી છે અને તેની પાસે હાલમાં રૂ. ૫૦,૦૦૦ કરોડ જેટલી થાપણો છે જે તે ૨૫ ટકા જેટલી વધારીને અંદાજે રૂ. ૬૨,૦૦૦ કરોડની કરવા માગે છે.ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન એસબીઆઈએ માર્કેટિંગઅને બેન્કિંગ વગેરે જેવાં ક્ષેત્રે ૧,૫૦૦ જેટલી નવી નોકરીનું સર્જન કર્યું છે અને આગામી દિવસોમાં તે ગુજરાત ખાતે વધુ ૧,૦૦૦ નોકરીની તકોનું નિર્માણ કરશે તેમ નંદકુમારે જણાવ્યું હતું.ઉપરાંત બેન્કે ગુજરાતમાં ધિરાણક્ષેત્રે રૂ. ૬,૩૭૦ કરોડ એટલે કે ૨૮.૯૦ ટકાની વૃદ્ધિ હાંસલ કરવાનું લક્ષ્ય બનાવ્યું છે. આ ઉપરાંત બેન્ક ગુજરાતમાંથી પસાર થનારા દિલ્હી-મુંબઈ ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર (ડીએમઆઈસી) ઉપર પણ પોતાની શાખાઓનું નેટવર્ક સ્થાપવા માટેની યોજના બનાવી રહી છે.


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાણીના રાઇટહેન્ડ મનોજ મોદી ને સી બી આઇ નું તેડું

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાણીના રાઇટહેન્ડ ગણાતા મનોજ મોદી સહિત અન્ય ચાર લોકોને સીબીઆઇનું તેડું આવ્યું છે.ઉલ્લેખનીય છે કે આજથી પાંચ-સાત વર્ષ પહેલાં રિલાયન્સ કોમ્યુનિકેશન આંતરરાષ્ટ્રીય કોલ સ્થાનિક કોલના નામે દર્શાવતા હતા, તેના લીધે સરકારી ટેલિકોમ કંપનીઓને બહુ મોટી નુક્સાની સહન કરવાનો વારો આવ્યો હતો. 2005માં મુકેશ અને અનિલ અંબાણી વચ્ચે ફેમિલી સેટલમેન્ટ થયું તે પહેલાં રિલાયન્સ કોમ્યનિકેશનનું નામ રિલાયન્સ ઇન્ફોકોમ હતું. તે સમયે રિલાયન્સ ઇન્ફોકોમ સાથે મુકેશ મોદી જોડાયેલા હતા. તેમજ રિલાયન્સ ઇન્ફોકોમના ડાયરેકટર અખિલ ગુપ્તા, સીઇઓ બિઝનેસ ડેવલપમેન્ટ શંકર અડાવલ, કોર્પોરેટ બાબાતના પ્રેસિડન્ટ પંકજ પવાર અને તે સિવાય અન્ય બે ઓફિસર કે.આર.રાજા અને બી.ડી.ખુરાના હતા.ઓગસ્ટ, 2006માં સીબીઆઇએ રિલાયન્સ ઇન્ફોકોમના બોર્ડ ઓફ ડિરેકટર્સ, મોદી, ગુપ્તા, અડાવલ, પાનવર અને અન્ય વ્યક્તિના નામની એફઆઇઆર કરી હતી. તેમની ઉપર અપરાધિક ષડયંત્ર રચવાનો, લાઇસન્સની શરતો ભંગ કરવાનો અને ભારતીય ટેલિગ્રાફ એક્ટ ઉપરાંત ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ચાર્જશીટમાં જણાવ્યા પ્રમાણે સરકારી ટેલિકોમ કંપનીઓને આના લીધે 7.52 કરોડ મિનિટની ખોટ સહન કરવી પડી છે.


આઈડીએફસી, એલઆઈસીને કરમુક્ત ઇન્ફ્રાબોન્ડ વેચવાની મંજુરી

સરકારે આજે એલઆઈસી, આઈડીએફસી અને અમુક ચોક્કસ નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ (એનબીએફસી)ને કરમુક્ત ઇન્ફ્રાસ્ટ્રકચર બોન્ડ વેચવાની પરવાનગી આપી છે જેના કારણે ઇન્ફ્રાસ્ટ્રકચરક્ષેત્રે વિકાસ સાધવા માટે બચતનું પ્રમાણ વધવા પામશે.સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સ દ્વારા મોકલવામાં આવેલાં જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું કે આ પ્રકારનાં બોન્ડ્ઝમાં રૂ. ૨૦,૦૦૦ સુધીનું રોકાણ કુલ આવકની આકારણીમાંથી કરમુક્તિ પેટે બાદ મળશે. તેમાં જણાવવામાં આવ્યું હતું કે આવકવેરા ધારાની જોગવાઈ અનુસાર આવકવેરાની મુક્તિમર્યાદા રૂ. ૧ લાખ સુધીની છે તે ઉપરાંત ઉપરોકત બોન્ડ્ઝની રૂ. ૨૦,૦૦૦ની ખરીદી ઉપર વેરામુક્તિ આપવામાં આવી છે.જીવનવીમા ક્ષેત્રની અગ્રગણ્ય કંપની એલઆઈસી ઉપરાંત નાણાકીય સંસ્થાઓ આઈડીએફસી અને આઈએફસીઆઈ જેવી એનબીએફસી કે જેમને આરબીઆઈ તરફથી ઇન્ફ્રાસ્ટ્રકચર ફાઇનાન્સ કંપનીઓનો દરજજો આપવામાં આવેલો છે તેઓ પણ લાંબાગાળાના ઇન્ફ્રાસ્ટ્રકચર બોન્ડ્ઝની ફાળવણી કરી શકશે. આ બોન્ડ્ઝનો સમયગાળો ૧૦ વર્ષનો છે અને તેનો લઘુતમ પાંચ વર્ષનો લોક ઇન પિરિયડ છે, જેનો મતલબ એ થાય કે રોકાણકાર બોન્ડ્ઝ ખરીધ્યા પછી પાંચ વર્ષ સુધી તેને વેચી શકશે નહીં. ઉપરાંત આ પ્રકારનાં બોન્ડ્ઝમાં રોકાણ કરવા માટે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) હોવો ખૂબ જ જરૂરી છે. ગત બજેટમાં આ પ્રકારનાં બોન્ડ્ઝમાં રોકાણ કરવા બદલ કરમુક્તિ આપવામાં આવે તેવી દરખાસ્ત મૂકવામાં આવી હતી.નાણાપ્રધાન પ્રણવ મુખરજીએ તેમના બજેટ સંબોધનમાં જણાવ્યું હતું કે બચતને પ્રોત્સાહન આપવા માટે અને તેનો ઉપયોગ ઇન્ફ્રાસ્ટ્રકચરક્ષેત્રે કરવામાં આવે છે તેની ખાતરી આપવા માટે રૂ. ૨૦,૦૦૦ની રકમ સુધી ઇન્ફ્રાસ્ટ્રકચર બોન્ડમાં રોકાણ કરનારા રોકાણકારોને કરમુક્તિનો લાભ આપવા માટેની દરખાસ્ત હું મૂકું છું. આ દરખાસ્ત હાલની આવકવેરાની મુક્તિમર્યાદા રૂ. ૧ લાખની છે તેના ઉપર વધારાની રૂ. ૨૦,૦૦૦ની રકમની રહેશે.


૨૦૨૦ સુધીમાં મોબાઇલ વી. એ. એસ. ઉદ્યોગ રૂ. ૧ લાખ કરોડ થશે

વીએએસનો વિકાસ ૮૦ ટકના દરે થઈ રહ્યો છે અને અન્ય સેવાઓનો વૃદ્ધિદર ઘટીને ૨૦ ટકાનો થઈ જવા પામ્યો છે. ભારતની કુલ વસતી ૧.૨ અબજની હોવાને કારણે આ દેશમાં વીએએસનો વિકાસ થવાની તકો ઊજળી છે.ચાલુ વર્ષના અંત ભાગમાં ૩જી સેવાઓ અને મોબાઇલ બ્રોડબેન્ડ સેવાઓનો પ્રારંભ થઈ જવાને કારણે મોબાઇલ વેલ્યૂ એડેડ સર્વિસિઝ (વીએએસ)નો વેપારવર્ષ ૨૦૨૦ સુધીમાં રૂ. ૧ લાખ કરોડનો થઈ જશે.ઉદ્યોગજગતના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર હાલમાં આ ઉદ્યોગનું કદ રૂ. ૧૫,૦૦૦ કરોડનું છે જે વધીને વર્ષ ૨૦૨૦ સુધીમાં રૂ. ૧ લાખ કરોડનું થઈ જશે.તાજેતરમાં જ વીએએસ અંગે મોબાઇલ કંપનીઓ દ્વારા એક પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ મોબાઇલ કંપનીઓ આ મુદ્દા સાથે સહમત થઈ હતી કે ૩જી સેવાઓ અને બીડબલ્યૂએ સેવાઓ શરૂ થવાની સાથે જ આ ક્ષેત્રની વૃદ્ધિ ખૂબ જ ઝડપભેર થવા પામશે.વર્ષ ૨૦૧૨ સુધીમાં દેશભરનાં અઢીલાખ કરતાં પણ વધારે ગામડાંઓને ૩જી સેવાઓ અને વાયરલેસ બ્રોડબેન્ડ મારફતે આવરી લેવામાં આવશે, જેના કારણે તેઓ મૂલ્યવર્ધિત સેવાઓ (વીએએસ) સરળતાથી મેળવી શકશે તેમ ટેલિકોમસચિવ પી. જે. થોમસે ઉપરોકત પરિષદમાં જણાવ્યું હતું.
ઓન મોબાઇલના ચેરમેન તેમજ સીઈઓ અરિંવદ રાવે જણાવ્યું હતું કે વીએએસ એ જાહેરખબર તેમજ સંચાર માધ્યમો કરતાં પણ મોટાં કદનો ઉદ્યોગ છે.વીએએસનું યોગદાન ટેલિકોમ કંપનીઓની આવકમાં માત્ર ૧૦ ટકાનું જ યોગદાન હોવા છતાં પણ આવનારા દાયકામાં આ પરિસ્થિતિ વપિરીત થઈ જશે.

આજે ખબર પડશે? રૂપિયાનું ચિહ્ન ક્યું હશે?

ભારતીય રૂપિયો આજથી ડોલર, પાઉન્ડ સ્ટર્લિંગ, યૂરો અને યેન જેવા ચલણોની કલબમાં સામેલ થઇ જશે, જેનું પોતાનું આગવું પ્રતિક ચિન્હ છે. કેન્દ્રીય કેબિનેટની આજે યોજાનાર બેઠકમાં એ વાત પર નિર્ણય લેવામાં આવશે કે રૂપિયાનું પ્રતિક ચિન્હ કેવું દેખાશે.આ પગલું વૈશ્વિક અર્થતંત્રમાં ભારત અને ભારતીય ચલણના વધતા પ્રભાવને જોતા ઉઠાવામાં આવી રહ્યું છે. તેના માટે નાણાં મંત્રાલયે કુલ પાંચ પ્રતિક ચિન્હોનું શોર્ટલિસ્ટ કર્યું છે, જેમાં એક રૂપિયો સિંબોલ બનશે. આ પ્રતિક ચિન્હોને ભારતીય જીવનશૈલી અને સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે.રૂપિયાના પ્રતિક ચિન્હ માટે નાણાં મંત્રાલેય લોકો પોસાથી ડિઝાઇન મંગાવી હતી. શોર્ટલિસ્ટ કરવામાં આવેલ ડિઝાઇન સાધારણ અને લખવામાં સરળ છે. શોર્ટિલિસ્ટ કરવામાં આવેલ ડિઝાઇનરોએ પોત-પોતાની ડિઝાઇન સાત લોકોની પેનલ સામે રજૂ કરી જેમાં સરકારી ઓફિસરો, રિઝર્વ બેન્કના પ્રતિનિધિ, એનઆઇડી અમદાવાદ અને લલિત કલા અકાદમી જેવી અન્ય સંસ્થાઓના પ્રતિનિધિ પણ સામેલ હતા.સૂત્રોના મતે કેબિનેટ દેવનાગરી (હિન્દી)ના 'ર' માં અંગ્રેજીના R અક્ષર દર્શાવનાર પ્રતિક ચિન્હ પર પોતાની સ્વીકૃતિ આપી શકે છે. આ સિંબોલમાં 'ર' અક્ષર પર નીચેની તરફ બીજી બે રેખાઓ પણ છે. (ચિત્રમાં ચોથું પ્રતિક ચિન્હ)અત્યારસુધી ભારતીય રૂપિયાને સંક્ષિપ્ત રૂપમાં અંગ્રેજીમાં Rs અથવા RE અથવા તો પછી INR દ્વારા દર્શાવામાં આવે છે. નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકામાં પણ ચલણનું નામ રૂપિયો જ છે. પરંતુ દુનિયાના મુખ્ય ચલણોને સંક્ષિપ્ત રૂપ સિવાય એક પ્રતિક ચિન્હ પણ છે જેમકે અમેરિકી ડોલરે USD કહે છે અને તેનું પ્રતિક $ હોય છે.


સૌરાષ્ટ્ર - કચ્છમાં હળવો વરસાદ

સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક ભાગમાં શનિવારે વરસાદ ચાલુ રહ્યો હતો, જ્યારે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં વરસાદે વિરામ લીધો હતો. રાત્રે ગાંધીનગરમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જ્યારે વડોદરામાં પોણાથી એક ઇંચ વરસાદ નોંધાયો હતો.છેલ્લા કેટલાક દિવસથી અવિરત વરસાદ પડે છે તે ભાવનગર, અમરેલી અને જુનાગઢ, સુરત, નવસારી વગેરેમાં વરસાદે વિરામ લીધો હતો. બીજી બાજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અનેક જગ્યાએ પૂરતો વરસાદ પડ્યો ન હોય ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. હવામાન ખાતાએ આગાહી કરી હતી કે રવિવારે ગુજરાતના કેટલાક ભાગમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.ગાંધીનગરમાં સાંજે સાતથી નવ વાગ્યા સુધીમાં ૩૫ મિ.મિ. વરસાદ પડ્યો હતો. શનિવારે સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાક ભાગમાં મેઘરાજાની મહેર ચાલુ રહી હતી. લોધિકા અને રાપરમાં માત્ર અડધો કલાકમાં બે ઇંચ વરસાદ થઇ ગયો હતો. રાજકોટ શહેર, કોટડાસાંગાણી, જામકંડોરણામાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો.તળાજામાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ થયો હોવાના અહેવાલ મળે છે. લાઠી અને જામજોધપુરમાં અડધા ઇંચથી વધુ વરસાદ થયો હતો જ્યારે દ્વારકા અને ભાણવડમાં ઝાપટાં પડ્યાં હતાં. ઝાલાવાડમાં સતત બીજા દિવસે તડકો નીકળ્યો હતો.દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગના વિસ્તારોમાં ઉઘાડ નીકળ્યો હતો. નવસારી તથા જલાલપોર તાલુકામાં પોણો ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો હતો. જ્યારે ગણદેવી, ચીખલી તથા વાંસદા તાલુકામાં સાધારણ વરસાદ નોંધાયો હતો. બીજી બાજુ ગત સપ્તાહે મહારાષ્ટ્રમાં સારો વરસાદ નોંધાતા ઉકાઇ ડેમમાં સાડાસાત ફૂટ પાણીનો વધારો નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં શનિવારે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. સાંજ સુધી વાદળો અને સૂરજ વચ્ચે સંતાકૂકડી રમાતી રહી હતી. સાંજે શહેરમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. શહેરમાં સાંજે છ વાગે વરસાદની શરૂઆત થઇ હતી જે અંદાજે એકાદ કલાક સુધી ઝરમર ઝરમર ચાલુ રહ્યો હતો. ભારે ઝાપટાને કારણે શહેરના નીચાણવાળા ભાગમાં પાણી ભરાઇ ગયાં હતાં. ઓફિસ છૂટવાના સમયે વરસાદનું આગમન થતાં અનેક જગ્યાએ ટ્રાફિક જામ થઇ ગયો હતો. અમદાવાદ શહેરનો અત્યાર સુધીનો વરસાદ દસ ઇંચ (૧૮ ટકા) થયો છે.


અમદાવાદ : કોર્ટના હુકમ બાદ પણ માતાનાં સંતાનોનો કબજો મેળવવા માટે વલખાં

પોતાનાં ત્રણ સંતાનોનો કબજો મેળવવા માટે પાછલા ૧૩ દિવસથી ઝઝૂમી રહેલી મહિલા હજુ પણ બાળકો માટે વલખાં મારી રહી છે. કારણ કે, મણિનગર પોલીસે કોર્ટમાં રજુ કરેલા અહેવાલમાં સામાવાળાનું ઘર બંધ હોવાનું જણાવ્યું છે. બીજી બાજુ આ મહિલાએ કોર્ટના હુકમથી ગઈકાલે ચાણસ્મા પોલીસને સર્ચ વોરંટ બજાવી દીધું છે, પરંતુ આ કાર્યવાહી દરમિયાન અરજદાર મહિલાનો પતિ તેના મકાનને તાળાં મારીને જતો રહ્યો હોવાથી માતાને હજુ સુધી બાળકોનો કબજો મળ્યો નથી. આ મા-બાળકોનો મેળાપ ક્યારે થશે ?મણિનગર વિસ્તારના ગીતાબેન મોતીભાઇ દેસાઇએ તેમના પતિ લાભુભાઇ બાબુભાઇ દેસાઇ તથા સાસરિયાઓ પાસેથી પોતાના ત્રણ સગીર સંતાનો ખુશ્બુ, આયશી અને આયુષનો કબજો મેળવવા ઝઝૂમી રહ્યા છે. ૧૪ વર્ષના લગ્નજીવન દરમિયાન સાસરિયાઓ તેમને અવારનવાર દહેજ માટે ત્રાસ આપતા હતા અને એક વખત તો સાસરિયાઓએ ગીતાબહેનનો હાથ ઉકળતા તેલમાં નાખી દીધો હતો. એટલું જ નહીં તેમને સળગાવી દેવાનો પ્રયાસ પણ કર્યો .સાસરિયાઓના ત્રાસ અંગે ગીતાબહેને મહિલા પોલીસમથકમાં ફરિયાદ નોંધાવી હતી અને પતિ પાસેથી ત્રણેય બાળકો પાછા અપાવવા વિનંતી કરી હતી. તેમની અરજીના અંગે મેટ્રોપોલીટન મેજીસ્ટ્રેટે માતાને તેના ત્રણેય બાળકોનો કબજો જ્યાંથી મળે ત્યાંથી અપાવવા માટે મણિનગર પોલીસ મથકના પી.આઇ.ને હુકમ કર્યો હતો. આ બાળકોનો કબ્જો માતાને અપાવ્યા બાદ તે અંગેનો લેખિતમાં રિપોર્ટ કોર્ટમાં કરવા આદેશ આપ્યો હતો.ઉલ્લેખનીય છે કે, અગાઉ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે હદના ક્ષુલ્લક બહાના આગળ ધરી બાળકોનો કબજો અપાવવાનો ઈનકાર કરનાર મણિનગર પોલીસની ઝાટકણી કાઢી હતી અને આ કેસમાં યોગ્ય ન્યાયિક કાર્યવાહી હાથ ધરવા માટે મેટ્રોપોલિટન કોર્ટ-નં ૧૫ને જણાવ્યું હતું.


ડમી રાઇટરકાંડમાં ૨૫ લાખનો વહીવટ!

ડમી રાઇટરકાંડમાં ક્રાઇમ બ્રાંચે ચાવડા સામે ગાળિયો મજબૂત કરતાં એક આરોપી દ્વારા ભીનું સંકેલવા રૂ. ૨૫ લાખનો વહીવટ કરાયો હોવાની લેખિત રજૂઆત પોલીસ કમિશનરને કરવામા આવી છે. અરજદારે સમગ્ર વિસ્તૃત તપાસ કરવા પોલીસ કમિશનરને ભલામણ કરી છે.ચકચારી ડમી રાઇટરકાંડમાં હાઇકોર્ટમાં જાહેર હીતની અરજી થયા બાદ ક્રાઇમબ્રાંચ દ્વારા તપાસનો દૌર સંભાળ્યો હતો, પરંતુ આક્ષેપો વચ્ચે તપાસ અધિકારીઓ પણ વિવાદાસ્પદ રીતે બદલાતા રહ્યા હતા. હાલમાં આ તપાસ ક્રાઇમબ્રાંચના એસીપી મયૂર ચાવડા ચલાવી રહ્યા છે. દરમિયાન આ કેસમાં કથિત રીતે સંડોવાયેલા એક આરોપીએ રૂ. ૨૫ લાખનો વહીવટ કર્યો હોવા અંગેનો આક્ષેપ કરતી અરજી અમદાવાદના પોલીસ કમિશનરને કરી છે.અરજીમાં જણાવાયું છે કે, એક એજન્ટની મદદથી આ પ્રકરણમાં ભીનુ સંકેલવા માટે આ પ્રકરણના આરોપી દ્વારા રૂ. ૨૫ લાખનો વહીવટ કરાયો છે. આ પ્રકરણમાં યોગ્ય તપાસ કરવામાં આવે તો મોટા વહીવટનું કૌભાંડ બહાર આવી શકે તેમ છે.આ પ્રકરણમાં આરોપીના મોબાઇલની પ્રિન્ટ આઉટ ચેક કરવામાં આવે તો આ પ્રકરણમાં પૈસાની જે સોદાબાજી થઇ છે તે બહાર આવી જશે, તેમ પણ અરજીમાં જણાવાયું છે. અરજી કરનાર શખ્સે ડમી રાઇટરકાંડ પાંચ વ્યક્તિઓના ઇશારે કરવામાં આવ્યો હોઇ તેમનાં નામ પણ પોલીસ કમિશનરને કરેલી અરજીમાં આપ્યાં છે અને તેમની સામે તપાસની માગણી કરી છે.


અમદાવાદ : સીલ કરેલા ગેસ્ટહાઉસમાં આત્મહત્યા

શહેરના બાપુનગર વિરાટનગર ચારરસ્તા પાસે આવેલા એક ગેસ્ટહાઉસને મ્યુનિ. તંત્ર દ્વારા સીલ મારવામાં આવ્યું હોવા છતાં તેમાં એક પ્રેમીયુગલે આત્મહત્યા કરતાં ગેસ્ટહાઉસ ચાલુ હોવાનું અને મ્યુનિ. હેલ્થખાતાના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવતાં હોવાનું પુરવાર થયું છે.પ્રાપ્ત માહિતી અનુસાર મલેકસાબાન સ્ટેડિયમમાં સ્ટોર્મ વોટરલાઇનમાંથી ગંદું પાણી આવતું હોવાના અખબારી અહેવાલો બાદ પૂર્વ ઝોનના ઇજનેર તથા હેલ્થખાતાએ સંયુક્ત કાર્યવાહી કરતાં કેટલીક ફેકટરી અને ગેસ્ટહાઉસ તથા રેસ્ટોરન્ટ વગેરેને ગટર જોડાણ કાપી સીલ મારી દીધું હતું. મ્યુનિ. તંત્ર દ્વારા ૧૭-૭-૦૯ના રોજ વિરાટનગર ચારરસ્તા પાસે આવેલા સુષ્મા કોમ્પ્લેકસમાં ચાલતા કાવેરી ગેસ્ટહાઉસ તથા શ્યામ રેસ્ટોરન્ટને સીલ મારી દેવાયાં હતાં.ત્યારબાદ શ્યામ રેસ્ટોરન્ટના માલિકોએ તેમના રેસ્ટોરન્ટને મારેલું સીલ ખોલવા ડે.કમિશનરથી માંડી કમિશનર અને છેવટે મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હતી, તેમાં પૂર્વ ઝોનના ડે.કમિશનર, ડે.એસ્ટેટ-ટીડીઓ અધિકારી તથા ડે.હેલ્થ ઓફિસર વિરુદ્ધ જાતજાતના આક્ષેપો કર્યા હતા. તેનાથી અકળાયેલા પૂર્વ ઝોનના અધિકારીઓએ શ્યામ રેસ્ટોરન્ટનું સીલ ખોલ્યું જ નહોતું. બીજી બાજુ સીલ મારેલા કાવેરી ગેસ્ટહાઉસનો ધંધો ધમધોકાર ચાલતો હતો.પરંતુ તેની સામે કાયદેસર કાર્યવાહી કરવાને બદલે પૂર્વ ઝોનના ઉચ્ચ અધિકારીઓએ આંખ આડા કાન કરવાનું ચાલુ રાખ્યું હતું, પણ ૩૦મી તારીખે જુનાગઢનાં પ્રેમીપંખીડાં ગેસ્ટહાઉસમાં ઉતયાઁ અને ત્રીજી તારીખની મોડી રાતે આત્મહત્યા કરી ત્યારે જ મ્યુનિ.ના ભ્રષ્ટાચારી અધિકારીઓના પાપનો ઘડો ફૂટી ગયો હતો.રેસ્ટોરન્ટ કે હોટેલને સીલ હોવા છતાં ઉપયોગ થાય તો ક્યાં પગલાં લેવાં જોઈએ?હેલ્થ ખાતાનાં સૂત્રોને પૂછતાં તેમણે કહ્યું કે, રેસ્ટોરન્ટ કે હોટેલને સીલ મારવામાં આવે ત્યારે તેના મેઇન દરવાજે તથા બીજા દરવાજા હોય તો અંદરથી બંધ કરીને સીલ મારવામાં આવે છે અને દરવાજે સીલ મારી શકાય તેમ હોય તો વીજજોડાણ ઉપર સીલ મારી વીજકંપનીને જાણ કરવાની હોય છે.જો સીલ તોડ્યાં હોય અથવા સીલ હોય તો પણ જે-તે સ્થળનો ઉપયોગ થતો હોય તો સૌપ્રથમ પોલીસ ફરિયાદ કરવી પડે અને ત્યારબાદ બીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ કડક કાર્યવાહી કરવાની હોય છે, પરંતુ કાવેરી ગેસ્ટહાઉસના કિસ્સામાં પૂર્વ ઝોનના તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નહોતી અને ઉપરથી અચાનક જ સીલ ખોલી આપવાના હુકમ થતાં તર્કવિતર્ક થઈ રહ્યા છે. પૂર્વ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ભાવિન જોષીએ ફોન ઉપર જણાવ્યું હતું કે, તેમને યાદ છે ત્યાં સુધી કાવેરી ગેસ્ટહાઉસ અને શ્યામ રેસ્ટોન્ટનાં સીલ લગભગ પહેલી કે બીજી તારીખે ખોલવામાં આવ્યાં હતાં. સીલ મારેલા ગેસ્ટહાઉસનો ઉપયોગ ચાલુ હતો તેવી તમને જાણ છે ખરી તેવા સવાલના જવાબમાં તેમણે નીચલા અધિકારી ઉપર દોષનો ટોપલો ઢોળી છટકી જવાનો પ્રયાસ કર્યો હતો. હકીકત એ છે કે પૂર્વ ઝોનની ઝોનલ કચેરીની સામે જ આ બિલ્ડિંગ આવેલું છે, જ્યારે કાવેરી ગેસ્ટહાઉસના માલિક જે.ડી. પટેલે તો તેમણે જગ્યા લીધી ત્યારે ત્યાં જે મકાન હતાં તેનાં જ ગટર જોડાણનો ઉપયોગ કર્યો હતો તેથી તેમને સ્ટોર્મ વોટરલાઇન વગેરેની જાણ જ નહોતી, પરંતુ મ્યુનિ. હેલ્થ અને ઇજનેરખાતાએ દરોડો પાડી તેમનું ગટર જોડાણ સ્ટોર્મ વોટરલાઇનમાં છે તેમ કહી સીલ મારી દીધું હતું તેવો બચાવ કર્યો હતો. જો કે ગેસ્ટહાઉસ ચાલુ હોવા બાબતે તેમણે કશું કહેવાનો ઇનકાર કરી સમાચાર ના છાપશો તેમ જણાવ્યું હતું.


ભોપાલ : ‘ભાજપ એન્ડરસનના મુદ્દે મગરનાં આંસુ સારે છે’

ભોપાલની ગેસ કરુણાંતિકા માટે જવાબદાર યુનિયન કાર્બાઇડ કંપનીના ચેરમેન વોરન એન્ડરસનને અટલ બિહારી વાજપેયીના નેતૃત્વની એનડીએ સરકારના તત્કાલીન કાયદાપ્રધાન અરુણ જેટલીએ કલીનચીટ આપી હોવાનું જણાવી વિરોધપક્ષના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયાએ એન્ડરસનના મામલે ભારતીય જનતા પાર્ટી રામમંદિરના મુદ્દેની જેમ મગરનાં આંસુ સારતો હોવાનો આક્ષેપ કર્યો છે. મોઢવાડિયાએ એન્ડરસનના પ્રત્યાર્પણ માટે તત્કાલીન કાયદાપ્રધાન જેટલીએ પ્લાન્ટની સલામતી, જાળવણી અને રોજિંદા ઓપરેશન માટે એન્ડરસન જવાબદાર ન હોવાના કરેલા આદેશને ટાંકીને જણાવ્યું છે કે, હાલમાં રાજ્યસભામાં ભાજપના નેતા જેટલીએ ૨૫ સપ્ટેમ્બર-’૦૧ના રોજ કરેલા લેખિત આદેશમાં જણાવ્યું હતું કે, ભોપાલ ગેસ દુર્ઘટનામાં એન્ડરસનની કોઈ સીધી જવાબદારી બનતી નથી.પરંતુ ભોપાલ ફેકટરીમાં ઉત્પાદન માટેની મશીનરી એન્ડરસનની પેટન્ટ કંપનીએ સપ્લાય કરી હોવાથી તે મશીનરીમાં જણાયેલી ખામી પૂરતી તેમની જવાબદારી નક્કી કરી શકાય. એન્ડરસનના પ્રત્યાર્પણ અંગે કાયદાપ્રધાન જેટલીએ સ્પષ્ટ અભિપ્રાય વ્યક્ત કરતાં આદેશમાં જણાવ્યું છે કે, સીધી જવાબદારી સાબિત થતી નથી, તેથી પ્રત્યાર્પણનો કેસ નબળો જણાઈ રહ્યો છે. છતાં પ્રત્યાર્પણ અંગેની વિનંતી કરવા અંગેનીબાબત નીતિવિષયક બાબત બની રહે છે.મોઢવાડિયાએ જણાવ્યું કે, ભોપાલકાંડ માટે જવાબદાર એન્ડરસનને ૨૦૦૧માં કલીનચીટ આપતો અભિપ્રાય આપનારી ભાજપની ગુજરાત સરકારે યુનિયન કાર્બાઇડ (હવે ડાઉ) સાથે દહેજ ખાતે કેમિકલ્સ બનાવવા માટે એમઓયુ પણ કર્યા છે, પરંતુ આજે રામમંદિરની જેમ જ એન્ડરસનના નામે મગરનાં આંસુ સારે છે.


બુકીઓ પણ ઓક્ટોપસના ભરોસે

ક્રિકેટ મેચ પર સટ્ટો લગાવતા બુકીઓ હવે ફૂટબોલની મેચ પર પણ સટ્ટો લગાવતા થઈ ગયા છે અને તેમાં પણ ઓક્ટોપસની આગાહીને ધ્યાનમાં રાખીને સ્પેન અને નેધરલેન્ડ વચ્ચેની ફાઇનલમાં બુકીઓએ ૮૫ પૈસાના ભાવે સ્પેનને ફેવરિટ ગણાવી છે. દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલા ફિફા વર્લ્ડકપમાં હોટફેવરિટ બ્રાઝિલ, આર્જેન્ટિના અને જર્મની જેવી ધરખમ ટીમો ફાઇનલની હોડમાંથી ફેંકાઈ જતાં પાયમાલ થઈ ગયેલા લાચાર બુકીઓ હવે બે વર્ષીય ઓક્ટોપસના ભરોસે ભાવ ખોલી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે બ્રાઝિલ અને નેધરલેન્ડ વચ્ચેની ક્વાર્ટર ફાઇનલ મેચમાં ઓક્ટોપસની ફેવરિટ નેધરલેન્ડે બુકીઓની ફેવરિટ બ્રાઝિલને ભોંય ભેગી કરી હતી.એ જ રીતે બુકીઓની માનીતી આર્જેન્ટિનાની ટીમને ઓક્ટોપસની જર્મનીએ વર્લ્ડકપમાંથી બહાર ફેંકી દીધી હતી. હવે જ્યારે ઓક્ટોપસે ફાઇનલ માટે પોતાની પસંદ સ્પેન પર ઉતારી છે, ત્યારે બુકીઓએ પણ નેધરલેન્ડ મજબૂત ટીમ હોવા છતાં સ્પેનને હોટ ફેવરિટ ગણાવી છે.ઓક્ટોપસની સચોટ આગાહીના ચક્રવ્યૂહમાં સપડાયેલા દેશી તથા આંતરરાષ્ટ્રીય બુકીઓ હવે હાર માની ચૂક્યા છે. શુક્રવારે ઓક્ટોપસે ત્રીજા સ્થાન માટે ઉરુગ્વે અને જર્મનીની મેચમાં જર્મનીની જીતની આગાહી કરતાં જ ઓક્ટોપસને રાંધીને ખાઈ જવાની વાત કરતા જર્મનીવાસીઓ તો ગેલમાં આવી જ ગયા છે, સાથે બુકીઓએ પણ જર્મનીને ૪૫ પૈસે ફેવરિટ ગણાવી છે. બીજી બાજુ ૧૧મી જુલાઈના રોજ રમાનારી સ્પેન અને નેધરલેન્ડ વચ્ચેની મેચમાં પણ ઓક્ટોપસે સ્પેન જીતશે તેવી આગાહી કરતાં બુકીઓએ ૮૫ પૈસે સ્પેનને ફેવરિટ ગણાવી છે.જો કે સાથે બુકીઓ માટે વિટંબણા એ છે કે પંટરો (સટ્ટો ખેલનારા) પણ હવે ઓક્ટોપસની આગાહી પ્રમાણે દાવ લગાવવા ઉત્સુક છે. બુકી સૂત્રોના જણાવ્યા અનુસાર જર્મનીના ઇન્ટરનેશનલ એકવેરિયમમાં રહેતા આ ઓક્ટોપસે અત્યાર સુધી માત્ર જર્મનીની મેચોમાં જ આગાહી કરી છે, પરંતુ હવે તે સ્પેન અને નેધરલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચ પર આગાહી કરી હોવાથી પંટરો પણ સ્પેન ઉપર જ પૈસા લગાવશે, જેથી બુકીઓ અને પંટરોનો સટ્ટો સરખો બનતાં હારજીતનું અંતર ઘટી જશે.કોઈ પણ ઘટનાને સટ્ટાના ત્રાજવે તોલનારા બુકીઓએ હવે ઓક્ટોપસની આગાહી ઉપર પણ ભાવ ખોલ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મેચમાં હાર-જીતના સટ્ટા ઉપરાંત બુકીઓએ ઓક્ટોપસની આગાહી સાચી પડશે કે ખોટી તેનો સટ્ટો પણ ખોલ્યો છે. જેમાં આગાહી સાચી પડવાનો ભાવ ૮૭ પૈસા છે, જ્યારે ખાવાનો ભાવ રૂ. ૩.૨૦ છે.


રાજકોટ : લાંબા સમયની પ્રતીક્ષા પછી વધુ પોણા બે ઇંચ - ન્યારીની સપાટી ૧૨ ફૂટે પહોંચી

લાંબા સમયની પ્રતીક્ષા પછી શરૂ થયેલા વરસાદે રાજકોટવાસીઓને હવે સંતોષ થાય એ રીતે વરસવાનું શરૂ કર્યું છે. આજે શનિવારે પણ સાંજ પછી સતત વરસાદ વરસવાનું ચાલુ રહ્યું હતું. આખા દિવસ દરમિયાન કુલ ૩૬ મીમી વરસાદ પડ્યો છે અને ઝાપટાં સાંજ પછી પણ ચાલુ રહ્યાં હતાં. શહેરમાં પાણીકાપ અમલી છે અને લોકો તંગી વેઠી રહ્યા છે ત્યારે મુખ્ય ગણાતાં જળાશયોની સપાટીમાં આંશિક વધારો નોંધાયો છે, ન્યારી ૧ની સપાટી આજે થયેલી પાણીની આવકને લીધે ૧૨ ફૂટે પહોંચી છે અને રાત્રે પણ તેમાં આવક ચાલુ રહી છે. શહેરમાં મૌસમનો કુલ વરસાદ ૧૧ ઇંચ થયો છે.આજે શહેરમાં સવારના સમયને બાદ કરતાં વાતાવરણ આહલાદક રહ્યું હતું. વરસાદે રાજકોટને ભીનો અને વહાલ ભર્યો ઘેરો ઘાલ્યો હોય તેમ બપોરથી જ મેેઘ માહોલ છવાયો હતો. આજે સવારે થોડો તડકો રહ્યા બાદ દોઢ વાગ્યાના અરસામાં હવામાન પલટાયું હતું અને વરસાદ શરૂ થયો હતો. ત્રણ વાગ્યાથી તો સતત ઝાપટાં પડ્યાં હતાં. પાંચ વાગ્યાના અરસામાં વરસાદે જોર પકડ્યું હતું,એક રસ થઇને વરસાદ વરસ્યો હતો. સાંજે છ વાગ્યાના સુમારે તો વરસાદ જોરદાર વરસ્યો હતો.શનિવારની સાંજે શહેરમાં પડેલા વરસાદથી આખો માહોલ જ બદલાઇ ગયો હતો અને તેમાંય રેસકોર્સ,જયુબિલી ગાર્ડન થી લઇ જ્યાં જ્યાં વૃક્ષો વધારે પ્રમાણમાં છે ત્યાં ત્યાં તો પ્રકૃતિ બત્રીસ કળાએ ખીલી છે. કાદવ,રસ્તા પર ભરાયેલા પાણીથી થતી મુશ્કેલી પણ લોકોએ સ્વીકારી લીધી છે અને જો વરસાદ પડતો જ હોય તો આ બધું કબૂલ છે તેવું રાજકોટવાસીઓ બોલી રહ્યા છે.ફાયર બ્રિગેડના કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારથી રાત્રે સાડા આઠ વાગ્યા સુધીમાં ૩૬ મી.મી.વરસાદ પડ્યો હતો. અને તે પછી પણ વરસાદ પડવાનું ચાલુ રહ્યું હતુ. રાત સુધીમાં પોણા બે ઇંચ વરસાદ પડી ગયો હતો. શહેરને પાણી પૂરું પાડતા આજી-૧ ડેમમાં નવું અડધો ફૂટ પાણી આવ્યું છે, તેની સપાટી સાત ફૂટ થઇ છે જ્યારે ભાદરની સપાટીમાં ત્રણ ઇંચનો વધારો થયો છે. લેવલ ૧૦.૫૦ ફૂટે પહોંચ્યું છે. ન્યારી ૧ ડેમમાં નવું બે ફૂટ પાણી આવ્યું છે. લેવલ ૩ મીટર હતું તેને બદલે ૩.૬૦ મીટર થયું છે. સાંજે ૧૧ફૂટ નવ ઇંચ સપાટી હતી ત્યાર પછી પણ પાણીની આવક ચાલુ રહેતાં ન્યારીની સપાટી ૧૨ ફૂટે પહોંચી છે.


ગણેશમંડળોને ધાતુ અને માટીની મૂર્તિ સ્થાપવાની સમિતિની સલાહ

ગણેશ ઉત્સવ સમિતિના હોદ્દેદારો તાપી શુદ્ધીકરણ મામલે વધુ ગંભીર થયા છે. ગણપતિની પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓના તાપીમાં વિસર્જનને કારણે કારણે તાપીમાં ફેલાતું પ્રદૂષણ અટકાવવા અને પર્યાવરણની જાળવણી થાય તે માટેનું વિશેષ આયોજન કરી ગણેશમંડળોને જાગૃત કરવાનું કામ કરાઈ રહ્યું છે અને તે માટે વિશેષ માર્ગદિર્શકા પુસ્તિકા પણ બહાર પાડી છે. ઉપરાંત લોકોને માટી તેમજ ધાતુની મૂર્તિ સ્થાપિત કરવા માટે પણ સમજાવાય રહ્યાં છે.ગણેશ ઉત્સવ સમિતિના પ્રમુખ અનિલ બિસ્કિટવાળાના જણાવ્યા મુજબ સમિતિના સભ્યોએ સર્વાનુમતે ૧૦ ઠરાવ કર્યા હતા. આ ઠરાવમાં પર્યાવરણ પણ જળવાઈ રહે અને વધુ પ્રદૂષણ ન ફેલાય તેનું ધ્યાન રખાયું છે. માટીની મૂર્તિની સ્થાપના કરવાની અપીલ કરાઈ છે. ગયા વર્ષે જે ત્રણ ઓવારાઓ પર મૂર્તિઓ રઝળતી રહી હતી તે રામનાથ ઘેલા અને કરુણાસાગર(ઊમરા)ના બે ઓવારા પર ગણેશ વિસર્જન ન કરવા સહમતિ સંધાઈ હતી.પીઓપીની મૂર્તિ ન મુકવા સંદર્ભે શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓને ચર્ચા માટે જાહેર આમંત્રણ આપવું. બહાર પાડવામાં આવેલી સમિતિની માર્ગદિર્શકાનું અનુકરણ કરનાર મંડળો વચ્ચે સ્પર્ધા યોજી ટ્રોફિ એનાયત કરવી. ઇકોફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરનારને સ્મૃતિભેટ આપવી. મહારાષ્ટ્રના પૂણેમાં જેમ ગણેશજીની મૂર્તિનું વિસર્જન થતું નથી પરંતુ મંદિરમાં મૂકવામાં આવે છે તેના અનુસરણ માટે જનજાગૃતિના કાર્યક્રમો યોજાશે.ગયા વર્ષે ગણેશની મૂર્તિઓ પાણીના અભાવે રઝળતાં આ વર્ષે વિસર્જન માટે ડુમસમાં બે નવા ઓવારા બનાવવા માગ કરાઈ છે. ડુમસ ખાતે અત્યાર સુધી એક જ ઓવારા પર વિસર્જન થાય છે. હજીરા ખાતે પણ વિસર્જન માટે યુવાનોની નવી ટીમ બનાવવી.વિસર્જન બાદ કોઈપણ ઓવારા પર મૂર્તિ રઝળતી જોવા મળશે તો સ્થાનિક ટીમની જવાબદારી નક્કી કરવાનું નક્કી કરાયું છે.


શિક્ષિકાએ મારતાં પ્રેસિડેન્સી સ્કૂલના વિદ્યાર્થીએ ઝેર પીધું

રાષ્ટ્રગીત દરમિયાન વિદ્યાર્થીએ તોફાન મચાવ્યું હતું. ઘરે જઈ બાથરૂમમાં ઝેર પી લેતાં હાલત ગંભીર થઈ, ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ અડાજણની પ્રેસિડેન્સી સ્કૂલમાં રાષ્ટ્રગીત દરમિયાન તોફાન મચાવનાર વિદ્યાર્થીને આચાર્ય અને શિક્ષિકાએ જાહેરમાં માર મારતાં વિદ્યાર્થીએ ઘરે જઇને ઝેર પી લીધું હતું. હાલ આ વિદ્યાર્થીની હાલત ગંભીર છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ છે. રાંદેર પોલીસે શનિવારે આ પ્રકરણમાં તપાસ શરૂ કરી હતી, પરંતુ વિદ્યાર્થી બેભાન હોવાથી તેનું નિવેદન લઇ શકાયું ન હતું.અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલા પાશ્વgનગર એપાર્ટમેન્ટમાં રહેતો ૧૪ વર્ષીય હર્ષિલ મનીષભાઈ શાહ પ્રેસિડન્સી સ્કૂલના ૯મા ધોરણમાં અભ્યાસ કરે છે. શુક્રવારે સ્કૂલ છુટવાના સમયે રાષ્ટ્રગીત ચાલું હતું તે દરમિયાન હર્ષીલે કલાસરૂમમાં ધિંગામસ્તી કરી હતી. આથી વર્ગશિક્ષિકા નિમીષાબેન ચૌધરીએ હર્ષિલને ઠપકો આપ્યો હતો અને બે ઝાપટ મારીને તેને આચાર્યા દીપિકાબેન શુક્લ પાસે લઈ જઈ વિદ્યાર્થીએ કરેલા તોફાન વિશે જાણ કરી હતી.દીપિકાબેને પણ હર્ષિલને ઠપકો આપી બે તમાચા માર્યા હતા અને તેની મમ્મીને પણ આ અંગે માહિતી આપી હતી. આથી હર્ષિલની મમ્મીએ પણ તેનેઠપકો આપ્યો હતો. તેજસ્વી વિદ્યાર્થી સાથે બનેલી આ ઘટનાથી તે હેબતાઈ ગયો હતો. હર્ષિલ સાંજે તેના ઘરે પહોંચ્યો ને તરત બાથરૂમમાં ભરાઈ ગયો હતો અને બાથરૂમમા મૂકેલી ઝેરી દવા ગટગટાવી લીધી હતી. હર્ષિલને વોમિટ થતાં તેની બહેન ઇશાનીએ મમ્મીને જાણ કરી હતી. હર્ષિલને ગંભીર હાલતમાં અડાજણ પાટિયા ખાતે આવેલી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.વિદ્યાર્થીના તોફાન અંગે વાલીને જાણ કરાઈ હતી. હર્ષિલ સ્કૂલનો રેન્કર વિદ્યાર્થી છે, રાષ્ટ્રગીત ચાલુ હતું તે દરમિયાન હર્ષિલ અન્ય વિદ્યાર્થીઓ સાથે ઝપાઝપી કરી રહ્યો હતો. આથી વર્ગશિક્ષિકાએ તેને ઠપકો આપ્યો હતો. છતાંય હર્ષિલે શિક્ષિકાની વાત ન માની અને તેમનો હાથ પકડી ગાળો ભાંડી હતી. આ અંગે શિક્ષિકાએ મારી પાસે આવીને ફરિયાદ કરી હતી. આ અંગે હષિલના મમ્મીને રૂબરૂ જાણ કરવામાં આવી હતી.


ગૌવંશ બચાવવા પોલીસ આંખ આડા કાન કરે છે

ગૌવંશને ગેરકાયદે કતલખાને લઈ જતા ખાટકીઓને ગૌરક્ષકોએ ઝડપી પાડી પોલીસના હવાલે કર્યા હોય તેવા કિસ્સા ઘણા બન્યા છે, પરંતુ ટ્રકોમાં ગૌવંશ ભરીને જતા ખાટકીઓ પોલીસને દેખાતા જ નથી. પોલીસે અત્યાર સુધી ગેરકાયદે કતલખાને લઈ જવાતા એકપણ ગૌવંશને છોડાવ્યા નથી. છેલ્લા બે મહિનામાં પોલીસે જે કેસો નોંધ્યા છે તેમાં ગૌરક્ષકોએ જ ખાટકીઓને પકડીને પોલીસને સોંપ્યા હોવાનું જોવા મળ્યું છે.અખિલ ભારતીય સર્વદલીય ગૌરક્ષા મહાઅભિયાન સમિતિના શૈલેશભાઈ શાહે જણાવ્યું હતું કે તેમની સમિતિના ગૌરક્ષકોએ બે માસમાં ૯૪ ગૌવંશને ગેરકાયદે કતલખાને લઈ જવાતાં અટકાવ્યાં છે. બીજી તરફ ગૌસંવર્ધન સેવા સંઘે પણ બે માસમાં ૨૦થી વધુ ગૌવંશને ખાટકીઓના કબજામાંથી મુક્ત કરાવ્યાં છે.બીજી તરફ પોલીસ પટ્રોલિંગમાં હોય ત્યારે ગૌવંશ ભરીને જતી ટ્રકો વિશે તેમને ખબર ન પડે તે વાત ગળે ઊતરે એમ નથી. ખાટકીઓ ગૌવંશને ટ્રકોમાં ભરીને કતલખાને લઈ જાય છે ત્યારે પોલીસ તેમને અટકાવે પણ છે પરંતુ રૂપિયાના જોરે ખાટકીઓ પોલીસને પણ પોતાનાં ખિસ્સાંમાં રાખે છે. પોલીસ જો પોતાની ફરજ સારી રીતે નિભાવે તો ગૌરક્ષકોએ રસ્તા પર ઊતરી ગૌવંશને છોડાવવાની જરૂર પડે એમ નથી. જો ગૌરક્ષકો છોડાવી શકે તો પોલીસ શું કામ નહીં?પણ આ કામગીરી કરી જ શકે છે. પરંતુ કોઈક કારણોસર પોલીસ ખાટકીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાથી ગભરાતી હોય તેમ તેઓ ખાટકીઓની આડે આવતા નથી. ખાટકીઓ ઇન્જેકશનથી બેભાન કરે છે .સુરત-નવસારી જિલ્લામાં રાત્રિ દરમિયાન ગૌવંશ રખડતાં હોય ત્યારે ખાટકીઓ તેમને ઇન્જેકશન આપી બેભાન કરી નાખે છે અને ટ્રકોમાં ભરીને કતલખાને લઈ જાય છે. રાત્રે ગેરકાયદે ગૌવંશને લઈ જતાં ખાટકીઓ દરેક ગૌવંશને કાપીને રૂપિયા ૩૦૦૦થી રૂપિયા પ૦૦૦સુધીની કમાણી કરે છે. આ માટે તેઓ કેટલાક પોલીસ કર્મચારીઓને લાંચ આપવામાં પણ ચૂકતા નથી.


કોલેજના સંચાલકોએ જબરજસ્તી રાજીનામાં લખાવ્યાં

ભગવાન મહાવીર એજ્યુકેશન ફાઉન્ડેશન સંચાલિત શારીરિક શિક્ષણ મહાવિદ્યાલય કોલેજ ઓફ ફિઝિકલ એજ્યુકેશન વેસુ-ભરથાણા બીપીએડ્માં પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવનારાં એક મહિલા સહિત ચાર પ્રાધ્યાપકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલસચિવને પત્ર પાઠવી આ કોલેજના સંચાલકે ધાકધમકી આપી બળજબરીથી રાજીનામાં લખાવી લીધાં છે, જે રાજીનામાંનો અસ્વીકાર કરી રક્ષણ પૂરું પાડવાની રજુઆત કરી છે. સામા પક્ષે આ કોલેજના સંચાલકનું કહેવું છે કે ચારમાંથી એકને યુનિવર્સિટીના નિયમ મુજબ છૂટા કરાયા છે જ્યારે બાકીના ત્રણને એમપીએડ્માં નિમણુંક આપી દેવામાં આવી છે.આ કોલેજમાં યુનિવર્સિટી માન્યતા પ્રાપ્ત નિમણુંક પામેલા તરુણભાઈ સી. ગામીત (રહે: વ્યારા)ની તા.૧૫-૯-૨૦૦૪ના રોજ, વિશાલભાઈ એ. મૈસુરિયા (રહે: મોતા ગામ, તા. બારડોલી)ની તા. ૨૧-૩-૨૦૦૫ના રોજ, નિતાબહેન વી. ચૌધરી (રહે: પરવટ ગામ)ની તા. ૧૭-૧૦-૨૦૦૪ના રોજ અને સુરેન્દ્રસિંહ પ્રવીણસિંહ રાણા (રહે: ઉત્રાણ ગામ)ની તા. ૧૫-૪-૨૦૦૪ના રોજ આ કોલેજમાં નિમણુંક કરવામાં આવી હતી. તે ચારેયે કુલસચિવને પત્ર પાઠવી આ કોલેજના સંચાલકે ધાકધમકી આપી બળજબરીપૂર્વક રાજીનામું લખાવી લીધાની રજુઆત કરી છે.કુલસચિવને લખેલા પત્રમાં વિશાલભાઈ, તરુણભાઈ અને નિતાબહેને એવી રજુઆત કરી છે કે તા. ૨૯-૪-‘૧૦ના રોજ આ સંસ્થાના સેક્રેટરી અનિલભાઈ જૈને કોઇ પણ કારણ વગર ધાકધમકી આપી નોકરીમાંથી રાજીનામું લખાવી લીધું હતું, તો સુરેન્દ્રસિંહે એવી રજુઆત કરી છે કે તા. ૧-૭-‘૧૦ના રોજથી ઇનચાર્જ આચાર્ય હાજરીપત્રકમાં સહી કરવા દેતા નથી. એટલું જ નહીં અપમાનીત કરી અપશબ્દો પણ બોલે છે. એ સાથે જ હાજરીપત્રકમાં તેમનાં નામ પર વ્હાઇટર મારી નામ જ કમી કરી દેવાયું છે.યુનિવર્સિટી દ્વારા અમારી બીપીએડ્ કોલેજને બંધ કરી દેવાતાં ત્રણ પ્રાધ્યાપકોને એમપીએડ્માં નિમણુંક આપી દેવામાં આવી છે, જ્યારે સુરેન્દ્રસિંહને યુનિવર્સિટીના નિયમ મુજબ છૂટા કરાયા છે.



માણસખાઉ તરીકે ૧૮ વર્ષથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલો જહોન ગંભીર

પ્રધ્યુમન પાર્ક ઝૂમાં છેલ્લા ૧૮ વર્ષથી લોકોના આકર્ષણનું કેન્દ્ર બનેલા જહોન નામક દીપડાએ અચાનક ખાવાનું છોડી દેતાં ઝૂ સ્ટાફમાં ચિંતાની લાગણી પ્રગટી છે. ૧૯૯૨માં રાજકોટના પ્રાણી સંગ્રહાલયમાં આવેલા જહોને એક સમયે ગિરનારના જંગલમાં આતંક મચાવ્યો હતો. તેમજ માણસખાઉ દીપડા તરીકે કુખ્યાત થઇ ગયો હતો. જો કે બાદમાં જંગલ ખાતાએ તેને પકડી લેતાં ૧૮ વર્ષ પૂર્વે તેને રાજકોટના પ્રાણી સંગ્રહાલયને સોંપાયો હતો.દીપડાનું આયુષ્ય મોટાભાગે ૧૬ થી ૧૭ વર્ષનું હોય છે. કોઇક દીપડા જ ૨૦ વર્ષ સુધી જીવતા હોય છે. જો કે ત્રણ સાધુ-બાવાનો શિકાર કરનાર જહોન તો એથી પણ બે વર્ષ વધુ વટાવી ૨૨ વર્ષ પર પહોંચ્યો છેઆમ વૃદ્ધાવસ્થાને કારણે તેનું શરીર ખખડી જતાં ખાવામાં અનિયમિત થઇ ગયો છે.ગઇકાલે તે જમ્યો હતો. જ્યારે આજે કશું ખાધું નથી. ભવનાથના જંગલમાંથી પકડાયેલો જહોન સાધુ-બાવા માટે કાળ સમાન હતો. તેમને જોતા જ તે ત્રાટકતો અને શિકાર કરતો. આ દીપડાના ખૌફને કારણે સાધુઓએ બહાર સૂવાનું બંધ કરી દીધું હતું. જહોનની સાથીદાર માદાનું ત્રણ-ચાર વર્ષ પૂર્વે મૃત્યુ થયું હતું.


જાળિયાના કૌભાંડમાં રાજભાનો જેલમાંથી કબજો લેતી પોલીસ

જમીન કૌભાંડની હારમાળા સર્જનાર સેનેટ સભ્ય રાજભા જાડેજાનો પોલીસે જાળિયાની ૨૬ એકર જમીનના કૌભાંડમાં જેલમાંથી કબજો મેળવ્યો હતો. કુખ્યાત ગરાસિયા શખ્સ પાસેથી પુરાવા મેળવવા પોલીસે તેને રિમાન્ડ પર લેવાના ચક્રો ગતિમાન કર્યા હતા.બોગસ સાટાખત કરાવીને રપ કરોડનું જમીન કૌભાંડ આચરનાર સેનેટ સભ્ય રાજભા સતુભા જાડેજાને પોલીસે અગાઉ રિમાન્ડ પર લીધો હતો. રિમાન્ડ દરમિયાન પોલીસ આ માથાભારે શખ્સ પાસેથી બોગસ સાટાખત સહિતનું સાહિત્ય કબજે કરી શકી ન હતી અને રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે કરી દીધો હતો.છાશવારે કાયદો હાથમાં લેતો રાજભા જમીનના અનેક કૌભાંડમાં સંડોવાયો છે. પરંતુ તેની ધાકને કારણે કોઇ ફરિયાદ નોંધાવતું ન હતું પરંતુ પૂર્વ મંત્રીના સંબંધીની જમીન હડપ કરવામાં રાજભા સામે ગુનો નોંધાતા અન્ય ખેડૂતોની હિમ્મત પણ ખુલી હતી અને જાણે ફરિયાદોનો ધોધ વછુટ્યો હતો. જો કે, ગરાસિયા શખ્સે આચરેલા ગુના સામે નોંધાયેલી ફરિયાદો નહીવત છે.દરમિયાન ગવરીદડ રહેતા અને જાળિયા ગામમાં જમીન ધરાવતા રાજેશભાઇ નાગજીભાઇ સોરિઠયાએ પણ ફરિયાદ નોંધાવી હતી. પટેલ યુવાને ફરિયાદમાં કહ્યું હતું કે, પોતાની ૨૬ એકર જમીનનો સોદો રૂપિયા ત્રણ કરોડ ચાર લાખમાં અમરજીતસિંહ રાણા સાથે થયો હતો. અમરજીતસિંહ સહિતના શખ્સોએ છેતરપિંડી કરી રૂ. ૫૧ લાખમાં સાટાખત કરાવી લીધું હતું અને માત્ર ૭૪ હજાર જ ચૂકવ્યા હતા. આ અંગે જાણ થતાં રાજેશભાઇએ અમરજીતસિંહને પૃચ્છા કરતાં અમરજીતસિંહે જમીનના આ કૌભાંડમાં રાજભા જાડેજા હોવાનું કહી ધમકાવ્યો હતો.રાજભા જાડેજાએ પણ પટેલ યુવાનને ધમકી આપી હતી કે, એ જમીન પર પગ મુકશો તો ટાંટીયા ભાંગી નાખીશ, જમીન ભૂલી જ જે નહીંતર જાનથી મારી નાખીશ કરોડોની જમીન છેતરપિંડીથી મામુલી રકમમાં મેળવી લેનાર રાજભા સામે ફરિયાદ નોંધાતા ક્રાઇમ બ્રાંચે જેલમાંથી શનિવારે ફરી કબજો મેળવી પૂછપરછ શરૂ કરી હતી.


રાજકોટ :યુવકની આઠ માળના બિલ્ડિંગ પરથી મોતની છલાંગ,બીમારીથી કંટાળી યુવાને ભરેલું પગલું

શહેરના શિવમપાર્કમાં રહેતા યુવાને બીમારીથી કંટાળી ૧૫૦ ફૂટ રિંગ રોડ પર આવેલી બિલ્ડિંગના આઠમા માળેથી છલાંગ મારી જીવનનો અંત આણતાં અરેરાટી મચી ગઇ હતી.૧૫૦ ફૂટ રિંગ રોડ પર રિલાયન્સ માર્કેટ પાસે આવેલા પાર્થ ટાવરના આઠમા માળથી શનિવારે એક યુવાને પડતું મુકર્યું હતું. યુવાનના પડવાથી જોરદાર અવાજ થતાં ચોકીદાર સહિતના લોકો દોડી આવ્યા હતાં અને નજર કરતાં જ એક યુવાન લોહિયાળ હાલતમાં પડયો હતો. બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ દોડી ગઇ હતી.
પોલીસે તપાસ કરતાં મૃતક શિવમપાર્કમાં રહેતો હાડી યુવાન જયંતી માંડાભાઇ ચુડાસમા (ઉ.વ. ૩૦) હોવાનું ખુલ્યું હતું. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, માળીયા હાટીના પંથકના સમઢીયાળાનો વતની જયંતી ત્રણભાઇમાં મોટો હતો અને ત્રણ વર્ષથી રાજકોટ સ્થાયી થઇ કડીયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો.બે માસથી પથરી અને વધરાવળની બીમારીનો સામનો કરતા જયંતીએ ‘કડીયા કામે જવ છું’ તેમ કહી ઘરેથી નીકળ્યો હતો અને બીમારીથી કંટાળી આપઘાત કરી લીધો હતો. યુવાનના આપઘાતથી તેના ચાર વર્ષના પુત્ર પિયુષે પિતાની છત્રછાંયા ગુમાવતા અરેરાટી મચી ગઇ હતી


નવા રતનપરમાં ૨૫૦ મીટર લાંબુ જહાજ બનશે

મોડેસ્ટના ૩૫૦ કરોડના શિપ બિલ્ડીંગ યાર્ડને સરકારની મંજુરી : ૨૦ માસમાં શિપયાર્ડનું બાંધકામ પૂર્ણ થશે,૫૦ એકર જમીનમાં નિર્માણ થનારા શિપયાર્ડમાં જહાજોનું નિર્માણ ઉપરાંત રિપેરિંગ કાર્ય પણ થઇ શકશેભાવનગર હવે શિપ બિલ્ડીંગ અને શિપ રિપેરિંગ ક્ષેત્રે આગળ ધપી રહ્યું છે. ભાવનગર જુના બંદરે કાર્યરત મોડેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકચર જે હાલમાં નાના અને મધ્યમ કદના જહાજોનું નિર્માણ થાય છે તે હવે નવા રતનપર ગામે ૫૦ એકરની વિશાળ જગ્યામાં રૂ. ૩૫૦ કરોડના ખર્ચે મોટા આધુનિક જહાજ બનાવશે તે પ્રોજેક્ટને રાજ્ય સરકારે પણ મંજુરી આપી દેતા બે વર્ષમાં આ પ્રોજેક્ટ પૂર્ણ થશે.અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ જહાજોને તોડવામાં વિશ્વ વિખ્યાત છે ત્યારે ભાવનગર જહાજોના નિર્માણ અને રિપેરિંગમાં પણ વિશ્વવિખ્યાત બને તે માટે તબકકાવાર પગલાં લેવાઈ રહ્યાં છે તે અંગે મોડેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રકટરના ડિરેક્ટર મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, અત્યારે અમે જુના બંદર વિસ્તારમાં ૧૦૦ મીટર લાંબા અને પાંચ હજાર ટન ડીડબલ્યુડી વજનના વહાણનું નિર્માણ કરી શકીએ છીએ. આથી નવા રતનપર ખાતે રૂ. ૩૫૦ કરોડના ખર્ચે અત્યાધુનિક શિપબિલ્ડીંગ યાર્ડ બનાવવાની યોજના બનાવી છે જેને છેલ્લા બે વર્ષના સમયગાળામાં પર્યાવરણના કોસ્ટલ રેગ્યુલેટરી ઝોનની પરવાનગી મળી બાદમાં ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ કર્યા પછી હવે આખરે રાજ્ય સરકારે પણ આ પ્રોજેક્ટને લીલીઝંડી આપી છે.મેહુલભાઈએ વધુમાં જણાવ્યું હતું કે નવા રતનપરના શિપયાર્ડમાં ૨૫૦ મીટર લાંબા અને ૨૫ હજાર ટન ડીડબલ્યુડી વજનના વહાણનું નિર્માણ શક્ય થશે. આ પ્રોજેક્ટ આ ચોમાસા બાદ શરૂ થશે અને અંદાજે ૧૮ થી ૨૦ મહિનામાં યાર્ડનું બાંધકામ પૂર્ણ થઈ જશે તેવી આશા વ્યક્ત કરી હતી. આ નવા શિપ યાર્ડમાં અધ્યતન વહાણોનું નિર્માણકાર્ય ઉપરાંત જહાજોનું રિપેરિંગ કાર્ય પણ થશે.


મધ્યાહન ભોજન યોજના દ્વારા બાળકોને ખોરાકમાં ધનેડા તેમજ ઈયળો પીરસાઇ...!!

મધ્યાહન ભોજન યોજનામાં અપાતા ભોજનમાં બાળકોના આરોગ્ય સાથે ચેડા થતા હોવાના કૌભાંડનો આજે પર્દાફાશ થતા સીદસર કેન્દ્રવર્તી શાળામાં આવેલો ભેળસેળયુકત લોટ અને ચણાની દાળમાં જીવાતો નિકળતા ભારે હાહાકાર મચી જવા પામ્યો છે.મધ્યાહન ભોજન યોજનામાં સડેલો ખોરાક પીરસી બાળકોના આરોગ્ય સાથે ખીલવાડ થતા હોવાની અવાર-નવાર ફરિયાદ ઉઠવા પામી હતી તેમજ અનેકવખત અખાદ્ય પદાર્થો પણ જબ્બે થયા છે. તેમ છતાં તંત્રવાહકો ભેદી મૌન સેવી બેઠા છે.તંત્રની મીઠી નજર નીચે ચાલતા મધ્યાહન ભોજન યોજનાના ભ્રષ્ટાચાર હરહંમેશ અધિકારીઓ સિવાય જ અન્યોએ બહાર પાડ્યો છે. ત્યારે આજે પણ સિદસર કેન્દ્રવર્તી શાળામાં આવેલા મધ્યાહન ભોજન કેન્દ્ર-૪૨માં ભોજન બનાવવા માટે કાચુ સીધુ આવતા તેમાં ગેરરીતી આચરાયાની શંકાએ શાળાના આચાર્ય વિજયભાઈ પંડિત, સરપંચ ભીખુભાઈ ગોહિલ, ગ્રા.પં.ના. સદ્દસ્ય દિનેશભાઈ ચૌહાણ, જિલ્લા યુવા કોંગ્રેસના મહામંત્રી જગદીશભાઈ જાજડીયા સહિતનાએ તપાસતા સરકારી નિયમ મુજબ નિશ્વિત મેનુ સિવાય અને નબળી ગુણવત્તાની ચીજવસ્તુ જણાઈ હતી. ૪૫ આટામાં પણ લોટ સિવાયના તત્વો તેમજ મગદાળ બદલે આવેલી ચણાદાળમાં ધનેડા સહિતના જીવજંતુઓ જણાતા બધા ચોંકી ઉઠ્યા હતા.જે અંગે મધ્યાહન ભોજન યોજના.ના ડે.કલેક્ટરને જાણ કરતા તેઓ ગરીબ મેળામાં હોવાથી નાયબ મામલતદારને સ્થળે મોકલ્યા હતા અને પંચરોજકામ કરી ક્ષતિવાળી વસ્તુના ત્રણ નમૂના લીધા હતા. જેની સામે ગ્રામજનોએ પણ ત્રણ નમૂના લઈ ખાનગી લેબોરેટરીમાં તપાસ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી.આ તો માત્ર એકજ કેન્દ્રનું ખુલવા પામ્યું હતું. જ્યારે અન્ય કેન્દ્રોમાં તપાસ કરવામાં આવે તો હજુ ઘણો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી પુરી શક્યતા છે.

ભાવનગર : વર્ગખંડોમાં મંજૂરીથી વધારે વિદ્યાર્થીઓ

સરકારના શિક્ષણના નીતિ-નિયમોની સ્વનિર્ભર સ્કૂલો પર કોઈ લગામ રહી નથી : શિક્ષકો બાળકોને માત્ર સાચવી શકે તેવી સ્થિતિ.ભાવનગર શહેરમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં સ્વનિર્ભર શાળાઓમાં વર્ગદીઠ સંખ્યા અને ફીનો વિવાદ ચગડોળે ચડયો છે. કેટલીક જાણીતી સેલ્ફ ફાયનાન્સ પ્રાથમિક અને માધ્યમિક-ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ તો જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના નિયમોને ઘોળીને પી ગઈ છે. કેટલીક શાળાઓમાં વર્ગદીઠ ૬૬ ને બદલે ૮૦ જેવી સંખ્યા થઈ ગઈ છે. તગડી ફી પડાવતી સ્વનિર્ભર શાળાઓ માટે સરકારી નિયમો માત્રકાગળ પૂરતા મર્યાદિત રહી ગયા હોય તેવું લાગે છે.ભાવનગર શહેરમાં જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા વખતોવખત ખોંખારો ખાઈને જણાવવામાં આવે છે કે કોઈ સ્કૂલમાં વર્ગદીઠ ફી વધુ કે સંખ્યામાં વધારો હોય તો તેની સામે કડક પગલા લેવાશે પરંતુ કાંઈ થતું નથી તે સૌ કોઈ જાણે છે ભાવનગરમાં શિક્ષણ ફી વધુ ઘરાવતી શાળાઓનું પૂછો તો નગરજનોને મોઢે હોય છે ત્યારે ડી.ઈ.ઓ. કચેરીને ખબર ન હોય તેવું ભાગ્યે જ બને. જોકે કચેરી જણાવે છે કે કોઈ વાલી વર્ગખંડમાં વધારે સંખ્યા કે ફી વધારા અંગે લેખિત ફરિયાદ પુરાવા સાથે ફરી શાળા સાથે સીધી દુશ્મનાવટ વ્હોરી લે તે લગભગ શક્ય નથી.ભાવનગરમાં ધો.૧ થી ૭ અને ૮ થી ૧૨માં શિક્ષણ ફી તેમજ વર્ગખંડમાં સંખ્યાના નિયમો છે પરંતુ આજકાલ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોમાં રૂ. ૩૦૦ થી ૫૦૦ માસિક ફી ઉપરાંત ૭૫ થી ૯૦ સુધી વિદ્યાર્થીઓની એક-એક વર્ગમાં સંખ્યા ભરવામાં આવે છે. આટલા બધા વિદ્યાર્થીઓ હોય ત્યારે એક શિક્ષક ભણાવી તો ન શકે માત્ર પાંચ કલાક સાચવી શકે. વિજ્ઞાન પ્રવાહમાં પણ નિયમોને નેવે મૂકીને વર્ગખંડોમાં ઘેટા-બકરાની જેમ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલોમાં વિદ્યાર્થીઓ હોય છે તો બીજી બાજુ સરકારી શાળાઓમાં સંખ્યાના અભાવે વર્ગો બંધ કરવા પડે છે.


ઉમતા જૈનમંદિરમાંથી ચેક ઉઠાવી રૂ.૧.૧૨ લાખ ઉપાડી લીધા

વિસનગર તાલુકાના ઉમતામાં આવેલ જૈન દેરાસરમાં મુનિ નિર્ભયસાગર જૈન કલ્યાણ સમિતિના ચેકો ત્રણ શખ્સો દ્વારા ઉઠાવી તેમાં ખોટી સહીઓ કરી પંદર દિવસમાં ૧,૧૨,૫૦૦ રૂપિયા ઉપાડી લેવાનો બનાવ બન્યો છે. બેન્કની પાસબુકમાં એન્ટ્રી પડાવતાં આ વિગત બહાર આવવા પામી હતી. જે અંગે વિસનગર પોલીસે ત્રણ શખ્સો વિરુધ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.તાલુકાના ઉમતા ગામમાં જમીનમાંથી પ્રાચીન જૈન દેરાસર મળી આવ્યું છે. જ્યાં બાલયોગીની વિરાગમણી માતાજી સેવા પૂજા કરે છે. આ જૈન મંદિર મુનિ નિર્ભયસાગર જૈન કલ્યાણ સમિતિથી સંચાલન થાય છે અને તેના નામથી વિસનગર બેન્ક ઓફ ઇન્ડીયામાં ખાતુ આવેલ છે. જેના ચેક ઉપર બાલયોગીની માતાજી અને જૈન સાહેબની સહીઓ ચાલે છે. દરમ્યાન બહાર પડી રહેતી આ ચેકબુકમાંથી ચાર ચેક તફડાવી અલગ અલગ તારીખે બેન્કમાં ભરી ૧,૧૨,૫૦૦ રૂપિયા ખાતામાંથી કોઇએ ઉપાડી લીધા હતા.૧૯ માર્ચ ૨૦૧૦ના રોજ બેન્કમાંથી પાસબુકમાં એન્ટ્રી પડાવતાં આ પૈસા ઉપાડ્યા હોવાનું બહાર આવ્યું હતું. જે અંગે તપાસ કરતાં જૈન રાહુલ ઉર્ફે સોનુ રાજકુમાર, જૈન સતેન રાજકુમાર અને જૈન સુમન રાજકુમાર રહે. ત્રણેય જૈનમંદિર, ઉમતાએ ચેકોની ઉઠાંતરી કરી ખોટી સહીઓથી પૈસા ઉપાડી લધા હોવાનું બહાર આવ્યું હતું. આ અંગે બાલયોગીની વિરાગમણી માતાજીએ વિસનગર પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.


માતાનામઢ-રવાપરમાં ૧૫૦૦ ટ્રક ચાલકો ૩ દિ’થી ભૂખ્યા

થોડા વરસાદે જ જીએમડીસીની પોલ ખુલ્લી ગઇ.ખાણમાં ડ્રાઇવરો-કંડકટરો પાણી-જમવાના અભાવે બીમાર પડ્યા : કીચડ નિકાલની મશીનરીના અભાવથી માઇન્સમાં ટ્રાફિકજામ : અત્યાર સુધી કતારો લાગી.માતાનામઢ-રવાપરમાં છેલ્લા બે દિવસમાં મેઘમહેર થતાં ખેડૂતો ગેલમાં છે, પરંતુ જીએમડીસીની બેદરકારી તથા વ્યવસ્થામાં ઉણું ઉતરતા માતાનામઢ ખાણમાં બે દિવસથી ફસાયેલી ૧૫૦૦ ટ્રકના ડ્રાઇવરો-કંડકટરો ભૂખે-તરસે દિવસો કાઢી રહ્યા છે. કરોડો રૂપિયાનો નફો રળતી જીએમડીસી દ્વારા વરસાદમાં પાણી-જમવા સહિત કાદવમાં ફસાતી ટ્રકોને કાઢવાની યોગ્ય વ્યવસ્થાના અભાવે ટ્રક ડ્રાઇવર-કંડકટરો જીએમડીસી પર ગિનાયા છે.સાચી પરિસ્થિતિનો તાગ મેળવવા ‘દિવ્ય ભાસ્કર’ની ટીમે માઇન્સની રૂબરૂ મુલાકાત લેતાં જીએમડીસીની પોલ ખુલ્લી પડી ગઇ હતી. ટ્રકમાલિકો-ડ્રાઇવરોએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસથી અમે ભૂખ્યાપેટે બેઠા છીએ, પીવાના પાણીની વ્યવસ્થા સુદ્ધા કરાઇ નથી. ૧૫૦૦ ટ્રકોનો એક સાથે ભરાવો છે. એક નંબર ગેટ ઉપર ૫૦૦ ટ્રકો ઉભી છે. ટ્રકના ડ્રાઇવરોની હાલત એટલી કફોડી છે કે, ટ્રકને ન તો અંદર લઇ શકાય છે કે બહાર ઉભી રાખી શકાતી બહાર ટ્રાફિક નડે છે તેમજ રોડ પર પોલીસ હેરાન કરે છે.તો અંદર વારંવાર કીચડમાં ગાડી ફસાવાના કારણે તેને નિકાલ કરવા મશીનરીનો અભાવ હોવાથી ટ્રાફિકમાઇન્સમાં સર્જાય છે. ટ્રક ડ્રાઇવર અને માલિક ભિખુભા જાડેજાએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ખાનગી સિકયુરિટિવાળા ડી ફોલ ગાડી નંબર મેળવવા તેમજ નાની ભૂલના બદલામાં ૧૦-૨૦ રૂપિયા ખંખેરી લે છે, જેમાં તમામ ડ્રાઇવરોએ સૂર પૂરાવ્યો હતો.ખુલ્લા પ્લોટોની વ્યવસ્થા નહીં હોવાથી ટ્રકો ફસાઇ છે. બપોરે રવાપરથી માતાનામઢ માઇન્સ સુધી ટ્રકોની લાઇનો જોવા મળી હતી. આ અંગે જીએમડીસીના જનરલ મેનેજર પી.કે.સામતરેનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, ઓચિંતો વરસાદ આવી જતાં વ્યવસ્થા કરવામાં મુશ્કેલી પડી છે. ઉપરથી ટ્રક માલિકોએ ડબો ચાલુ કરી દેતાં તકલીફો વધી છે. ટ્રકોના ભરાવાના કારણે પાણીની વ્યવસ્થામાં સમસ્યા થઇ છે. શુક્રવારે ખાણ ચાલુ થવાની સાથે સાંજ સુધી ૭૦ ગાડીનું લોડિઁગ થઇ ગયું હતું. બે દિવસમાં તમામ ટ્રકોનો નિકાલ કરી દેવાશે.ખાનગી સિકયુરિટી દ્વારા લેવાતી કટકી સંદર્ભે ઇન્ચાર્જ સિકયુરિટી સુપરવાઇઝર દેવેન્દ્રસિંહે કહ્યું હતું કે, આવું કંઇ અમારા જાણમાં નથી. જો કંઇ આવું માલુમ પડશે તો તેની સામે પગલાં ભરાશે.વધુ વરસાદ પડે તો શું થાય તે કલ્પવું જ રહ્યું !થોડા વરસાદ પડતાં જ જીએમડીસીની બેદરકારીએ માઇન્સમાં હડકંપ મચી ગયો છે, તો જો વધુ વરસાદ થાય તો ટ્રક તથા તેના ડ્રાઇવરો-કંડકટરોની હાલત કેટલી ગંભીર થાય તે કલ્પવું જ રહ્યું !! જીએમડીસીને ચોમાસાની પૂર્વે તૈયારીથી સજ્જ રહેવું જ જોઇએ. આ ફસાતી ટ્રકોને કાઢવા મશીનરી તથા વે બ્રિજ ખુલ્લા પ્લોટોની વ્યવસ્થા કરવી જરૂરી છે.એક કાંટાના કારણે લોડિઁગ ધીમે થઇ રહ્યું છે


ગરીબ કલ્યાણ મેળા થકી રાજ્યમાં સામાજિક ક્રાંતિનું નિર્માણ થશે

ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી મોદી અંજારમાં યોજાયેલા તાલુકા કક્ષાના પ્રથમ ગરીબ કલ્યાણ મેળામાં મુખ્યમંત્રી મોદીના હસ્તે કુલ ૩૦ લાભાર્થીઓને વિવિધ સહાયનું વિતરણ કરાયું હતું. કુલ ૨૫૬૨ લોકોને સહાય અપાઇ હતી. આ પ્રસંગે રાજ્યના નાણામંત્રી વજુભાઇ વાળા, વન પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, સામાજીક કલ્યાણ મંત્રી વાસણભાઇ આહીર, કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ જયંતીલાલ ભાનુશાળી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા.અંજારમાં મુખ્યમંત્રી મોદીના હસ્તે વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ ૧૭ કરોડની સહાય ચૂકવાઇ.સ્વર્ણિમ ગુજરાતની ઉજવણી અંતર્ગત યોજાયેલા ૫૦ જેટલા ગરીબ કલ્યાણ મેળાની સફળતાએ એ સાબિત કરી દીધું છે કે જો લોકોને સાથ અપાય તો લોકો પણ ગરીબી સામે લડવા તૈયાર છે. તેથી ગરીબ કલ્યાણ મેળા ગુજરાતમાં સામાજિક ક્રાંતિનું નિર્માણ કરશે તેમ રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અંજાર ખાતે જણાવ્યું હતું.કચ્છમાં તાલુકા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં હજારોની મેદનીને સંબોધતા મુખ્યપ્રધાને એવો દાવો પણ કર્યો હતો કે હવે ગરીબીને દૂર કરવા લોકોમાં સ્પર્ધા જામશે. કચ્છના પ્રથમ તાલુકા કક્ષાના મેળામાં આજે ૨૫૬૨ લાભાર્થીઓને ૧૭ કરોડની સહાય ચૂકવવામાં આવી હતી.આહીર બોર્ડિંગ મેદાનમાં સરકારની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કર્યા પછી મોદીએ ઉપસ્થિત લાભાર્થીઓ તથા નાગરિકોએ જણાવ્યું હતું કે હવે હું કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો છું તે છેક છેલ્લી ઘડી સુધી જણાવાતું નથી. આ કારણે દરેક કાર્યક્રમાં હું હાજર હોઉં તે રીતે આયોજન થાય અને તેના લાભો તમને મળે છે. ગરીબોની સેવાનો આનંદ મળતો હોવાનું કહીને સારુ કામ હવે અટકવા નહીં દેવાય તેમ જણાવ્યું હતું. અર્થશાસ્ત્રના પંડિતો જો આ સેવાયજ્ઞનો અભ્યાસ કરે તો દેશનું ભલું થશે કારણ કે કેટલાક લોકો(અહીં કોંગ્રેસ કે વપિક્ષના નામનો ઉલ્લેખ ટાળી ગયા હતા) એમ કહે છે કે આ રૂપિયા તો અમારા છે પણ હું એમ કહુ છે કે પ્રજાના પૈસા પ્રજાને આપું છું તે તમારા ખિસ્સામાંથી નથી આવ્યા.
તમે લોકોએ ન કરવા જેવા કામ કર્યા તેને કારણે આજે મજૂરી કરવી પડે છે. કારણ કે પહેલાં પ્લોટ ન હોય તેમને મકાનની સહાય આપી દેવાતી હતી પણ હવે દરેક પગથિયાએ માહિતી એકત્ર કર્યા પછી જ આગળ વધાય છે.
વોટબેંકનું રાજકરણ રમાતું, તેથી અનેક વિસ્તારો વંચિત રહી ગયા પણ ગુજરાતની સરકારે સૌથી પહેલાસહાય ગરીબ અને વંચિતોને આપી છે. એક પછી એક યોજનાઓ એક યોજનાઓ જોડી દેવાતા ગરીબીને સૌથી મોટી લડત મળી છે તેમ મોદીએ કહયું હતું.પ્રધાનમંત્રીથી ગ્રામ મંત્રી સુધી સુધારો લાવવા કન્વર્ઝન થાય છે. રાજ્યની ગરીબી માટે આ મેળો કન્વઝggન છે. તેથી આ મેળા સામાજિક ક્રાંતિનું નિમાર્ણ કરશે. બીપીએલ કાર્ડધારકો હવે અન્યને આ યોજનાનો લાભ મળે તે મા ટે પ્રયાસ કરશે. બીપીએલ ધારકો એમ કહેશે કે અમે ગરીબ નથી, ગરીબ કહેડાવતા લોકો શરમાશે.રાજ્ય સરકારની કન્યા કેળવણી, ચિરંજીવી, સ્ત્રી ભ્રૂણહત્યા શિક્ષકોની ભરતી, ધો. આઠને પ્રાથમિક અભ્યાસ સાથે જોડવા, ૧૦૮ની સેવાઓ, સહિતની કામગીરીને આવરી લેતા મોદીએ ગરીબી સામે લડવા સહિયારા પ્રયાસનું આહ્વાન કર્યું હતું.નાણાંમત્રી વજુભાઇ વાળા, વન પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. મંત્રી વાસણભાઇ આહિરે સરકારની લાભાર્થી યોજનાઓની માહિતી આપી હતી. પ્રારંભમાં અંજારના ધારાસભ્ય ડૉ.નીમાબેન આચાર્યએ સ્વાગત પ્રવચન કર્યું હતું.કચ્છ ભાજપના અધ્યક્ષ જયંતીલાલ ભાનુશાલી, ધારાસભ્યો રમેશ મહેશ્વરી, ધનજી સેંઘાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ જીવાભાઇ આહિર, સરદાર સહભાગી યોજનાના ચેરમેન અનંત દવે, સરદાર નિગમના ડાયરેકટર મુકેશ ઝવેરી, અંજારના નગરપ્રમુખ વસંતભાઇ કોડરાણી, રાજકોટના મેયર સંધ્યાબેન, દિનેશ ટોડિયા, પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવી, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ તારાચંદ છેડા, પૂર્વ ધારાસભ્ય ગોપાલ ધુવા, વગેરે હાજર રહયા હતા.ગરીબ કલ્યાણ મેળામાં મોદીનું ઉદ્બોધન ચાલતું હતું ત્યારે જ ત્યાં પહોંચી ગયેલા એક રખડતા આંખલાએ ભારે કરી હતી. ગ્રાઉન્ડમાં રહેલા કાળી કાંકરીની ભુકીના ઢગલામાં શિંગડા ભરાવીને ભૂકકી ઉડાડવાનું શરૂ કરતા પોલીસ જવાનોએ મહેનત કરી તેને બહાર કાઢયો હતો.
મોદીના આગમન સાથે વરસાદી ઝાપટું પડતા લોકોએ તેને વધાવી લઇને નારા પોકાર્યા હતા. આ પછી મોદીના પ્રવચન વખતે ઝાપટા પડતા લોકો આગળ-પાછળ થતા જોઇને મોદીએ એમ કહયું હતું કે પાણી માગતા લોકોએ વરસાદી ઝાંપટું પડતા આઘા-પાછા થતા જોઇને નવાઇ લાગે છે. કઇં નથી થવાનું ઉભા રહો, વરસાદની પણ મજા માણો તેમ મોદીએ ઉમેર્યું હતું .

No comments:

Post a Comment