17 January 2010

પર્યાવરણ જાગૃતિ માટે ૧૧૭૦ કિ.મી.ની મેરેથોન

ગ્લોબલ વોર્મિંગની ચિંતા દેશવાસીઓને સતાવી રહી છે ત્યારે પર્યાવરણની જાગૃતિનો સંદેશો લઇને મૂળ તામિલનાડુના અને હાલ આણંદ રહેતા એક યુવાને ૧૧૭૦ કિમીની મેરથોન શરૂ કરી છે. આ યુવાન ૧૫ જાન્યુઆરીએ ઝાલાવાડ આવી પહોંચ્યો હતો. આ યુવાને ઝાલાવાડવાસીઓને પર્યાવરણ જાળવણી, વૃક્ષારોપણ અને પાણીના કરકસરભર્યા ઉપયોગનો સંદેશો આપ્યો હતો. સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગના કારણે ઋતુ ચક્ર અને પર્યાવરણને અસર પહોંચી રહી છે ત્યારે પર્યાવરણની જાગૃતિનો સંદેશો ફેલાવવા માટે ડી.મુનીઅપ્યને ૧૧૭૦ કિમીની મેરથોન શરૂ કરી છે. ગુજરાતના ૨૬ જિલ્લાઓમાં ફરીને ૩૬૩૦ કિમી દોડ પૂર્ણ કરીને અમદાવાદ પહોંચશે. સમગ્ર સૌરાષ્ટ્ર દોડીને રાજકોટથી સુરેન્દ્રનગર જિલ્લામાં તા. ૧૫મી જાન્યુઆરીએ ડી.મુનીઅપ્યન આવી પહોંચ્યો હતો. આ રમતવીરનું જિલ્લાભરમાં સ્વાગત કરાયું હતું. પર્યાવરણની જાગૃતિનો સંદેશો આપનાર ડી.મુનીઅપ્યને સુરેન્દ્રનગર જિલ્લામાં ૬૧ જેટલા વૃક્ષોનું રોપણ કર્યુ છે. ઝાલાવાડવાસીઓ પર્યાવરણ જાળવણી, વૃક્ષારોપણ, પેટ્રોલ બળતણનો બચાવ, પાણીનો કરસકર ઉપયોગનો સંદેશો આપ્યો હતો. આ અંગે ડી. મુનીઅપ્યને જણાવ્યું કે, તેઓ દરરોજ ૩૦ થી ૪૦ કિમીની દોડ લગાવે છે. આ દરમિયાન તેઓ પર્યાવરણ જાગૃતિ અર્થે લોકોને જાગૃત કરી સંદેશો આપે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા, મૂળી અને સુરેન્દ્રનગર તેઓ દોડીને આવ્યા છે. જ્યારે તા. ૧૬મી જાન્યુઆરીએ ધ્રાંગધ્રા તરફ રવાના થયા છે ત્યારબાદ હળવદ થઇ કચ્છ તરફ પર્યાવરણની જાગૃતિ માટે દોડ લગાવશે.

No comments:

Post a Comment