22 January 2010

શિવ રાત્રિના મેળા માટે તંત્ર કામે લાગ્યું

ગરવા ગિરનારની ગોદમાં ભવનાથ તળેટી ખાતે આગામી ૧૨ ફેબ્રુઆરીથી યોજાનારા મહા શિવ રાત્રીનાં મેળાના આયોજન માટે વહિવટી તંત્રએ જિલ્લા કલેકટરનાં અઘ્યક્ષ સ્થાને બેઠક યોજી કામગીરી શરૂ કરી છે. વિવિધ સમિતિઓની રચના કરી અધિકારી-કર્મીઓને જવાબદારી સોંપાઈ છે. આગામી તા.૧૨ ફેબ્રુઆરીથી ભવનાથ ખાતે શિવરાત્રીનાં મેળાનો શુભારંભ થશે. આ પરંપરાગત ધાર્મિક મેળાનાં પૂર્વ આયોજન માટે જિલ્લા કલેકટરનાં અઘ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ હતી. જાહેર માર્ગો પરનાં ગેરકાયદે દબાણો દુર કરવા, રસ્તાનાં કામો પૂર્ણ કરવા, વાહનોની પાર્કિંગ વ્યવસ્થા, સ્ટોલ્સની હરરાજી, ઉતારા વ્યવસ્થા, આંતરીક માર્ગો, ગિરનાર સીડીનાં પગથિયા, દામોદરકુંડ ખાતે લાઈટની વ્યવસ્થા, બળતણ માટે લાકડાની વ્યવસ્થા, આગ કે અકસ્માતનાં બનાવોને અટકાવવા સાવચેતીનાં પગલા, ફાયર ફાઈટરો ફાળવવા, પીવાનાં પાણીની વ્યવસ્થા, પાણીનો બગાડ અટકાવવા, સ્વચ્છતા જાળવવા સહિતનાં આવશ્યક પગલા ભરવા તાકિદ કરાઈ હતી. તબીબી સુવિધા માટે આરોગ્ય કેન્દ્રો ઉભા કરવા. આરોગ્યની મોબાઈલ ટીમ કાર્યરત રાખવા મનોરંજન લાયસન્સ તથા વાહનોનાં પાસ ઈશ્યુ કરવા, મેળામાં દુધની વ્યવસ્થા કરવા, યાત્રિકો માટે એસ.ટી.ની વધારાની બસ, રેલવેમાં વધુ કોચ જોડવા, વિવિધ સ્થળોએ પીક અપ સ્ટેન્ડ ઉભા કરવા જરૂરી સુચનાઓ અપાઈ હતી. કાયદો વ્યવસ્થા જાળવવા અદ્યતન સંદેશા વ્યવહારનાં સાધનો સાથે પોલીસનો ચુસ્ત બંધોબસ્ત ગોઠવાશે. મેળામાં ખાણી-પીણીનાં સ્ટોલમાં આરોગ્યને નુકશાન કરે તેવા ખાધ પદાર્થોનું વેંચાણ અટકાવવા માટે તકેદારી રાખવા, યાત્રીકોને માર્ગ દર્શન માટે સહાય કેન્દ્રો શરૂ કરવા સંબંધિત અધિકારીઓને જણાવાયું હતું.
ઉતારા-અન્ન ક્ષેત્રોની અનેરી સેવા જયોત : : મહા શિવરાત્રીનાં પાંચ દિવસીય મેળામાં આવતા ભાવિકોની સગવડતા માટે ઉતારા-અન્નાક્ષેત્રોની સેવા જયોત પ્રશંસનીય બની રહે છે. સાધુ સમાજ પણ સતત ખડે પગે રહે છે. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી મેળામાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે. દિગ્મ્બર સાધુઓની રવેડી સરઘસ શ્રઘ્ધાળુઓમાં આકર્ષણ બની રહે છે.

No comments:

Post a Comment