22 January 2010

વાળંદ સમાજે વેપાર-ધંધા બંધ રાખી રોષ પ્રગટ કર્યો :આપઘાતના બનાવના ધેરા પડઘા

જૂનાગઢમાં નવા બાય પાસ વિસ્તારમાં રહેતા વાળંદ યુવાને થોડા દિવસો પહેલા ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધાના બનાવના ધેરા પડઘા પડ્યા છે. આજ રોજ આ યુવાનના મૃત્યુના જવાબદારો સામે કડક પગલા ભરવાની માંગ સાથે જૂનાગઢનાં વાળંદ સમાજે બપોરે ૨ વાગ્યા સુધી ધંધા રોજગાર બંધ રાખી રોષ પ્રગટ કર્યો હતો. જૂનાગઢમાં થોડા દિવસો પહેલા મેર યુવાન ભનુ પરમારની લાશ મળી આવી હતી. આ પ્રકરણમાં પોલીસ દ્વારા મનીષ લીંબાણી નામના યુવાનની પૂછપરછ કરવામાં આવી હતી. દરમિયાન મનીષે ગળા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ અંગે મૃતકના મામાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસની આકરી પૂછતાછથી મનીષે આપઘાત કરી લીધો હતો.
તેઓએ જવાબદારો સામે પગલા ભરવાની માંગ કરી હતી.બાદમાં વાળંદ સમાજ અને અન્ય પક્ષોના આગેવાનો દ્વારા આર.ડી.સી.ને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આત્મહત્યાના બનાવમાં જવાબદારો સામે પગલા ભરવાની માંગ કરી હતી. આ બાબતે ઘટતું કરવામાં ન આવેતો વેપાર-ધંધા બંધનું એલાન આપ્યું હતું. જે અનુસાર આજ રોજ જૂનાગઢના વાળંદ સમાજે બપોરે ૨ વાગ્યા સુધી વેપાર-રોજગાર બંધ રાખી રોષ વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, મનીષના મૃત્યુના બનાવ અંગે તેના ભાઈ અશ્વિને બી-ડીવીઝનમાં અરજી કરી હતી. જો કે, હજુ સુધી આ અંગે કોઇ ગુનો પોલીસે દાખલ કર્યો નથી.

No comments:

Post a Comment