23 January 2010

રાજીવ ગાંધી હત્યા કેસ : નલીનીની મુક્તિનો સંકેત, સલાહકાર બોર્ડનો અહેવાલ ટૂંક સમયમાં

૨૧ મે ૧૯૯૧ના રોજ શ્રી પેરુંબુદુરમાં ચૂંટણી સભા દરમિયાન રાજીવ ગાંધીની હત્યા કાંડમાં આજીવન કેદની સજા ભોગવી રહેલી નલિનીને જેલમાંથી મુકત કરવાની અપીલ પર વિચારણા માટે રચાયેલું સલાહકાર બોર્ડ ટૂંક સમયમાં જ તામિલનાડુ સરકારને અહેવાલ સુપરત કરી દેશે.
સરકાર દ્વારા રચાયેલા બોર્ડની બુધવારે યોજાયેલી બેઠકમાં નલિનીએ તેનો પક્ષ રજૂ કર્યો હતો. મદ્રાસ હાઈકોર્ટે સમય કરતાં વહેલા તેને છોડી મૂકવા અંગેની અરજી પર ૨૪ સપ્ટેમ્બર, ૨૦૦૮ના રોજ બોર્ડની રચના કરવાનો આદેશ કર્યો હતો.

વેલ્લોર જિલ્લાના કલેક્ટરે જણાવ્યા અનુસાર બોર્ડ ટૂંક સમયમાં તેનો અહેવાલ સરકારને આપી દેશે, પરંતુ તેની ભલામણો પર નિર્ણય સરકારે લેવાનો છે. ઓક્ટોબર ૨૦૦૭માં નલિનીને વહેલા છોડી દેવાની અરજી ફગાવી દેવાઈ હતી. તે હાલ વેલ્લોર મહિલા જેલમાં કેદ છે.

રાજીવ ગાંધીની ૨૧ મે ૧૯૯૧ના રોજ શ્રી પેરુંબુદુરમાં ચૂંટણી સભા દરમિયાન હત્યા કરી દેવામાં આવી હતી. આ કેસમાં નલિનીની ૧૪ જૂન, ૧૯૯૧ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. જાન્યુઆરી-૧૯૯૮માં વિશેષ અદાલતે ૨૫ અન્ય આરોપી સાથે તેને પણ આજીવન કેદની સજા ફટકારી હતી.

મે-૧૯૯૯માં સુપ્રીમ કોર્ટે નલિની સહિત ચારને મોતની સજાને યોગ્ય ઠેરવી હતી, પરંતુ રાજ્યપાલે તેની દયાની અરજી મંજૂરી કર્યા બાદ તેની મોતની સજા આજીવન કેદમાં ફેરવાઈ ગઈ હતી. તેણે જેલમાં ૧૮ વર્ષથી વધુ સમય વિતાવી લીધો છે.

સરકારે વિચારવું જોઈએ

નલિનીને છોડી મૂકતાં પહેલાં સરકારે સંપૂર્ણ રીતે વિચાર કરી લેવો જોઈએ. તેને જો છોડી દેવાશે તો ખોટો સંકેત જશે. -ઈવીકેએસ ઈલેંગોવાન, તામિલનાડુ કોંગ્રેસ અઘ્યક્ષ

No comments:

Post a Comment